Saturday 1 September 2012

હોસ્ટેલમાં ખાતા-યોજના


[‘નવનીત સમર્પણ’ દીપોત્સવી વિશેષાંકમાંથી આ હળવો હાસ્યલેખ સાભાર.]
હોસ્ટેલના પ્રાંગણમાં એક નાનકડું રામેશ્વર મહાદેવનું મંદિર હતું. છેવટે ક્યાંયથી ચાનાં નાણાંનો મેળ ન ખાય ત્યારે પ્રભાત રામેશ્વરદાદાનું શરણ લેતો. મંદિરના બારણા પર બહારની બાજુએ નાનકડી દાનપેટી હતી. તેમાં લોકો પાવલી, પચાસ પૈસા, રૂપિયો વગેરે દાન સ્વરૂપે નાખતા. રામેશ્વર દાદાના પરમભક્ત એવા પ્રભાત નામના વિદ્યાર્થીએ દાનપેટીના તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવડાવી લીધી હતી. એટલે પ્રભાતને જ્યારે ચાની તલપ લાગે ત્યારે મંદિરે જઈ શિવજીનું ધ્યાન ધરતો ને આજુબાજુ કોઈ છે કે નહિ તેનું પણ ધ્યાન રાખતો. આમ ધ્યાનાવસ્થા દરમિયાન જ તેને ખ્યાલ આવે કે હવે આજુબાજુ કોઈ નથી, મેદાન સાફ છે ત્યારે હૃદય પર પાષાણ મૂકી ભારે હૃદયે અને હળવા હાથે પ્રભુનું સ્મરણ કરતાં કરતાં દાનપેટીનું તાળું ખોલી દિવસ દરમિયાન એકઠા થયેલા દાનનો ‘ઉપાડ’ કરતો. તેની આવી વિશિષ્ટ ધાર્મિક વૃત્તિને કારણે તે એવું માનતો કે આ રીતે ઉપાડ કરેલા ધનથી એકલા-એકલા ચા ન જ પિવાય. એટલે એકાદ-બે મિત્રોને સાથે લઈ જતો. વળી તે રામેશ્વર દાદાની સાક્ષીએ અમને સોગંદ ખવડાવતો કે આ વાત કોઈને કહેવી નહિ. આ રીતે દાન લેવા માટેની તેની ફિલોસોફી અલગ હતી. તે કહેતો, ‘ભગવાનને પૈસાની શી જરૂર ? એ પૈસા તો બાવો-પૂજારી લઈ જશે. તેનો ક્યાં અને કેવો ઉપયોગ કરશે તેની શી ખાતરી ? તેના કરતાં આપણે જ પ્રભુને પ્રાર્થના કરી એ નાણાંનો સદુપયોગ કરીએ તો ગરમાગરમ ચાથી આપણા હૈયા ઠરે એથી રૂડું બીજું શું ?
વળી પૈસાનો ‘ઉપાડ’ કરતાં પહેલાં પ્રભુને હૃદયથી પ્રાર્થના કરતો કે હે ભોળાનાથ, તમે તો પરમપિતા છો, અમે નાના બાળ છીએ. તો પિતાના પૈસા પુત્ર વાપરે તો પિતા હંમેશાં પ્રસન્ન જ થાય, ક્યારેય નારાજ ન થાય. તેમ તમે પણ અમારા પર સદાય પ્રસન્ન રહેજો. વિશેષમાં કહેતો કે હે ચંદ્રમૌલેશ્વર ! હું ભલે નાણાંનો ઉપાડ ચૌર્ય પદ્ધતિથી કરું છતાં આને ચોરી નહિ, લાંબા ગાળાની લોન ગણજો. તમારી કૃપાથી ભણી-ગણીને સારા નોકરી-ધંધે લાગશું પછી આનાથી પાંચ ગણાં નાણાં ભરપાઈ કરી દઈશું. પણ અત્યારે તો આ કડકાઈમાં નછૂટકે… અને ખરેખર ભોળાનાથે એની પ્રાર્થના સાંભળી પણ ખરી. સાંભળ્યું છે કે આજે તે ખૂબ સુખી છે ને સારું કમાય છે. લોન ભરપાઈ કરી કે નહિ તે જાણવા મળ્યું નથી.

આ પ્રભાતને ફક્ત ચાથી જ ન ચાલતું. તેને તો સવારમાં ગરમાગરમ ફાફડા પણ જોઈતા. વધારામાં તેને તેના જેવો ચા અને ફાફડાનો શોખીન જ્ઞાનેશ મળ્યો. જ્ઞાનેશ ઘણો વાચાળ હતો. જ્ઞાનેશ ગમે ત્યાંથી અને ગમે તેની પાસેથી ચા પી લેવામાં પાવરધો હતો. જ્યારે મંદિરની દાનપેટીની ડુપ્લિકેટ ચાવીની શોધ નહોતી થઈ ત્યારે પણ પ્રભાત અને જ્ઞાનેશને ચા અને ફાફડા જોઈતાં જ. ઘરેથી દર મહિને પિતાજી નિશ્ચિત રકમ હાથખર્ચ માટે મોકલતા રહેતા. પણ એ તો ઉછીના લીધા હોય તેની ભરપાઈ કરવામાં જ પૂરી થઈ જતી. ઘટતી પણ ખરી. તેથી જ્ઞાનેશનાં બેંકમાં નહિ પણ ચા-નાસ્તાવાળાને ત્યાં તો ખાતાં હતાં જ. પણ જ્ઞાનેશે એક જગ્યાએ ખોલાવેલું ખાતું બે-ત્રણ મહિના ચાલે ત્યાં દુકાનદારને જ્ઞાન થઈ જતું કે જો આ રીતે ખાતાં ચાલુ રાખશું તો નજીકના ભવિષ્યમાં ફાફડાની સાથે-સાથે જાળા, તવી-તવેથા, કડછા પણ વેચાશે. એટલે પેલો દુકાનદાર નાણાંની કડક ઉઘરાણી કરતો. આમ છતાં વેપારીને તો નાણાંને બદલે કારણો જ મળતાં. પણ જ્ઞાનેશમાં એવી કળા હતી કે ગમે તેવા ગરમ થયેલાને કોઈ પણ જાતનું ઠંડું પાયા વગર ઠંડો પાડી શકતો. તેને ઠંડો પાડવા માટે તે વાણીનાં તમામ કૌશલ્યોનો ઉપયોગ કરતો ઉપરાંત બ્રાહ્મણત્વ પણ આગળ ધરતો. યજ્ઞોપવીત બતાવી પેલાને એવો સધિયારો આપતો કે ‘ધારો કે કદાચ અમે ખાતું ન ભર્યું તોય બ્રાહ્મણના દીકરાએ ખાધું છે ને ! ઢોળાયું તોય ખીચડીમાં ઘી છે ને ! અમે પૈસા ચૂકવીએ કે ન ચૂકવીએ અમને ખવડાવ્યાનું પુણ્ય તો તમારે ખાતે જમા થઈ જ ગયું છે. આ રીતે જ્ઞાનેશે જ્યાં જ્યાં ખાતાં ખોલાવ્યાં તે બધાએ ‘ઢોળાયું તોય ખીચડીમાં ઘી છે ને !’ એમ માનીને જ સંતોષ લેવો પડ્યો હતો.
હા, ત્રણચાર મહિના જ્ઞાનેશ અને પ્રભાતને રસ્તો બદલાવીને ચાલવું પડતું. પણ એમાં શું વાંધો ! એ રસ્તો બદલાવીને ચાલે ત્યાં નવા રસ્તે પણ ક્યાંક ને ક્યાંક રેસ્ટોરાં કે ચા-નાસ્તાની લારી તો હોય જ. આ રીતે હોસ્ટેલની નજીકમાં જ એક શરૂ થઈ. અહીં હોટેલ એટલે ચા-નાસ્તા માટેનું રેસ્ટોરાં જ. પણ રાજકોટમાં તેને હોટેલ જેવો રજવાડી મોભો આપવામાં આવતો. આ હોટેલ શરૂ થવાની છે તેની જ્ઞાનેશને અગાઉથી જ ખબર હતી. એટલે જ અમને તે વહેલી તકે બંધ થવાની છે તેનીય ખબર હતી. જ્ઞાનેશે અગાઉથી જ શેઠ સાથે સારા સંબંધો કેળવી લીધા હતા. હોટેલ શરૂ થવાના આગલા દિવસે જ્ઞાનેશ ત્યાં થોડાં-ઘણાં કામકાજમાં પણ મદદરૂપ થયો. પછી જે દિવસે હોટેલ ખૂલી તે દિવસે જ જ્ઞાનેશનું ખાતું પણ ખૂલ્યું ને ડાયરી રાખી. પછી તો દરરોજ હાઈવે પરના પંજાબી ઢાબામાં ખાટલા પર જેમ સરદારજી પગ પર પગ ચડાવીને જમતા હોય તેમ જ્ઞાનેશ અને પ્રભાત પલાંઠીવાળીને બબ્બે ચા ને પાંચસો-પાંચસો ગ્રામ ફાફડા ખાઈ આવતા. પહેલા અઠવાડિયે તો જે કાંઈ બાકી હતું તે તરત જ બંનેએ પૂરેપૂરું ચૂકવી દીધું. એટલે શેઠને વિશ્વાસ દઢ થયો. આમને પણ એ જ કામ હતું. પછી તો તેઓ બપોર પછી પાંચ વાગ્યે પણ નાસ્તો કરવા પહોંચી જતા. આવીને એવા ભરપૂર ઓડકાર ખાતા કે ઈર્ષ્યાથી અમારો જીવ બળીને રાખ થઈ જતો. ક્યારેક અમને પણ સાથે નાસ્તો કરવા લઈ જતા. (કોના બાપની દિવાળી !) આવું સતત બે મહિના ચાલ્યું. બે મહિના પછી દિવાળી આવી. અને દિવાળી પછી હોટેલ બંધ થઈ તે થઈ. કંઈકેટલીય દિવાળીઓ આવી ને ગઈ, પણ હોટેલ ન ખૂલી. ટૂંકમાં ખાતું ખુલ્લું રહ્યું ને હોટેલ બંધ થઈ ગઈ. અમને પારવાર અફસોસ થયો કે કાશ ! અમે પણ ખાતું ખોલાવ્યું હોત તો. હોટેલ આમ પણ બંધ થવાની છે તેની તો પહેલેથી જ ખબર હતી.
આ ઘટનામાંથી પ્રેરણા લઈ મેં અને મારા મિત્ર છેલશંકર એટલે કે છેલ્લાએ ખાતું ખોલાવવા ‘ખાતા-યોજના’ (વેલેસ્લીની સહાયકારી યોજના જેવી !) અમલમાં મૂકી. આ યોજનાને નક્કરરૂપ આપવા આપણને અને ચા-નાસ્તાવાળાને બેય પક્ષે અનુકૂળ આવે તેવો સજ્જ્ન શોધવા અમે સર્વે કરવા નીકળ્યા. અહીં ‘સજ્જ્ન’ એટલે ‘અમને ઉધાર આપે તે’ એટલી ટૂંકી વ્યાખ્યા જ ધ્યાનમાં લેવી. જોકે અનુકૂળતાનો તો સામેવાળાએ જ વિચાર કરવાનો હતો. અમારા પક્ષે તો બધી જ સાનુકૂળતા હતી. ચાલતાં-ચાલતાં એક ચાની લારીવાળો અમને પ્રથમ દ્રષ્ટિએ જ કંઈક અંશે સજ્જન લાગ્યો. એટલે ત્યાં ખાતા-યોજનાની દરખાસ્ત રજૂ કરવાનું વિચાર્યું. ત્યાં ચા-પીવા ગયા. અમે બંનેએ અડધી-અડધી ચા પીધી પછી ચાવાળા સાથે તે વખતનો ભારતીય રાજકારણનો રાષ્ટ્રીય મુદ્દો ચર્ચાની એરણ પર લીધો. એમ કરતાં કરતાં હજુ વાતને ખાતું ખોલવા તરફ વળાંક આપવા મથતા’તા ત્યાં જ બીજા એક ભાઈએ ચા પીને વિદાય લેતી વખતે કહ્યું : ‘પૈસા કાલે આપી દઈશ.’ આ એક જ વાક્યથી પેલા સજ્જનનું દુર્જનમાં રૂપાંતર થઈ ગયું. તેણે કહ્યું : ‘બાકી બાકી નહિ હોં, પૈસા કાઢ. બાકી તો હું સગા બાપનેય નથી આપતો.’ માત્ર આ નાનકડી ઘટનામાંથી જ બોધ લઈ અમે ત્યાં ખાતા-યોજના રજૂ કરવાનું માંડી વાળ્યું.
ત્યાર બાદ બીજી બે-ત્રણ જગ્યાએ સર્વે કર્યો. તેમાંથી એક ચાવાળો જ્ઞાતિબંધુ જ હતો. એટલે અમને થયું કે આપણી ખાતા-યોજનાનો સૌથી પહેલો લાભ જ્ઞાતિબંધુને જ મળવો જોઈએ. આવા જ્ઞાતિગૌરવથી પ્રેરાઈને તેની સાથે જાત-જાતની ઓળખાણો કાઢી. હવે કદાચ અહીં ખાતું ખૂલી શકશે તેવી આશા બંધાણી. પણ આખી વારતા પૂરી થયા પછી તેણે કહ્યું મારો તો એક પાકો સિદ્ધાંત છે કે સગાસંબંધી કે જ્ઞાતિનું ખાતું રાખવું જ નહિ ને બાકી આપવું જ નહિ, કારણ કે એમાં મનદુ:ખ થાય. બીજો કોઈ હોય તો આપણે તેનો કોલર પકડી શકીએ. પણ આ સગાંસંબંધી કે ન્યાતને શું કરી લેવું ? તેના કરતાં બે ચા મફત ભલે પી જાય, આપણે ગયા ખાતે ગણી લઈએ. જોકે તેણે આવું કહ્યું પણ અમને અડધી ચા પણ નિ:શુલ્ક પીવડાવી નહિ. અહીં માંડ જ્યાં આશા જાગી હતી ત્યાં તે વળી આવો સિદ્ધાંતવાદી નીકળ્યો એટલે તેના સિદ્ધાંત સામે ખાતા-યોજના સફળ ન થઈ. જોકે તે આજ સુધી ટકી રહ્યો તેનું કારણ પણ આ સિદ્ધાંત હતો. બાકી ન્યાયે તો નરસિંહ મહેતાનેય ક્યાં સુખ લેવા દીધું’તું !
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...