Saturday 1 September 2012

ફાળાનો ફૂંફાડો


અમારા સમાજનું વિકાસ મંડળ દર વર્ષે શરદપૂનમના દિવસે સમાજના સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરતું. જેમાં ભોજન સમારંભ, તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ જેવા કાર્યક્રમો રાખવામાં આવતા. સમાજનો વિકાસ થાય, લોકો એકબીજાથી પરિચિત થાય એવા ઉદ્દેશથી વિકાસ મંડળ ચલાવતા. આ રીતે સમાજનું ઋણ અદા કરવાનો અમારો નમ્ર પ્રયાસ હતો. આ રીતે કાર્યક્રમનાં આમંત્રણ કાર્ડ આપવા અમે વિકાસ મંડળના કાર્યકરો પાંચ-સાતના જૂથમાં શરદપૂનમના પંદર દિવસ પહેલાં નીકળતા. સમાજનાં ઘેર ઘેર જઈ રૂબરૂ નિમંત્રણ પાઠવતા. આ કાર્યમાં મને પણ સામેલ કરવામાં આવતો.
આવી રીતે ગયા વર્ષે અમે આમંત્રણ કાર્ડ આપવા એક ફ્લેટમાં ગયા. જેવા અમે ફલેટના બેઠકખંડમાં પ્રવેશ્યા કે તરત જ ઘરના મોવડીભાઈએ અમને આવો… આવો… કહીને ઉષ્માભર્યો આવકાર આપ્યો. ઊભા થઈ પાંચે-પાંચ સાથે હાથ મિલાવ્યા. હું જરા વધુ હસ્યો તેથી મને તો રીતસર ભેટી પડ્યા. કાગબાપુએ ‘એ જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે’માં જે કંઈ વર્ણવ્યું છે તે અહીં સાક્ષાત્ અનુભવ્યું. અમે ધન્ય થઈ ગયા. ભાઈનો આટલો બધો ભાવ જોઈ કાંઈ ગેરસમજ તો નથી થતી ને ! એવી આશંકાથી મેં કહ્યું : ‘ઓળખાણ પડીને ? અમે વિકાસ મંડળવાળા.’ ત્યાં તો ભાઈ બમણા ભાવવધારા સાથે બોલી ઊઠ્યા, ‘હા, ભાઈ હા ! ઓળખાણ કેમ ન પડે ? આ મુકેશભાઈ, પેલા રક્ષિતભાઈ અને તમે પંડ્યાભાઈ.’ અમને આનંદ થયો.
તેમણે રસોડામાં તેમનાં ધર્મપત્નીને ચા માટે હુકમ કર્યો. અમે ભારપૂર્વક ‘ના’ કહી. તેમણે અમારી ‘ના’નો સવિનય અસ્વીકાર કરતાં કહ્યું, ‘તમે બધા ભાઈઓ અમારે આંગણે ક્યાંથી ! ચા તો પીવી જ પડે’ આટલું કહી તેઓ ‘સમ’ (સોગન) પર આવી ગયા અને ગળું પકડી લીધું (પોતાનું જ). અમે તેમને કાર્યક્રમની વિગત જણાવી આમંત્રણ કાર્ડ આપ્યું અને કહ્યું : ‘શરદપૂનમના સ્નેહમિલનમાં ભૂલ્યા વગર વાડીમાં આવી જજો.’ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરતાં તેમણે કહ્યું : ‘સ્નેહમિલનમાં તો આવવું જ પડેને. આપણી ફરજમાં આવે. તમે બધા સમાજ માટે આટલી દોડા-દોડી કરો છો તો અમારી કોઈ ફરજ ખરી કે નહિ ? નહિ તો અત્યારે કોને ટાઈમ છે આ લમણાઝીંક કરવાનો.’ આ સાંભળી અમારો ઉત્સાહ બેવડાયો નહિ બલકે સીધો જ ચોવડાયો. અમે કહ્યું, ‘હા ભાઈ, થાય એટલું કરીએ બીજું શું ?’ ત્યારે તે બોલ્યા, ‘થાય એટલું એટલે ? આ શું ઓછું છે ? સેવામાં તો લોહી-પાણી એક કરવાં પડે ભાઈ ! આ કાંઈ સહેલું નથી. બાકી પૈસા તો સૌ કમાય છે. પણ સમાજ માટે ઘસાય એ જ સાચા.’ તેમની વાતમાં તેમનાં પત્ની પણ મલકતા મુખે સ્વર પુરાવતાં હતાં. સામે બારીએ બેઠેલા દાદાજી પણ લીલીછમ્મ બીડીની ટેસથી ફૂંક લેતાં લેતાં માથું હલાવી વાતને ટેકો જાહેર કરી રહ્યા હતા. આમ, સમાજસેવાની ભાવના ચરમસીમાએ પહોંચી હતી. વાતાવરણ જીવંત બની ગયું હતું.
પછી અમે વિશેષ વિગતો જણાવતાં કહ્યું : ‘આ સ્નેહમિલન માટે જે કાંઈ ફાળો લખાવવો હોય તે પણ અત્યારે જ…!!’ ‘શું…..ઉ, ફાળો….ઓ !’ ભાઈને 9.8 રિક્ટર સ્કેલનો આંચકો લાગ્યો. ત્યાં તો અમારા ખજાના વગરના ખજાનચીએ તેમના તરફ ફાળાનો ચોપડો લંબાવ્યો. ચોપડાને બદલે ફણીધર નાગ લંબાવ્યો હોય તેમ તે ભાઈ સંકોચાયા. સ્નેહમિલનવાળા અમે બધા હવે તેમને ‘સ્નેહવિલન’ દેખાવા લાગ્યા. બે ઘડી તેમને ધ્રૂજ વછૂટી ગઈ. પછી થોડી વારે કંઈક સ્વસ્થ થયા. ઉત્સાહ તો સાતમે પાતાળ જતો રહ્યો અને બીમાર સ્વરે બોલ્યા, ‘ફાળો તો ત્યાં લખાવી દઈશું.’ મેં કહ્યું, ‘અમારે ખર્ચ પેટે અમુક રકમ એડવાન્સ આપવાની હોય છે એટલે અગાઉથી થોડોક રોકડફાળો થઈ જાય તો સારું પડે.’ ઓરડાના બારણા આડેથી દાદીમા મુંબઈની ટ્રેનનો મુસાફર ખિસ્સાકાતરુને જુએ એમ અમારી સામે જોવા લાગ્યાં. અમે ફાળો લેવા નહિ પણ પ્રાણ લેવા આવ્યા હોઈએ તેવા લાગ્યા. શનિ જેમ જાતક પર વક્ર દષ્ટિ કરે એમ દાદા અમારા પર વક્ર દષ્ટિ કરવા લાગ્યા. આઘાતનાં મોજાં છેક રસોડા સુધી પહોંચ્યાં. મહેમાન આવતાં જ ચૂલે લાપસીનાં આંધણ મુકાય એવા ઉત્સાહથી બહેને ચૂલે ચાની તપેલી ચડાવી હતી તેમાં આંધણ ઊકળતું જ રહ્યું. પણ ચા કે દૂધ ન ભળ્યાં. બહેન રસોડામાંથી પતિદેવ સામે ત્રાટક કરવા લાગ્યાં. તેમને ચિંતા હતી કે પતિદેવ હમણાં જ ફાળામાં બસ્સો રૂપિયાનું આંધણ કરી નાખશે (જો કે અમને તો ખાતરી હતી કે કાગડો રામ નહિ કહે.)
સત્યનારાયણની કથામાં સાધુવાણિયાનું વહાણ ડૂબવાથી લીલાવતી-કલાવતીની જે દશા થાય છે એવી દશા મા-દીકરીની થઈ. તેઓ રસોડું રઝળતું મૂકી બચાવ અર્થે બેઠકખંડમાં ધસી આવ્યાં. ફાળાની ચર્ચા સાંભળીને દાદાના મોઢામાં બીડી એમ ને એમ ઠરી ગઈ ને ઉધરસ ઊપડી. દાદીમાએ ચપટો ભર્યા વગર જ છીંકણીની ડબ્બી બંધ કરી દીધી. આવી નાજુક પરિસ્થિતિ વચ્ચે મેં હિંમત એકઠી કરીને હસતાં મુખે કહ્યું : ‘વડીલ શક્ય હોય તો ફાળો અત્યારે જ લખાવો તો સારું.’ અહીં અમારાં મુખ હસતાં હતાં પણ પ્રયત્ન મરણિયા હતા. ફાળાથી બચવા ભાઈએ અમારી સાથે મોંઘવારી, મકાનભાડા, દવાખાના જેવા કરુણ વિષયોની ચર્ચા આદરી. ચર્ચા કર્યા વગર તો છૂટકો જ નહોતો, છતાં દર ચાર-પાંચ મિનિટે અમે કાર્યકરો એકબીજાને ‘ખો’ આપીને વાતને ફાળા પર લાવતા હતા. પણ હવે તેઓ કોઈ રીતે ‘સમ’ પર આવતા નહોતા. આમ વિષય અને વિષયાંતરની સંતાકૂકડી સતત ચાલુ રહી. ઘડીભર પહેલાં તેમનાં પત્નીએ અમારી સાથે અનેક સગપણો કાઢ્યાં, ઓળખાણો કાઢી તેમના કુટુંબનો એક-એક સભ્ય અમને ક્યાંક ને ક્યાંક સગો થાય છે એવું સાબિત કર્યું હતું. તે પળવારમાં સાવ અજાણ્યાં થઈ ગયાં. હવે પોતે જ ઓળખાણરૂપી ખાણમાંથી બહાર નીકળવા મથવા લાગ્યાં.
ફરીથી અમારા ખજાનચીએ વધુ એક મરણિયો પ્રયાસ કરતાં ફાળાની યાદી બહેનને બતાવી. બહેન જરા ઉસ્તાદ નીકળ્યાં. તેમણે કહ્યું : ‘શરદપૂનમના દિવસે તો અમે બધાં લગભગ બહારગામ જવાનાં છીએ.’ બહેનના જવાબમાં પ્રશ્ન ખડો કરતાં મેં કહ્યું, ‘ભલેને બહારગામ જવાના હો, ફાળો તો સમાજસેવામાં વપરાશે માટે વડીલ જે કોઈ તમારી ઈચ્છા હોય તે….’ જોકે વડીલની એમ જ ઈચ્છા હતી કે અમે ત્યાંથી વહેલી તકે વિદાય લઈએ. પણ લાગણી વ્યક્ત કરી શકતા નહોતા. હવે ચર્ચા માટે અન્ય કોઈ વિષયો બચ્યા નહોતા. એટલે છેલ્લે તો ફાળાનો કરુણ મુદ્દો જ ચર્ચાને એરણે ચડ્યો. તેથી છેલ્લા સંવાદોએ તો ‘જીવને ને જમને વાદ હાલતો હોય’ એવું કરુણ સ્વરૂપ ધારણ કર્યું. પરિસ્થિતિ શેરબજારમાં કડાકા બોલી ગયા હોય એવી થઈ ગઈ. આખું ઘર લગભગ અવાચક થઈ ગયું. અમે તેમના માટે માઠા સમાચાર લઈને આવ્યા હોઈએ તેવા સાબિત થયા. જે આમંત્રણ કાર્ડનો તેમણે લગ્ન કંકોતરીની જેમ સ્વીકાર કર્યો હતો તે તેમને ‘મેલો’ લાગવા માંડ્યું. છેવટે અમારે ભારે હૃદય ને હળવા હાથે વિદાય લેવી પડી. ત્યારે અમને ખ્યાલ આવ્યો કે વિદાયની વેળા કેટલી વસમી હોય છે જે તેમના માટે એટલી જ આનંદદાયક હતી. સમાજનું ઋણ ચૂકવવાનો અમે આ સૌથી કરુણ માર્ગ પસંદ કર્યો છે તેનું અમને ત્યારે ભાન થયું.
આવા કાર્યમાં કાર્યકરો મારો ખાસ આગ્રહ રાખતા તેથી હું મારા વાકચાતુર્ય વિશે ગૌરવ અનુભવતો. પાછળથી અમારા એક અગ્રણીએ જણાવ્યું કે તમને જોઈને લોકોને તરત કંઈક આપવાની ભાવના જાગે છે તેથી સાથે લઈ જઈએ છીએ. આ સાંભળીને હળવો આઘાત લાગ્યો પણ પછી સ્વસ્થ થતાં વિચાર્યું કે ‘જેવી હરિની મરજી. ઈશ્વર આ રીતે આપણી પાસે સમાજસેવા કરાવવા ઈચ્છતો હશે.’ આ રીતે ચોપડો, પેન અને કાર્ડ સાથે અમે બહુરૂપીની જેમ બીજા ઘેર ગયા. તે ઘરવાળા તો અનુભવી હતા. અમને ઓળખતા હતા (જે રીતે ન ઓળખવા જોઈએ એ રીતે.) તેથી જેવા અમે ઘરમાં પ્રવેશ્યા કે બહેન એકલાં જ ! ભાઈ વિશે પૂછતાં જણાવ્યું કે તેઓ બહાર ગયા છે તેથી બહેનને આમંત્રણ કાર્ડ આપ્યું. પછી ફાળા વિશે ચર્ચા કરી. ત્યાં રસોડામાંથી એક વાસણ પડવાનો અવાજ આવ્યો. અમે રસોડા તરફ નજર ખેંચી કે તરત જ બહેન બોલ્યાં, ‘એ તો મીંદડો છે મીંદડો (બિલાડો). હમણાં બહુ હરાડો થઈ ગયો છે.’ પણ અમારો એક બાજનજર કાર્યકર દરેક ઘેર જાય ત્યારે આખા રસોડાનું દર્શન થઈ શકે એવા ‘કિચન પોઈન્ટ’ પર જ બેસે. અહીં તે રહસ્ય પામી ગયેલો. ફરી અમને આંચકો લાગ્યો કે વર્ષમાં એક વાર ફાળાનું નામ પડે ત્યાં માણસ મરીને મીંદડા થઈ જાય તે સમાજનાં વિકાસ મંડળો વિકાસ કેવી રીતે કરી શકે ? ગાયો વગરના ગાયો માટે ફાળો ઊઘરાવી જાય છે. પણ અમારે એવું નહોતું. અહીં તો મંડળ ફાળો કરી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરતું. ઉપરાંત આખા કુટુંબને ભોજનની તક આપતું. જેથી રખેને કોઈને એમ થાય કે ફાળામાં વધુ પૈસા અપાઈ ગયા છે તો વસૂલ કરવાની તક હાથવગી રહેતી.
આમ ઘણી જગ્યાએ અમે કાર્ડ આપીને ‘ફાળો’ શબ્દ ઉચ્ચારીએ કે ઘરધણી છાપું વાંચવા માંડે. ગઈ કાલનું હોય તોય ! પછી છાપામાં મોં રાખીને સ્વબચાવમાં ‘શક્તિ એવી ભક્તિ’ સૂત્ર ફટકારે. પછી ‘એકસો એક’ લખાવે. તે એકસો એકમાં કુલ અગિયાર જણ જમવા આવે. ભોજન સમારંભ વખતે બુફેની લાઈનમાં શાક માર્કેટમાં ખૂંટિયો (આખલો) ઘૂસી જાય એમ વચ્ચે ઘૂસી જાય. વળી માથાદીઠ સાત સાત લાડવાની ‘શક્તિ’ ધરાવતા હોય છતાં તેના પ્રમાણમાં ‘ભક્તિ’ ન હોય. આવી ભક્તિને કારણે અમારા વિકાસ મંડળને ઘણી વાર અશક્તિ આવી જાય છે. અમને થાય કે જો આ રીતે જ ‘શક્તિ એવી ભક્તિ’ ચાલુ રહેશે તો નજીકના ભવિષ્યમાં જ વિકાસ મંડળનો વિનાશ થશે. આમ સરવાળે પરિસ્થિતિ એ આવીને ઊભી રહેતી કે જમણવારનો ખર્ચ કાઢવા માટે મરણિયા પ્રયાસ કરીએ ત્યારે માંડ મંડપ સર્વિસ જોગા થાય.
જ્યારે આ બધાથી વિરુદ્ધ કેટલાકને કાર્ડ આપતાં જ બોલી ઊઠે, ‘લખો આપણા પાંચસો એક !’ આવા ઉત્સાહથી ફાટફાટ થતા દાતા સન્મુખ અમારા એક કટુબોલા કાર્યકરે કહેલું, ‘તમ-તમારે લખાવોને પાંચ હજાર એક, પાંચસોમાં શું ! તમારે તો લખાવવા જ છેને !’ કાર્યકરનાં આવાં સાચાં વચનોથી તે ‘લખાવ દાતા’ને ખોટું લાગેલું. તેમણે સમાજમાં બળાપો વ્યકત કરતાં કહેલું, ‘જે લખાવશે તે ક્યારેક આપશે. લખ્યું વંચાય.’ આમ કેટલાક એવા ઉત્સાહી હોય છે કે જેમની પાસે ઉત્સાહ સિવાય બીજું કાંઈ હોતું નથી. એવા એક ઉત્સાહીએ કહ્યું, ‘લખો અમારા પાંચ હજાર એક.’ જેની સાથેના વહેવારમાં હંમેશાં સામેવાળાએ જ મૂંઝાવું પડે તે મુજબ અમે મૂંઝાયા ને કહ્યું, ‘પણ તમારા પાંચ હજાર એક…..?!’ ઉત્સાહીએ કહ્યું, ‘લખો તમતમારે. રામના નામે પથરા તરે, શું ? આ ફાળો તમારે મોટાઓને બતાવવા થાય કે જુઓ આવા નાના માણસો પાંચ-પાંચ હજાર લખાવે છે માટે તમારે તો પાંચથી ઓછા ચાલે જ નહિ.’ આવી રીતે કેટલાક સમાજ માટે ‘માત્ર ઉદાહરણરૂપ’ બનવા તૈયાર હોય છે. આવાં ઉદાહરણો જૂના ચોપડામાં પણ જોવા મળે છે. તેમાંથી કેટલાક પ્રેરણા લે છે. અમે એક નવી યોજના વિચારેલી જે અમે કાર્ડ આપતા ત્યારે કહેતા કે જો પાંચસો કુટુંબો સમાજ માટે દરરોજ એક રૂપિયો આપે તો વિકાસ મંડળ હજુ વધુ સારાં કાર્યો કરી શકે. આ વાત સાંભળી વડીલો ફાળાનો ચોપડો હળવેથી એક બાજુ હડસેલી એક રૂપિયાવાળી યોજના વિશે ઘણી બધી સલાહ આપતા. અંતે કહેતા, ‘દશેક વર્ષ પહેલાં આવી યોજના શરૂ થઈ હતી જે બંધ થઈ ગઈ.’ ત્યારે અમારો આત્મા બોલી ઊઠતો, ‘બંધ જ થઈ જાયને. ત્યારે પણ એક રૂપિયાને બદલે સલાહો જ મળતી. ભરપૂર પ્રોત્સાહન મળતું પણ જે રૂપિયો જોઈતો હોય તે કોઈ રીતે ન મળતો. આમ મોટા ભાગનાં ઘરો સ્નેહમિલન માટે (-કે જેમાં ભોજન સમારંભ પણ હોય છે) ઉત્સાહ દાખવતાં. પણ ‘ફાળો’ શબ્દ સાંભળીને ફફડાટ વ્યાપી જતો તેથી આવી પરિસ્થિતિમાં દર વર્ષે અમે ‘સ્નેહમિલનનો આ છેલ્લો કાર્યક્રમ છે’ એવું ધારીને નીકળતા- છતાં અમારું વિકાસ મંડળ છેલ્લાં દસ વર્ષથી ભારત સરકારની જેમ ટેકે ટકી રહ્યું છે. એ જ મોટું આશ્ચર્ય છે. તેથી જ પેલો દુહો યાદ આવી જાય છે કે….
કોઈને ખેતર વાડીઓ, કોઈને ગામ ગરાસ;
આકાશી રોજી ઊતરે, નકળંક દેવી દાસ.
આમ, અમારું વિકાસ મંડળ આ રીતે ચાલે છે. ‘ચાલે છે’ એ મહત્વનું છે તેથી જ અમે કારણો શોધવાની કડાકૂટ કરતા નથી.

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...