Sunday 14 September 2014

સાવંત સાથે સુવાણ



(બાપુ અને રાખી સાવંતની કાલ્પનિક મુલાકાતનો એક મજેદાર હાસ્યલેખ)

હમણાં હમણાં બાપુ જેઠાની ચાની લારીએ છાપું પડતું મુકીને મેગેઝીનમાં મગ્ન થઇ જતાં હતા. બાપુ કાયમ સવારે પરવારીને ‘જેઠા જમાવટ’ની લારીએ આવે, ત્યાં કડક-મીઠ્ઠી ચા પીવે, ઉપર શિવાજી બીડી ઠઠાડે. પછી વાતુંની જમાવટ થાય. ચાનાં ધંધા પહેલા જેઠો ગામ લોકોનાં બાલ દાઢી કરવાનું કાર્ય કરતો. પણ દાઢી કરવામાં જેઠાની રાડ્ય (ધાક). જેઠો જેની દાઢી બોડે તે આખો દિવસ જેઠાને યાદ કરે. તેથી ઘણા ગ્રાહકો દાઢી કરાવતી વખતે જ ફરિયાદ કરતાં પણ જેઠો કીમિયાગર હતો. થોડા દિવસ પછી શહેરમાં જઈ તે મલ્લિકા શેરાવત, પૂનમ પાંડે અને રાખી સાવંત જેવી લઘુવસ્ત્રધારીણીઓનાં મોટા મોટા પોસ્ટર લાવ્યો અને દુકાનમાં ગ્રાહકની પહેલી નજર પડે ત્યાંજ લગાડી દીધા. ગામડા ગામમાં ત્યારે સારું છાપુંય ન આવતું ત્યાં આવા ‘દર્શનીય ફોટાઓ’ની તો વાત જ ક્યા રહી ! આવા પોસ્ટરોમાં ગ્રાહક એવો ખોવાઈ જતો કે દાઢી વિષયક ફરિયાદ કરવાનું જ ભૂલી જતો. જેઠાએ આ રીતે ગ્રાહકોની ફરિયાદનું નિવારણ કરેલું (આનું નામ કોઠા સૂઝ !)
        એ જ કસબ જેઠાએ ચાના ધંધામાં પણ અજમાવ્યો. જેઠો શહેરમાં જઈ શનિવારીમાંથી પાંચ સાત જુના ફિલ્મી મેગેઝીન લઇ આવ્યો. બસ પછી તો બાપુનેય છાપું છૂટી ગયું અને મેગેઝીનની માયા લાગી.  પછી તો બાપુ છાપું જોયું ન જોયું કરીને તરત જ મેગેઝીન ઉપાડતા અને ઈંગ્લીશ મેગેઝીનનાં ખાસ પાને ચોંટી જતાં. (હૃદયને ભાષાનાં બંધન ક્યા નડે છે!) પછી મસ્તી ભર્યા સ્વરે ચાનો ઓર્ડર આપતા, “એલા જેઠીયા, એક એલચી મસાલાવાલી પહેલીધારની પેશ્યલ બનાવ.”
        આ રીતે એકવાર લારી પર જેઠો અને બાપુ બે  જ હતા ત્યારે એકાંતનો લાભ લઈને બાપુએ મેગેઝીન ખોલીને જેઠાને પૂછ્યું, “એલા જેઠા, આ બાય કોણ છે?” જેઠાએ મેગેઝીનમાં મોઢું ઘાલ્યું ને ઠેકડો મારીને બોલ્યો, “એ તો રાખી છે.”
અને બાપુનો પિત્તો ગયો. તેણે કમરેથી તલવાર ખેંચવા હાથનો ઝાટકો માર્યો. પણ જેઠો સમય સુચકતા વાપરી બાપુનો હાથ પકડી લેતા બોલ્યો,  “હં..અ, બાપુ જાળવજો, હમણાં તમે મારો પ્રાયમસ પછાડી નાખત.”
બાપુ બોલ્યા, “તારા પ્રાયમસનાં બદલામાં માથું માગી લેજે પણ અટાણે મને રોક્યમાં.”
બાપુની આવી અસાધારણ એક્ષચેન્જ ઓફરથી જેઠો વધુ મૂંઝાયો.
બાપુ ખીઝાયા, “જેઠીયા, તે મને જવાબ નો દીધો. કઉં છું આ બાઈ કોણ છે?”
“રાખી છે, બાપુ” જેઠો બોલ્યો.
“હેં ... કોણે રાખી છે? કોની માએ સવાશેર સુંઠ ખાધી છે કે અમે બેઠા હોય ને આને રાખે. બોલ્ય, કોણે રાખી ?”
“બાપુ, એનું નામ ‘રાખી’ છે, રાખી સાવંત છે. બાકી હજુ સુધી એને કોઈએ રાખી નથી. એને રાખવી એ કાચાપોચાનું કામ નથી.”
“અરે, જેઠીયા, ઈ તો શું, એની માને ય રાખીએ. તુ અમને હમજે છ શું?”
“બાપુ એની માં રયે પણ આ ગધની નો રેય, આણે તો ‘ભાંગ્યા નય એટલા ખોખરા કર્યા છે.’
“તંયે આ ધંધો શું કરે છ?”
“બાપુ, પેલા ઈ ‘આઈટમ ગર્લ’ હતી હવે ફીલમુમાં ઘુસી છ!”
“હા...આ, ગધની લાગે છ ‘આઈટમ’ ! આ ‘આઈટમ રયે છ ક્યાં ?”
“મુંબઈ”
“આલ્લે .. લે ! મારે અઠવાડિયા પછી જ મુંબઈ જાવાનું છ. તયે વાત.” એટલું કહી બાપુ ગુલાબી સ્વપનોમાં ગરકાવ થઇ ગયા. આમ ને આમ ત્રણેક દિવસ વિત્યા ત્યાં બાપુનાં ગામમાં ફિલમનું શુટિંગ કરવા મુંબઈથી ફિલમવાળા આવી ચડ્યા. પહેલા તો ફિલમવાળાએ ગામની બારોબાર તંબુ તાણ્યો. પછી ડિરેક્ટરે તેનાં એક માણસને વિગતવાર પત્ર સાથે શુટિંગની મંજુરી મેળવવા આ સરપંચ બાપુ પાસે મોકલ્યો. ડિરેક્ટરે કાઠીયાવાડી બાપુઓ વિશે સાંભળ્યું હતું કે કેટલાંક બાપુઓ ગામમાં આવા ફિલમનાં શુટિંગની મંજુરી સહેલાઇથી આપતાં નથી. તો કેટલાંક વળી શરત મુકતા કે “ઓલ્યા તીરવેદી (ઉપેન્દ્ર ત્રિવેદી) અને કનોડિયાને કાઢી મુકો ને એને ઠેકાણે અમને લ્યો તો ફિલમ ઉતારવા દંઈ.” આવી શરતો સાંભળી ડિરેક્ટર હીરો બદલવાને બદલે ગામ બદલવાનું પસંદ કરતાં. અહીં બાપુએ ડિરેક્ટરનાં માણસ પાસેથી પત્ર લઇ નિરાંતે વાંચ્યો. પત્રમાં રાખીનું નામ વાંચીને બાપુનાં હૈયામાં દહ-બાર સિતાર એકહાર્યે ઝણેણાટી બોલાવવા માંડ્યા.
        ડિરેક્ટરના પત્રમાં  રાખીનું નામ વાંચી હ્રદયમાં વાગતા દહ-બાર સિતારની ઝણેણાટી પર કાબૂ રાખીને બાપુ બોલ્યા, “આમ તો અમને આવા શૂટિંગ-બૂટિંગના ભવાડા પોહાય નઈ. ગામ બગડે. છતાંય તમારા બધ્ધાય એસ્તાફની આંય રૂબરૂ લ્યાવો. પસી કંઇક નક્કી થાય.’ બાપુના આદેશ મુજબ બધા બાપુને મળવા જવા તૈયાર થયા. ડિરેક્ટરે રાખીને નખ-શીખ ઢંકાય એવા સંપૂર્ણ કપડાં પહેરવાની કડક સૂચના આપીને કહ્યું, “અહીં પૂરેપૂરી મર્યાદાથી કપડાં પહેરજે. નહિ તો બાપુ સીધી કાળા-મોઢાળી (બંધુક) ઉપાડશે’ રાખી માટે જિંદગીનું સૌથી અઘરું કામ આ હતું. જાહેર જનતાનાં લાભાર્થે જેણે દેહ ધારણ કર્યો હોય એને લૂગડાં પહેરવા કેમ ફાવે? છતાં રાખીએ પગથી માથા સુધી સંપૂર્ણ કપડાં પહેર્યા. આમ, ડાયરો બાપુનાં ગઢમાં આવ્યો, બધા બેઠા. ડિરેક્ટરે બાપુને બધાનો પરિચય કરાવ્યો. એમાં રાખીને જોઇને બાપુ બગડ્યા અને ભાર પૂર્વક પૂછ્યું, “આ જ ઓલ્યા રાખીબા ! (બાપુમાં સ્ત્રીદાક્ષિણ્યની ભાવના ફાટફાટ થતી હતી તેથી રાખીબા કહ્યું)  ડિરેક્ટરે કહ્યું, “ હા જી, બાપુ, એ જ રાખી સાવંત” ડિરેક્ટરે ધાર્યું કે રાખીને સંપૂર્ણ વસ્ત્રોમાં જોઈને બાપુ ખુશ થશે. પણ બાપુ મનોમન બગડ્યા અને બબડ્યા, “હંમ... માળા બેટા અમને ટોપીયું પે’રાવવા નીકળ્યા છ. આ ઓલી ચોપડી માંયલી ક્યા છે?” આટલું વિચારી બાપુએ કડક સ્વરે શૂટિંગની મનાઈ ફરમાવી દીધી. ફરી બીજે દિવસે રાખીને વધુ મર્યાદાસભર વસ્ત્રો પહેરાવી સતી સાવિત્રીનો અવતાર બનાવી સૌ આવ્યા  પણ બાપુ એકનાં બે તો શું દોઢ પણ ન થયા. છેવટે આખી ટીમ વિલા મોઢે પાછાં ફરતી વખતે જેઠા જમાવટની લારીએ ગઈ. રાખીને જોઈને જેઠાનાં જૂનવાણી હ્રદયમાં ઉફાણા આવવા માંડ્યા. તે ડિરેક્ટર સાથે વાતુંએ ચડી ગયો પછી બધી વિગત જાણી જેઠાએ કહ્યું, “ડિરેક્ટર સાયબ, હું કઉ એમ કરો એટલે બાપુ મોરલો થઇ જાહે.” આમ કહી જેઠાએ ઈંગ્લીશ મેગેઝીનમાંથી ડિરેક્ટરને રાખીનો ફોટો બતાવ્યો પછી આંખ મીંચકારી ડિરેક્ટરનાં કાનમાં સૂચના આપી.
        બીજા દિવસે ડિરેક્ટરે ફરી માણસ મોકલી કહેડાવ્યું, “બાપુ શૂટિંગની રજા ન આપો તો કાઈ નહી પણ એકવાર અમારે ત્યાં ચા પાણી પીવા તો પધારો, અમારા મહેમાન બનો.” બાપુએ ઓફર સહર્ષ સ્વીકારી લીધી અને ફિલમવાળાનાં ઉતારે નિર્ધારિત સમય કરતા અડધો કલાક વહેલા પહોંચી ગયા. બાપુ બેઠા અને ડિરેક્ટર સાથે વાતોએ વળગ્યા. ત્યાં જ ડિરેક્ટરનો મોબાઇલ વાગ્યો. ગામડાંમાં કવરેજનાં પ્રોબ્લેમનાં કારણે ડિરેક્ટર વાત કરવા બહાર ગયો. અને થોડી જ ક્ષણોમાં અતિઅલ્પ વસ્ત્રો પહેરેલી મારકણી અદાવાળી એક યુવતી ગરમાગરમ ચાનો કપ લઇને બાપુ પાસે આવી. બાપુને બત્રીસ કોઠે દીવા થઇ ગયા. બાપુનો અંતરાત્મા આંબાની ડાળે ઝૂલવા લાગ્યો, દિલ ડીઝલ એન્જીનની માફક ધબકવા માંડ્યું, નસોમાં લોહી નાગણીની જેમ સરકવા લાગ્યું. બાપુ પચીસ વર્ષ રીવર્સમાં જતાં રહ્યા. (મનથી જ) ચા પડી પડી જ ઠરીહેં ઠીકરું થઇ ગઈ. બાપુ નક્કી ન કરી શક્યા કે ચા અને ‘આ’ બેમાંથી કોણ વધુ ગરમ ! અંતે રાખીએ જ  બાપુનાં હાથમાં હાથ મિલાવ્યો. બાપુને વગર કસુમ્બે કાંટો ચડી ગયો. બાપુનો હાથ રમાડતા રમાડતા રાખી બોલી, “હાય ડીયર બાપુ..ઉ આઈ એમ રાખી, રાખી સાવંત ફ્રોમ બોમ્બે” બાપુ બોલ્યા, “હવે બરોબર્ય” પછી પૂછ્યું, “તંઈ રાખીબા તમે આ ફિલમમાં શું બનવાના?”
રાખીએ બાપુની લગોલગ બેસીને કહ્યું, “ફીલમમાં હું એવી ગરીબ બાઈનો રોલ કરવાની છું કે જેની પાસે પહેરવા પુરતા કપડાંય નથી”
બાપુ ભાવ વિભોર થઇને બોલ્યા,  “ઓ હો હો ... આવા ગરીબ માણહની સંસ્કારી ફિલ્મું ઉતારવી હોય તો તમતમારે કરી દ્યો શૂટિંગ હાલતું. કોઈ તમારું નામ લ્યે તો હું બેઠો છું.” બાપુ તરફથી લીલી ઝંડી નહિ પણ  ઝંડો ફરકેલો જોઈ “ઓહ ડીયર બાપુ, હાઉ સ્વીટ યુ આર !” કહીને રાખીએ બાપુને નાનકડું બથોડીયું ભરી લીધું. અને બાપુને આતિથ્યભાવનાનો અટેક આવ્યો.  તે ભાવવિભોર થઇને બોલ્યા, “તમારે હંધાયે આઠે આઠ દિ રેવા જમવાનું આપના ગઢમાં જ રાખાવાનું છ.”
રાખીએ થોડી આનાકાની કરી એટલે બાપુએ ગળગળા થઇને કહ્યું, “નો આવો તો તમને મારા ગળાનાં સમ” અંતે રાખીએ હસતાંહસતાં આમંત્રણ સ્વીકાર કર્યો. અને બાપુને દરવાજા સુધી વળાવવા ગઈ અને બોલી, “ડીયર બાપુ, ગુડ બાઈ, સી યુ.”
બાપુ મલકાતાં મલકાતાં બોલ્યા, “ગુડ બાઈ, ગુડ બાઈ, બૌ ગુડ બાઈ !”
બાપુનાં હૃદયમાં સિતાર, સંતુર અને સરોદ એકસાથે વાગી રહ્યા હતા.
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

Sunday 7 September 2014

                   કોઇપણ યુવતી કે સ્ત્રીના હાથમાં નાળિયેર જોઉં અને એ પણ મંદિરે ત્યારે મારી ગભરામણ વધી જાય છે. ગભરામણનું કારણ એ નથી કે તે શ્રીફળ અને સવા રૂપિયો આપણને આપી બેસશે તો શું કરીશું? પણ કસોટી જુદી જ રીતે શરૂ થાય છે.
           નારિયેલવાળા બહેન આપણને તરત જ કહેશે, જરા છોતરા ઊતરી દો ને છોતરા કાઢી નાખવા નારિયેળના નહિ પણ પુરુષના! એ બહેનો માટે તો રમત વાત છે. તો પછી નારિયેળ પર તેમણે હાથ અજમાવવો જોઈએને! એમ ન કરતા તેઓ આપણા હાથમાં નારિયેળ પકડાવીને આપણને જ ભેરવી દે છે. એમના નારિયેળ પર આપણો હાથ અજમાવે છે. શરૂઆતમાં તો એક-બે વાર બહેનની ઓફર કાન સોંસરવી કાઢી નાખીએ તો ત્રીજીવાર  તે આખું નાળિયેર જ આપણા હાથમાં પકડાવી હસતા મુખે કહે, ભાઈ, નારિયેળના જરા છોતરા ઊતરી દો ને, પ્લીઝ! અહીં આપણને બેવડો માર પડે છે. એક તો એમના શ્રીફળ માટે આપણે શહીદ થઇ જવાની હદે ઝઝૂમવું પડતું હોય છે. વળી ઉપરથી ‘ભાઈ’નું વ્હાલભર્યું સંબોધન. શ્રીફળના ઘા કરી દેવાનું મન થાય. ઘણી બહેનોએ આ રીતે પ્રચંડ પુરુષાતનનો ગેરઉપયોગ કર્યો છે. વળી આ છોતરા ઉતારવાના કાર્યમાં તો આપણી પસંદગી સર્વાનુમતે થાય છે. એમાં ડીપોઝીટ ગુમાવવાનો ભય રહેતો નથી. એટલે કે આપણે સમરસ છોતરા કાઢું ગણાઈએ. આ રીતે એકને સફળતાપૂર્વક છોતરા ઊતરી દઈએ એટલે બીજી બે-ત્રણ બહેનો નારિયેળ સાથે તૈયાર ઉભી હોય. અને જેવાં છોતરા ઊતરી જાય કે તે જય માતાજી કહેવાય ઉભી રહેતી નથી. આ રીતે તે જતી રહે ત્યારે આપણને આપણા ખુદનો છોતરા ઉતરી ગયાનો અહેસાસ થાય છે.
          આપણે માનતા હોઈએ કે આપણને કંઇક ઊંચા ગજાના બૌદ્ધિક કાર્યો સોંપાવા જોઈએ. એવાં કાર્યોમાં આપણું કૌવત ઝળહળી ઉઠે. વિચાર ગોષ્ઠી વિચાર વિમર્શ, પરામર્શ પ્રકારના કાર્યોમાં આપણે સોળ નહિ પણ બત્રીસ કળાએ ખીલી ઉઠીએ. વળી, આવા કાર્યો કરતા કરતા વચ્ચે ચા-કોફી કે કોલ્ડ્રીંક્સ જેવું પી શકીએ અથવા બુદ્ધિજીવીઓની અદાથી આઈસ્ક્રીમ ખાઈ શકીએ. જયારે નાળિયેરના છોતરા કાઢવાના કાર્યની શરૂઆતમાં વચ્ચે કે આભારવિધિ વખતે પેલી બહેન પાણીનું ય નથી પૂછતી અને નાળિયેરનું પાણી પોતે જ પી જાય છે.
          કોઈ પણ બહેન આપણને બસમાં કે ટ્રેનમાં જગ્યા રાખવાનું કહે, એમના બંધ પડેલા એકટીવાને એક્ટીવ કરવાનું કહે, એમના બાબાને સાચવવાનું કહે, (એટલે કે એમનો બાબો આપણને વળગાડીને જતા રહે.) આવા સેવાકાર્યો જાનની બાજી લગાવીને (જરા વાજબી કરો પ્રભુ) આપણે સફળતા પૂર્વક પાર પાડીએ છીએ. કારણ કે આવા સત્કાર્યો કરતા કરતા બહેન સાથે બે ઘડી સત્સંગ થઇ શકે. પણ જયારે છોતરા ઉતારવાના હોય ત્યારે સત્સંગ તો શું સ્માઈલ પણ આપી શકાતું નથી. કારણ કે બે ઘૂંટણ વચ્ચે શ્રીફળ દબાવીને છોતરા ઉખેડતા હોઈએ ત્યારે આપણું ‘વદનકમળ’ બગડીને ‘ડાચું’ થઇ જાય છે. સ્ત્રી દાક્ષિણ્યને સાર્થક કરતા બીજા કાર્યો કરતી વખતે તો વદનકમળ જરા હસમુખું રાખી શકીએ પણ છોતરા ઉતારવાનો પ્રોજેક્ટ શરૂ થાય એટલે તે પુરો ન થાય ત્યાં સુધી ચહેરા પર મલકાટ શોધ્યો જડતો નથી. એમાં તો કપાળમાં કરચલીઓ પડી જાય, દાંત કચકચાવીને જોર લગાવવાને કારણે ક્યારેક છોતરાની પહેલાં તો દાંત જ ઉખડી જાય. ચહેરા પરથી પરસેવાના બિંદુઓ ટપકવા માંડે.
          બે ઘૂંટણ વચ્ચે દબાવી રાખેલા નારિયેળનું છોતરું ખેંચી કાઢવા આંચકો મારીએ ને હાથ છટકે તો આપણો જ હાથ આપણી દાઢીએ અથડાય અથવા ક્યારેક આંચકો મારતા ઘૂંટણ વચ્ચેથી આખે આખું નારિયેળ જ છટકીને આપણા મોં પર અથડાય અથવા દૂર ફેંકાઇ જાય આવા સમયે આપણને નારિયેળ પધરાવનાર બહેન સ્થિતપ્રજ્ઞ થઈને જોયા કરે. તેમના ચહેરા પર પ્રેમ, કરૂણા, વિહ્વળતા એવાં કોઈ ભાવ જોવા મળતા નથી. એમના ચહેરા પર તો નાળિયેરના ભાવ વધી ગયા છે એ જ ભાવ હોય છે.
          મૃત્યુલોકમાં જીવને લેવાં આવેલા જમને અને જીવને છેલ્લી ઘડીએ જે વાદ ચાલતો હોય એવો વાદ આપણી અને નાળિયેર વચ્ચે ચાલતો હોય છે. ત્યારે પરસેવે રેબઝેબ થયેલું આપણું મોં લુછવા માટે તે બહેન તેનો રેશમી કે ખાદીનો રૂમાલ પણ ઓફર કરતી નથી. આવી જીવસટોસટની બાજી ખેલતા હોઈએ ત્યારે વચ્ચે છોટા-સા-બ્રેક કહીને આપણા માટે ઠંડું પાણી પણ પીવડાવતી નથી. એટલું જ નહિ આપણો જુસ્સો અંત સુધી (એટલે કે આપણા અંત સુધી નહિ, પ્રોજેક્ટના અંત સુધી.) જળવાઈ રહે તે માટે બુલંદ સ્વરે ખમ્મા મારા વીરા તને ઘણી ખમ્મા, માતાજી તારું રક્ષણ કરે, બજરંગી તને બળ આપે, ભાલાવાળા તારી ભેરે રહે, ભગવાન તને સો વરસનો કરે. એવાં પ્રોત્સાહક શબ્દો પણ નથી ઉચ્ચારતી. નહિ તો શબ્દપુષ્પો ચડાવવામાં એનું શું જાય છે. તૂટી મારવાનું તો આપણે હોય છે.
        રસ્તામાં કોઈ મેડમના અટકી પડેલા એકટીવાને આપણે ઉપરા-છાપરી કીકો મારતા હોઈએ તો બીજા બે-ચાર કારીગરો (એકટીવાના નહિ, ઈશ્કના) ત્યાં આવી ચડે ને તેઓ પણ કીકોત્સુક થઇ જાય છે કારણ કે બંધ પડેલું એક્ટીવા ચાલુ કરી દેવું એ એક કૌશલ્ય ગણાય છે અને એ જ કારીગરો બીજે દિવસે, ત્યાં રાહ જુએ છે કે કદાચ એક્ટીવા બંધ પડે તો..... પણ, આ છોતરા ઉતારવાના ખેલમાં ત્યાં ઉભેલો કોઈ મરદ મૂછાળો કે ક્લીન શેવ્ડ હાથ નાખતો નથી. કારણ કે ગમે તેટલા નારીયેળના છોતરા કાઢી નાખો છતાં કોઈ સ્ત્રી આપણને અહોભાવથી જોતી નથી. કેળાની છાલ ઉતારતા હોઈએ એમ નારીયેળના છોતરા ઉતારી નાખીએ તો પણ કોઈ માનુની માતાજીની સાક્ષીએ છોતરકાઢુંને સાત-સાત જન્મ સુધી સાથ નિભાવવાના કોલ દેતી નથી. એટલું જ નહિ ઘણીવાર તો એ જતી રહે પછી છોતરા ભેગા કરીને યોગ્ય જગ્યાએ નાખવા જવાનું કામ પણ આપણા ભાગે આવે છે. વળી, મંદિરનો બાવોય આપણને ખખડાવે, ચલ બે...એ છોતરા ઇધર સે ઉઠા. વળી, આપણા કાંડાનું કૌવત અને કૌશલ્ય જોઈને કોઈ ગુજરાતી ફિલ્મવાળો વીર છોતરાવાળો એવું ફિલ્મ પણ નથી બનાવતો. નહિ તો એમાંય કોયલડીને મોરલિયો બોલાવી શકાય. આજની ગુજરાતી ફિલ્મોનો ડિરેક્ટર શું નથી કરી શકતો!
        છોતરા ઉતારી નાખ્યા પછી પણ ઘણીવાર કાર્ય સંપન્ન થતું નથી. છોતરા પછી કોપરાને કાચલીથી જુદું પડવાનું આનુંશંગિક કાર્ય પણ આપણને સોંપવામાં આવે છે. એ કામ વળી છોતરા ઉતારવાથી પણ કઠીન છે અને છેલ્લે તો આપણને છોતરા ઉતારવા પર રીતસરનો વૈરાગ આવી ગયો હોય એટલે કંટાળીને થાકીને આપણે આટલું કામ અધૂરું છોડીએ તો કિંમત કોડીની થઇ જાય. જો કે છોતરાના કામમાં તો કિંમત પહેલેથીજ બહુ ઊંચી નથી હોતી. તેથી ગમ્મે તેટલા નારીયેળના છોતરા ઉતારી આપો તો પણ બહેનને જાતક પર સદભાવના તો નથી જ જાગતી. આમ છતાં પલાળ્યું એટલે મૂંડાવવું તો પડે જ! ભગવાન સૌનું ભલું કરે.
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com


ચોવીસ ગુરુનો ચેલો

જે રીતે લોકો આજકાલ સંસાર રથમાં પણ સ્પેરવ્હીલ રાખે છે. એ જ રીતે લોકો સ્પેરગુરુ  પણ રાખે છે કારણ કે મલ્ટીપરપઝ ગુરુ આજે મળતા નથી. જુદી જુદી સમસ્યાના ઉકેલની ગુરુચાવીઓ જુદા જુદા ગુરુઓ પાસે હોય છે વળી શક્તિ એવી ભક્તિના ધોરણે એકથી વધારે ગુરુ પાળવાની વાત તો પ્રાચીન કાથી ચાલી આવે છે. આજકાલ ધનવાનો અને કરોડપતિઓના ગુરુઓ જોશો તો તેમણે ગુરુ પાળ્યા હોવાની ખાતરી થઇ જશે. પ્રાચીન સમયમાં દત્તાત્રેયે ચોવીસ-ચોવીસ ગુરુ ધારણ કર્યા હતા. અમણે ચાલાકી એ વાપરી હતી કે પેલા ગુરુને ખબર પણ નહોતી પડવા દીધી કે તેમણે એમની ગુરુપદે નિમણૂક કરી છે, મનોમન ગુરુ ધાર્યા છે. જુના જમાનામાં જે રીતે કોઈ યુવતી મનોમન કોઈને વરી ચૂકતી (એ પણ સ્વયંવર કહેવાય.) તેમ તેઓ ગુરુને વર્યા હતા.
             એ જ રીત મેં પણ અપનાવી છે. ટ્રાફિકથી ધમધમતો વરાછા રોડ ક્રોસ કરવામાં મને બહુ મુશ્કેલી પડે છે. જયારે હું રોડ ક્રોસ કરું ત્યારે બીજાઓને પણ મુશ્કેલી પડે છે. કારણ કે મોટાભાગના લોકો રાજમાર્ગ પર બાપુજીનું રાજ હોય એમ વાહનો ચલાવે છે અને ચાલે છે. એજ રીતે સો વિઘાના ખેતરમાં ફરવા નીકળી હોય એમ બિન્ધાસ્તપણે કેટલીક બહેનોને શાકમાર્કેટ પાસે કાકડી ખાતા-ખાતા રોડ ક્રોસ કરતી જોઈ. મે મનોમન એમને ગુરુપદે સ્થાપી. તેમાંથી મને એ તત્વજ્ઞાન પ્રાપ્ત થયું કે રોડ ક્રોસ કરતી વખતે રસ્તા પર કોઈ જ નથી. માત્ર ને માત્ર તમે એક જ છો.એ ભૂમિકાએ પહોંચશો તો પછી રોડ ક્રોસ કરવો એ એક આનંદ બની જશે. ઉત્સવ બની જશે. વળી બહેનો તેનાથીય ઉચ્ચ ભૂમિકાએ હોય છે. કારણકે શાકમાર્કેટ અને તેની પાસે આવેલા રોડને તેઓ અબળાનું અભયારણ્ય માને છે. કોલેજમાં વકતૃત્વ સ્પર્ધા વખતે પણ અમારા સાહેબે મને એજ શિખામણ આપેલી કે સામે સાંભળનાર કોઈ જ નથી અને આપણે એકલા જ છીએ.એમ ધારીને જ બોલજે એટલે તને જરાય ગભરામણ નહિ થાય, ડર નહિ લાગે. મેં અક્ષરશ: સાહેબની સૂચનાનું પાલન કર્યું. હું પાંચ મિનીટને બદલે અડધો કલાક બોલ્યો. અંતે મારું વક્તવ્ય પૂરું થયુ ત્યારે પરિસ્થિતિ સાહેબના કહેવા પ્રમાણે જ હતી. અને સાહેબ ગભરાયેલા જ હતા. જોકે એ તો મારા ગુરુ હતા જ.
             એક જગ્યાએ જમણવારમાં ખૂબ લાંબી લાઈન હતી. લાઈન જોતા એવું લાગતું હતું કે બૂફેના કાઉન્ટર સુધી પહોંચીશ ત્યા સુધીમાં માત્ર ભુખ જ નહિ પણ ભુખાતુર ખુદ મરી જશે. પણ એટલામાં જ જેમ શાકમાર્કેટમાં રખડતો આખલો ઘુસી જાય અને બે ત્રણ સફરજન વિના મૂલ્યે આરોગી જાય એમ એક માણસ આખલા શૈલીથી સીધો જ છેક કાઉન્ટર પાસે ઘુસી ગાયો. પાછળ ઉભેલા લોકોએ હો....હો કર્યું. મને થયું કે જો બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે ભારતીયોએ આટલી જાગૃતિ દાખવી હોત તો એક પણ ઘૂસણખોર આજે આ દેશમાં ન હોત. પેલા ઘૂસણખોર આંખ આડા કાન કરી ધ્યેય સિદ્ધ કર્યું. હજુ મેં તો લાઈન માં અડધા ભાગનુંય અંતર નહોતું કાપ્યું ત્યાં તો તે જમી કારવીને સિંહ ગર્જના જેવાં ત્રણ ચાર ઓડકાર ખાઈને રવાના થઇ ગયો. મેં તરત તેને ગુરુપદે સ્થાપ્યો અને જ્ઞાન પ્રાપ્ત કર્યું કે જયારે જયારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ખાવું હશે તો શરમ છોડવી પડશે. અને શરમ રાખીશું તો ખાવાનું છોડવું પડશે. આ જ્ઞાન મને જ્ઞાનસત્રમાંથી પ્રાપ્ત થયું. એટલે તેનું મારે મન બહુ મોટું મૂલ્ય છે.
           રાજકોટ ખાતે મારા મિત્રના પડોશમાં જ તેના જીજાજી વસે છે. મિત્ર માટે જીજાજી રાહુ સ્વરૂપે હતા. જેને મેં ગુરુપદે સ્થાપ્યા છે. જેમ દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં ઘરમાં દીપડા ઘુસી આવે છે. એમ જીજાજી ત્યારે મિત્રના ઘરમાં ઘુસી જતા. જીજાજીએ મિત્રને કલ્પવૃક્ષ માન્યો હતો જયારે મિત્રની હાલત મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી એવી હતી. તેથી જીજાજીએ કલ્પવૃક્ષપાસેથી (તેના ઘરમાંથી) ઈચ્છે તે વસ્તુ પ્રાપ્ત કરી લેતા આવા જીજાજી પ્રાપ્ત કરવા બદલ મિત્રને બહુ ખેદ હતો.મિત્ર ઘણીવાર સાહિત્યિક શબ્દોમાં પરોક્ષ પધ્ધતિથી જીજાજી સમક્ષ ખેદ વ્યક્ત કરતો પણ જીજાજી ટોટલી નિષ્ખેદ હતા. એકવાર હું મિત્રને ઘેર બેઠો હતો અને તેઓ સવારમાં ચડી આવ્યાં. મિત્ર પત્નીએ બનાયેલી બે કપ કોફીમાંથી એક કપ કોફી તેઓ પી ગયા. એટલે મિત્રે મને કહ્યું હવે એ બાકીનો કપ તું પી જા જીજાજી પી ગયા તે કપ મારો જ હતો. અમારા કરમમાં કાળમીંઢ લખ્યો હોય તેના પરિણામ તારે શા માટે ભોગવવા! એટલામાં જ જીજાજી એ પૂછ્યું, ભાઈ, આજે તમે ક્યાંય બહાર જવાના છો? મિત્રને થયું કે જો હા કહીશ તો જીજાજી ગળે પડશે અને આંખો દિવસ પોતાનાં ખર્ચે ખાશે- પીશેને રાજ કરશે. આમ વિચારી તેણે કહ્યું ના આજ તો આંખો દિવસ ઘર બહાર પગ નથી મૂકવો. આ સંભાળીને તરત જ કી સ્ટેન્ડમાંથી ચાવી ઉપાડતા જીજાજી બોલ્યા તો પછી હું તમારી કાર લઈ જાવું છું. રાત્રે મૂકી જઇશ આમ કહી તેઓ કાર લઈ વાયુવેગે પલાયન થઇ ગયા અને અમે ખરેખર આખો દિવસ ઘરે જ બેસી રહ્યા. આવા જીજાજીમાંથી મેં જ્ઞાન તારવ્યું કે સસરાના ઘરની તમામ ચીજને આપણી પોતાની જ માનવી. ઉપરાંત સસરા અને સાળાને કલ્પવૃક્ષ અને સાસુને કામધેનું માનવી. આમ જીજાજીને મેં ગુરુપદે સ્થાપ્યા.
              અમે હોસ્ટેલમાં રહીને ભણતાં ત્યારે વેચાણકળા અને વિજ્ઞાપન એ વિષય મને બહુ અઘરો લાગતો. તેથી એ વિષયની ટેક્સ્ટ બુક લઈને હોસ્ટેલની અગાશી પર એકાંતમા હું વાંચતો એ દરમ્યાન દૂર એક અગાશી પર લીમડાનો ઘેઘૂર છાંયડે એક બડકમદાર બાપુ દરરોજ ટેસથી પાઈપ (ચલમ) પિતા નજરે ચડતા. કહેવાય છે કે તેમની પાસે શહેરમાં ઘણી મિલકત હતી.છ મહિના પહેલા એમણે પોતાની જીપગાડી વેંચી દીધી અને છેલ્લા સમાચાર મુજબ તેમના જ્યાં બેસણાં છે તે મકાન પણ વેચવા કાઢ્યું હતું. આ સંભાળીને મેં એ બડકમદર બાપુને તરત ગુરૂપદે સ્થાપ્યા. કારણકે તેઓ વેચાણકાળનો પણ નહોતા જાણતા. છતાં છત પર બેસીને ચલમ પીતાંપીતા તેમણે કેટલું બધું વેચી બતાવ્યું! એમના થાકી મારા મનમાં જ્ઞાન જ્યોત પ્રગટી કે કંઈ પણ વેચવા માટે વેચાણકળા શીખવી અનિવાર્ય નથી. આમ વેચાણકળાનો હાઉ મારા મનમાંથી દૂર થયો.
                મારા એક ખાસ મિત્રના પિતાજીને પણ મેં ગુરુપદે સ્થાપ્યા છે. કારણકે ગ્રેજ્યુએટ થયા પછી મારો મિત્ર ખાનગી નોકરીમાં જોડાયો. પણ તેની લાક્ષણિકતા મુજબ તે નોકરીમાં ક્યાંય ‘મંગાળે મેશ અડવા ન દેતો’. એટલે કે ક્યાંય ટકતો નહિ. અને વારંવાર નોકરીઓ બદલતો. આવું ઘણા વર્ષા સુધી ચાલ્યું. એકવાર અમે તેના ઘેર બેઠા હતા. ત્યારે તેના પિતાજીએ મિત્રને સલાહ આપી કે તું આમ વારંવાર નોકરી બદલ્યા ન કર. કોઈ એક જ જગ્યાએ સ્થિર થઇ જા. ત્યારે મિત્રે કહ્યું કે, બાપુજી, હું ભલેને નોકરીઓ બદલ્યા કરું, આપણને અનુભવ મળેને!
              ત્યારે તેના વિલક્ષણ પિતાજી બોલ્યા આખી જીંદગી અનુભવ જ મેળવ્યા કરીએ તો પછી તે કામ ક્યારે લાગે?’
           આ ઘટનાથી મેં મિત્રના પિતાજીને ગુરુપદે સ્થાપ્યા.અને જ્ઞાન પ્રાપ્ત કર્યું કે જો પથારી કરવામાં જ સવાર  પડે તો સુવું ક્યારે?!

              આમ, જ્યાં જ્યાંથી જ્ઞાન મળે તેને ગુરુપદે સ્થાપું છું. ઓછામાં ઓછા ચોવીસ ગુરુના ટારગેટ છે. બાકી તો સ્કાય ઇઝ ધ લિમિટ!        
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા.....!!




૧૨/૧૦/૨૦૧૧

            સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા એ યુગોથી ઘૂંટાતું એક વણઉકેલ રહસ્ય છે. પ્રશ્ન એ છે કે સસરો સાંકડી શેરીમાં જ શા માટે મળે છે? વનિતા વિશ્રામના ગ્રાઉન્ડ પર, રીંગ રોડ પર કે ચોકમાં શા માટે નથી મળતા? વળી અહીં પ્રશ્ન એ થાય કે આખી ઘટનામાં જે ખરેખર રહસ્યમય છે તે સસરો છે કે સાંકડી શેરી? પ્રથમ દ્રષ્ટિએ શેરી જ કંઈક ભેદી જણાય છે. તેથી જ ત્યાં આવી ભેદી ઘટનાઓ ઘટતી રહે છે. વળી ડિટેકટીવ સ્ટોરીઓ લખવી જેના માટે ડાબો હાથનો ખેલ છે એવાં સિદ્ધહસ્ત લેખક માટે સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા એટલુ મુખડું જ પૂરતું છે. તેના પરથી તે એક રાતમાં એક ખોફનાક જાસૂસ કથા લખી શકે. સનસનીખેજ સમાચારો શોધી લાવતી નહિ પણ ગમ્મે તેવા સમાચારોને સનસનીખેજના તાવડામાં તળીને લોકોને પીરસનારી ચેનલ માટે ય આ મુખડું આખો દિવસ ચાલે એવું છે. સંકીર્ણ શેરી મેં મિલા શ્વસુરજી.... શૂમ...શૂમ્મ...શૂમ્મ...! કૌન થેથે શ્વસુરજી ? બડી બજારકે બજાય સંકીર્ણ શેરીમે કયું મિલે ?! કિસસે મિલે? કિતની બાર મિલે?  શૂમ્મ...શૂમ્મ...શૂમ્મ...! ચેનલ પાસે લોકોને માથે મારવા ખાસ કંઈ ન હોય ત્યારે ચેનલ ધારે તો આવા સનસનીખેજ સમાચાર પૂરું અઠવાડિયું ખેંચી શકે.
            સૌપ્રથમ તો રહસ્ય એ છે કે સસરાજીએ સાંકડી શેરી શા માટે પસંદ કરી? શું કોઈ સસરાજીને પાછળ પડ્યું હતું? પાછળ પાડનાર સાસુજી તો નહતા ને? સસરોજી શું આ રીતે પતલી ગલીસે નિકલ જાના ચાહતે થે? સાંકડી શેરી જેવો શોર્ટકટ જીવન માટે ખતરનાક છે એ શું સસરાને ખબર નથી? કે પછી સસરો ખુદ ખતરનાક છે કે પછી સાસુજી? શું અહીં સસરો CIACIACCIAનો એજન્ટ છે કે એલ.આઈ.સી.નો !  કોઇપણ શખ્સને ઝડપવો હોય તો CIAના એજન્ટ કરતાય એલ.આઈ.સી.ના એજન્ટ વધુ કાબેલ હોય છે. તેઓ ધારે તે શખ્સને પકડી તેનો વીમો ઉતારી નાખે છે.
             બીજું રહસ્ય એ છે કે સાંકડી શેરીમાં સસરોજી કોને મળે છે જમાઈને? જો હા તો શા માટે? ગહન ચિંતનને અંતે અમે એક એવાં તારણ પર આવીએ છીએ કે જમાઈએ જરૂર સસરા પાસેથી નાણા ઉછીના લીધા હોવા જોઈએ અને મુદત વીત્યાં પછી જમાઈ પાસેથી નાણાને બદલે નવી નવી તારીખો જ મળે છે. એટલે છેવટે સસરો ડેટિંગ કરી કરીને થાક્યો હશે. બીજો કોઈ હોય તો સસરોજી ભર બજારે અવળા હાથની બે ઠોકી દે. પણ આ તો જમાઈરાજ. એટલે સાપે છછુંદર ગળી. જમાઈની બોચી પકડાય નહિ. જમાઈને ધોલ-ધપાટ કરાય નહિ. વળી જમાઈ પાસે જાહેરમાં ઉઘરાણી કરાય નહિ. આવી મજબુરીને કારણે જે સસરાએ સાંકડી શેરી પસંદ કરી હશે. કારણ કે નાણાને બદલે ફક્ત તારીખો જ આપનાર જમાઈએ હવે મેઈનબજારમાં આવેલી સસરાની દુકાન પાસેથી નીકળવાનું બંધ કરી રસ્તો બદલી નાંખ્યો છે. અને હવે દરરોજ તે પાછળની સાંકડી શેરીમાંથી સરકી જાય છે. એટલે સસરાજીએ સાંકડી શેરીમાં જ જમાઈને ઝડપી લેવાંનો કારસો રચ્યો હશે.
વળી, આ ગીતની પંક્તિમાં આવે છે કે ...
સાંકડી શેરીમાં મારા સસરોજી મળ્યા,
મને લાજુ કાઢ્યાની ઘણી હામ રે...
એટલે અહીં સસરો સાંકડી શેરી અને લાજ કાઢવાની હામ એ ત્રણે બાબતો પરથી સાબિત થાય છે કે સસરા ઉઘરાણી અર્થે જમાઈને આંતરે છે. જયારે જમાઈએ અત્યાર સુધી લાજ નેવે મૂકી હતી. પણ હવે સસરોજી ભટકાઈ જ ગયા છે તો જમાઈરાજને લાજ કાઢવાની ઘણી હામ છે. પણ અહીં સસરોજી એવી તક આપતા નથી. છતાં સસરાનું માનવું છે કે જો શાંતિથી પતિ જતું હોય તો બબાલ ન કરવી.
         પણ જો સસરો સાંકડી શેરીમાં વહુને સામે મળ્યો હોય તો આ બાબત ઘણી સૂચક છે. તેને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. કારણ કે સસરો આ રીતે વહુને સાંકડી શેરીમાં મળે છે તો પછી ઘેર સાસુ શું કરે છે? આનો અર્થ એ છે કે સસરો સાસુના કહ્યામાં નથી. વળી બીજી તકલીફ એ છે કે આ બાબતે સાસુજી છાપાંમાં જાહેરાત પણ આપી શકતા નથી કે અમારા પતિ વખતચંદ હરદાસ અમારા કહ્યામાં નથી. કારણ કે એમાં તો સસરા કરતા આબરુ સાસુની જ જાય. સાસુની સખીઓ કહેશે અલી મંછા, તું તૈણ દોકડાના તારા પતિનેય કહ્યામાં ન રાખી શકી? તે જિંદગીમાં કર્યુ શું? ફટ છે તેને ! આ જો અમારા હસબન્ડ. ક્લાસ વન ઓફિસર છે ઓફિસમાં બધા તેનાથી ધ્રુજે છે પણ ઘેર પોતે ધ્રુજે છે. અમારી આંગળીના ટેરવે કથ્થક કરે છે. અમારી જીભ વળે ને એમનું ડીલ વળે.
             વળી પ્રશ્ન એ થાય કે રખડતા આખલાની જેમ સાંકડી શેરીમાં સસરોજી સામે મળતા હોય તો વહુએ શેરી શા માટે ન બદલી? વળી ગીતની આગળની પંક્તિમાં વહુ કહે છે કે સાંકડી શેરીમાં મારા જેઠજી મળ્યા મને ઝીણું બોલ્યાની ઘણી હામ રે એટલે બાપ તેવા બેટા. અહીં જેઠ પણ પૂજ્ય બાપુજીને પગલે જ ચાલે છે.  જયારે સસરોજી ન હોય ત્યારે તક મળ્યે શેરીમાં આંટા ફેરા મારે છે જેઠના આ કારસ્તાનની જેઠાણીને જાણ નથી. વહુ કોઈ અકળ કારણોસર ચૂપ છે. નહિ તો તેને ‘જેઠના મુદ્દે યોગ્ય કરવા વિંનતી’. એવી દેરાણીની એપ્લીકેશન ધ્યાનમાં લઈને જેઠાણી ખુદ જો જેઠને સાંકડી શેરીમાં સામે મળી જાય તો આજની ઘડી અને કાલનો દી જેઠ શેરી જ ભૂલી જાય. જો કે પછી તે શેરી છોડીને ચૌટા બજાર તરફ ન વળી જાય તેનું ધ્યાન રાખવું પડે.
               કદાચ કોઈ રાજકીય, સામાજિક કે કૌટુંબિક પ્રેસર દ્વારા વહુના મુખેથી ‘મને ઝીણું બોલ્યાની ઘણી હામ રે’ એવું નિવેદન કરાવામાં આવતું હોય એમ પણ બને. બાકી ખરેખર તો વહુ તેના જેઠ અને સસરાને સાંકડી શેરીમાં નહિ પણ ભર બજારે જાડું બોલીને ઝાટકી નાખવા માંગતી હોય એમ પણ હોઈ શકે. રાજકારણમાં આવું ઘણીવાર બને છે. અમુક નાના નેતાઓને પોતાનો મુખ્ય નેતા જરાય ન ગમતો હોય છતાં જાહેરમાં તેને પ્રસંશાના પુષ્પો ચડાવવા જ પડે. કારણ કે એમ ન કરે અને ક્યારેક સાંકડી શેરીમાં સાહેબ મળી જાય તો પછી ઝીણું બોલવાની હામ પણ નથી રહેતી. આવી જ સ્થિતિ કદાચ વહુની હોઈ શકે. તેથી જ ઝીણું બોલવાનો મુદ્દો ઝીણવટભરી તપાસ માગી લે એવો છે.
         જેમ ગામ હોય ત્યાં ઉકરડો હોય તેમ શેરી હોય ત્યાં સસરો તો હોય જ. અને સસરો કદી સામે મળ્યા વગર રહે જ નહિ. સામે મળ્યો એટલે સખણો રહે નહિ. એટલે વહુએ વારંવાર આ વિકટ સમસ્યાનો સામનો કરવો પડે છે. સાંકડી શેરીને કારણે જ કેટલીય વહુઓએ પોતાનાં સસરા અને જેઠથી જુદા રહેવાનો નિર્ધાર કર્યો હોય છે. કારણ કે સસરો ઘરમાં તો મર્યાદા પુરુષોત્તમ લાગતો હોય છે. પણ તેના અસ્સલ લક્ષણો શેરીમાં જ પ્રગટ થાય છે. ટૂંકમાં ઘરમે રામ ગલીમે શ્યામ આ રીતે વહુ દીકરો જયારે જુદા રહેવા જાય છે. ત્યારે લોકોને વહુમાં જ વાંક દેખાય છે. એમને ક્યાં ખબર છે કે પેલી સાંકડી શેરીમાં સસરો સીટીબસની જેમ આંટા ફેરા મારે છે. અને જેઠ પ્રેતાત્માની જેમ ભટકી રહ્યો છે. જે રીતે સાંકડી શેરીઓમાં ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવો જોઈએ એ રીતે સાંકડી શેરીમાં સસરા અને જેઠ પર પણ પ્રતિબંધ મુકવો જોઈએ. અથવા જો નીકળવું હોય તો જેઠાણી સાસુને સાથે લઈને જ નીકળવું એવો કડક આદેશ કરવો જોઈએ.
          સાંકડી શેરી એ ટાઉન પ્લાનીંગની દૂરંદેશિતાનો અભાવ દર્શાવે છે. કારણ કે જો શેરી પહોળી હોત તો સસરો કે જેઠ વહુને ગમે તેટલી વાર સામો મળે તો પણ વહુ તેનાથી સુરક્ષિત અંતર રાખીને નીકળી શકતી હોત. પછી તેને ઝીણું કે જાડું કોઈ બોલવાની જરૂર રહેત નહિ. પણ ટાઉન પ્લાનીંગ વાળાએ આ સસરો વહુ વાળી સમસ્યા પર કોઈ ધ્યાન આપ્યું નહિ. એજ રીતે સાંકડી શેરીમાં આર્થિક સંકળામણ વાળાને કોઈ લેણદાર મળી જાય, પોલીસને ચકમો આપીને નાસી છુટેલા આરોપીને ક્યારેક જમાદાર સામે મળી જાય, પતિદેવ કોઈ પડોશણ સાથે બે ઘડી પડોશી ધર્મ બજાવવા નીકળ્યા હોય અને સાંકડી શેરીમાં ધર્મપત્ની મળી જાય, તબિયત ખૂબ જ ખરાબ છે એવાં બહાના હેઠળ ઓફિસમાંથી ગુટલી મારી સાંકડી શેરીમાં ભેળ પૂરી ખાતા કર્મચારીને સાહેબ સામે મળી જાય. ત્યારે એવાં લોકોની હાલત ઘણી કરુણ બની જાય છે. આમ સાંકડી શેરીમાં ટ્રાફિક સિવાયની બીજી ઘણી સમસ્યાઓ સર્જાય છે.
ગીતમાં સસરો તો માત્ર પ્રતિક છે. ખરેખર તો સસરાના માધ્યમ દ્વારા કવિએ ટાઉન પ્લાનીંગવાળાને ટપાર્યા છે.     
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

Saturday 6 September 2014

હાથી ઉપર બાવો !


તા : ૧૫/૬/૨૦૧૧
હમણાં એક ત્રીજુ ધોરણ પાસ કરીને ઉપર ચડાવ્યાની નોંધ વિના જ ચોથા ધોરણમાં પ્રવેશેલા બાળકના ગુજરાતી વિષયમાં સારા ગુણ જોઈને મેં પૂછ્યું, ગુજરાતીમાં કયો નિબંધ પુછાયો હતો?

બાળકે કહ્યું, હાથી
એટલે મેં આગળ પૂછ્યું, હાથી વિશે તેં શું લખ્યું હતું તે કહીશ?
બાળક તેજસ્વી હતો. તે તરત જ નિબંધ બોલવા લાગ્યો, હાથી મોટું પ્રાણી છે. હાથીને ચાર પગ હોય છે, હાથીને લાંબી સૂંઢ હોય છે. હાથી ઉપર બાવો હોય છે.

આ છેલ્લું વાક્ય મને સ્પર્શી ગયું. નિબંધમાં તેની મૌલિકતા જોઈને હું ખુશ થઇ ગયો અને મને વિચાર આવ્યો કે ખરેખર આપણા નસીબમાં એ નથી કે હાથી ઉપર રાજા જોવા મળે. હવે તો હાથી પર અંબાડી પણ જોવા મળતી નથી. આપણને તો હવે હાથી પર બાવો જોવા મળે છે.
        સુરત જેવા મોટા શહેરોની ગલીઓમાં બાવાઓ હાથી ઉપર સવાર થઇને પહોંચી જાય છે અને હાથી પાસે રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયાની ભીખ મંગાવે છે. જો રૂપિયો બે રૂપિયા માગવા હોય તો બાવો એકલો નીકળે તો ય પતી જાય. યા તો સાથે કોઈ વાંદરું કુતરું જેવા વાજબી પ્રાણીનો ઉપયોગ કરી શકાય. લોટનો ડબ્બો લઇ જવાં માટે સાયકલ કે સ્કૂટરનો ઉપયોગ કરાય, તેના માટે બુલડોઝર ન વપરાય. જો કે ભીખ માગવા માટે તો વાંદરા, કૂતરાનો ય શા માટે દુરૂપયોગ કરવો જોઈએ. પ્રાણીઓને તો ભીખ માંગવાની ટેવ જ નથી હોતી. તમે ક્યારેય જોયું કે વાંદરી કે બિલાડી ક્યારેય રૂપિયા માગવા નીકળી હોય. એ લોકોને એ ફાવે જ નહીં. વળી, એમના સમાજમાં બાવાઓ પણ નથી. એમને તો માગવું એ મરવા બરાબર લાગે. પણ તેને વાચા ન હોવાથી તેઓ લાગણીઓ વ્યક્ત કરી શક્તા નથી. બાકી કાંઈ રૂપિયા બે રૂપિયાની ભીખ માગવા માટે આખે આખો હાથી ન વેડફી નખાય. હાથીનો આનાથી મોટો દુરુપયોગ બીજો કયો ! હાથીએ આમાં શું સમજવું?

એક સમય હતો કે જ્યારે પોરસ જેવા મહાન સમ્રાટો હાથી પર સવાર થઈને સિકંદર જેવા શહેનશાહ સામે ભીષણ યુદ્ધ લડતા અને આજે એ જ હાથી પાસે ન કરવાનું કરાવાય છે. શું સમય આવ્યો છે ! અલબત્ત, હાથીઓનો. બાવાઓને તો હાથી જેવું જનાવર હાથ લાગવાથી એમને તો જમાનો આવ્યો છે. હાથીવાળા બાવાઓની તો સ્પેશયલ નોંધ લેવાય છે. પણ ઉપર બાવો બેઠો હોય એવી હાલતમાં હાથીને હાથણી જોઈ જાય તો હાથીની ઇજ્જતનો તો ફાલુદો જ થઇ જાય ને. ધારો કે આપણે મોટા ઓફિસર, શેઠ કે શાહુકાર છીએ એવો સિક્કો આપણી પ્રિયા સામે જમાવ્યો હોય અને એ પ્રિયા કોઈ વાર એકાએક ટ્રેનમાંથી ઊતરે ત્યારે રેલવે સ્ટેશને આપણે લાલ ખમીસ પહેરીને સામાન ચડાવતા હોઈએ અને તે દ્રશ્ય પ્રિયા પોતાની આંખમાં આંજી લે તો આપણી તો પથારી જ ફરી જાયને ! બસ એવી જ દશા હાથણીની થાય.      
        વળી, બાવાઓની હૈસિયત પણ કેટલી? હાથી પાસે શું મગાવાય તેનુંય તેને ભાન નથી. હાથી જેવો હાથી હાથ લાગ્યો છે તો પછી કમ સે કમ પાંચસોની નોટથી જ શરૂઆત કરાય. રૂપિયા બે રૂપિયા માટે હાથી પાસે ઘૂંટણિયાના વળાવાય કે ચિંધાડ ના મરાવાય. (સિંહ ગર્જે, હાથી ચિંઘાડે એટલે વોઇસ ઓફ હાથી, ઓરિજિનલ.) એ તો વાંદરાનો વ્યાયામ હાથી પાસે કરાવ્યો કહેવાય. સમશેરથી શાકભાજી ન સમરાય કે ડબ્બાના જામ થઇ ગયેલા ઢાંકણ ન ખોલાય. વળી, આમ જૂઓ તો આપણે હાથીને ગણપતિદાદાનું સ્વરૂપ માનીએ છીએ. એટલે તો બાવાઓ પણ બાવાહિંદીમાં આપણને કહે છે, દેખ બચ્ચાં, યે ગનપતિદાદા હય. ઇસકુ પરનામ કરો બચ્ચાં. વળી, બાવાઓના મુખેથી સંભળાતું સૌથી ખરાબ સંબોધન છે બચ્ચાં તેના બાપ જેવડાને ય સાલાઓ બચ્ચાં કહીને સંબોધે છે. આપણને કહેવાનું મન થાય કે અરે બાવાલાલ, તને ખબર છે કે આ ગણપતિદાદા છે તો પછી ભીખ મંગાવવા શા માટે નીકળ્યો છે. પણ બાવા કોને કહ્યા છે ! બાવાઓ ભીખ માંગે યા તો મંગાવે.
આવી રીતે જ્યારે જ્યારે હું બાવો વીથ હાથી જોઉ ત્યારે  વિચાર આવે કે તેના પર ચડી બેસીને કનડગત કરતાં બાવાને હાથી ટાટીયો ઝાલીને ફગાવી દેતો કેમ નથી. એકવાર જો બાવાને બોચીએથી પકડીને ઉછાળે તો જીવનભરનું સુખ થઇ જાય. પણ સવાલ છે પ્રેરણાનો. હાથીને આવી બાવા-વિસર્જનની પ્રેરણા આપે કોણ?! બાકી તો જંગલના રાજા સિંહ જેવો સિંહ પણ એકલો હોય ત્યારે હાથીને અડપલું કરવાની હિંમત નથી કરતો અને આ બાવાઓ સાલ્લા હાથીનો હાથલારીની જેમ ઉપયોગ કરે છે. હાથીઓ પણ ભારતની જનતા જેવા બની ગયા છે. હાથી કરતાં અનેકગણી શક્તિશાળી આ દેશની જનતાની માથે ચડી બેઠેલા ઝાભ્ભાઓને ય ફેંકી દેવાનું તેને ક્યાં સુઝે છે? તેઓ જનતાને જ્યાં દોરી જાય ત્યાં દોરાય છે અને જનતા પોતાના હક્કને ય ભીખારીની જેમ માગે છે. બાકી જો આખા દેશની જનતા એક સાથે ખોંખારો ખાય તો ય બધાના ધોતિયા ઢીલા થઇ જાય.
હાથીમાં શક્તિ ઘણી છે. પણ તેને પોતાને શક્તિનો કોની સામે કંઈ રીતે ઉપયોગ કરવો તેનો ખ્યાલ નથી. નહિ તો તે બાવા પાસે પોતાની શક્તિ મુજબની ભક્તિ કરાવી શકે. તેથી જ અહીં એક વાત યાદ આવે છે કે એક છકી ગયેલો સિંહ ભયંકર ગર્જનાઓ કરતો આખું જંગલ ધ્રુજાવતો નીકળી પડ્યો. સામે વરુ મળ્યું. તરત જ સિંહ વધુ એક ગર્જના કરીને પૂછ્યું, બોલ એ લબાળ, જંગલનો રાજા કોણ?
        વરુએ ધ્રુજતા સ્વરે જવાબ આપ્યો, એ તો બાપુ તમે જ ! તમારા સિવાય રાજા બીજો કોણ હોઈ શકે! વરુના શબ્દો સાંભળી સિંહના વોલ્ટેજ વધ્યા. પછી તો તેણે સસલાં, શિયાળ, ઝરખ, ચિત્તા, દીપડા બધાને આવી તોછડાઈથી પૂછ્યું અને બધાએ ધ્રુજતા, ડરતાં, ફફડતાં એક જ જવાબ આપ્યો, રાજા તો બાપુ તમે જ! બાકી કોની માએ સવાશેર સૂઠ ખાધી છે કે આ જંગલનો રાજા થાય. હવે સિંહને જમાના હમસે હૈ, હમ જમાને સે નહીં વાળો કેફ ચડી ગયો. એ કેફમાં જ આગળ ચાલ્યો ત્યાં સામે પહાડ જેવો મદમસ્ત ગજરાજ પોતાની મસ્તીમાં ચાલ્યો આવે. તેણે તો સિંહરાજાની નોંધ પણ ન લીધી. એટલે સિંહ ફરીથી બે-ચાર બિનજરૂરી ગર્જના કરી બોલ્યો, બોલ બે લબાડ! જંગલનો રાજા કોણ હેં? વાક્ય પૂરું થતાં જ હાથીએ સિંહને બોચીમાંથી પકડ્યો પછી હવામાં બે-ચાર હિંચકા ખવડાવી એવો ફગાવ્યો કે સિંહરાજા છેક બાઉન્ડ્રીની બહાર જઈને પડ્યો. પછી હાથી તો તરત જ ઝાડ પાનનો નાસ્તો કરવા લાગ્યો.  સિંહનો પારો છેક તળિયે સ્પર્શી ગયો.  અડધો કલાક પછી મંદ સ્વરે બોલ્યો, અલ્યા ખબર ન હોય તો ના કહી દેવાય. પણ આવું કરાય?
        આપણે ત્યાં કહેવત છે કે હાથી જીવતો લાખનો, મર્યા પછી સવાલાખનો (કહેવત જુના ભાવ પ્રમાણે છે.) આ ફક્ત કહેવત નથી હકીકત છે એટલે તો પેલા મૂછાળ વિરપ્પને કેટલાય હાથીઓને સવા લાખના કરી નાખ્યા. પણ આ બાવાઓએ તો હાથીને જીવતાં જ કોડીનો કરી નાખ્યો છે. પ્રાથમિક શાળામાં જ્યારે જેમને જોઈને હાથણીની યાદ તાજી થાય એવાં શિક્ષિકાબહેન નિબંધમાળામાંથી અક્ષરશ: હાથી નિબંધ લખાવતા. (આ નિબંધ લખાવવાની પરંપરા પણ હાથી જેટલી જ જૂની છે.) ત્યારે હાથી જોવા મન આતુર હતું. વળી, હાથીના પરાક્રમો વાંચ્યા સાંભળ્યા પછી અમારી હાથીદર્શનની મહેચ્છા વધી ગઈ. પણ પ્રથમવાર જ્યારે બાવાને હાથી હંકારતો જોયો ત્યારે હાથી પરથી માન ઊતરી ગયું. હાથી વિશેય શંકા જાગે કે હાથી તે આવો હોય. આ રીતે તો એક બકરીને ય દોરી જઈ શકાતી નથી. હાથી જેવા હાથીની આટલી બધી નિષ્ક્રિયતા. બાવાઓ હાથીનો આમ બાજારુ ઉપયોગ કરે એ આપણા જેવા હાથીપ્રેમીઓથી કેમ જોવાય. આમાં તો ખરેખર હાથી બાવો થયો ગણાય. બાકીતો બાવાઓ જાહેરમાં વૈરાગી અને ખાનગીમાં બહુરાગી હોય છે. ગુરુ કી કૃપાસે.
        કારણ એટલું જ કે હાથીના મનમાં પણ ભારતની પ્રજા જેમ જ એક વાત ઊતરી ગઈ છે કે આપણાથી હવે બાવા સામે કશું જ ન થઇ શકે. આમ થવાનું કારણ એટલું જ કે હાથીને પોતાને શક્તિનું ભાન નથી. જો હાથીને એટલું ભાન થઇ જાય તો બાવો હંમેશા હાથીથી સો મીટર જેટલું સુરક્ષિત અંતર રાખે. ભારત દેશની જનતાનું પણ હાથી જેવું જ છે તેણે પોતાની શક્તિનું ભાન નથી. બાકી જૂઓ અન્નાજી એ એક કદમ આગળ માંડ્યું ત્યાં જ જનતા પર ચડી બેઠેલા ઝભ્ભાઓની ઊંઘ હરામ થઇ ગઈ. માટે હાથી અને ભારતને જનતાએ  જાગી જવાની જરૂર છે. આ બાજુ અન્નાજીએ ભ્રષ્ટાચાર સામે આંદોલન છેડ્યું તો ત્યાં પણ બાવા પહોંચી ગયા છે અને તેઓ તર્કટાસન કરી રહ્યા છે. (તર્કટાસન એટલે તક મુજબ કરવામાં આવતું તરકટ) એટલે હાથીઓ અને ભારતની જનતાએ બાવાઓથી ચેતવા જેવું છે. અન્નાજીએ પણ ચેતવા જેવું છે નહીં તો તેમની દશા હાથી જેવી થઇ જશે.

ગરમાગરમ :
એક ઓળખીતા સજ્જન મળ્યા, શરીરે એકદમ સુકલકડી છે. મને કહે, બ્લડ ડોનેટ કરી આવ્યો.
તમારા શરીરમાં તો એટલું લોહી જણાતું નથી, શા માટે રક્તદાન કર્યુ? મેં તેમને ઠપકાભર્યા સ્વરે સવાલ કર્યો. એટલે સજ્જન ફિક્કું હસીને બોલ્યા, રૂપિયા પચાસ હજારનું ડોનેશન આપી પોત્રને કે.જી.માં માંડ દાખલ કર્યો, લોહીનું પાણી કરીને બચાવેલ રૂપિયા એ સ્કુલને બાળ્યા.
-વિનોદ ભટ્ટ (સોટી વાગે ચમચમમાંથી)
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...