Saturday 1 September 2012

છાત્રાલયનું પ્રવેશ ફોર્મ


[ શ્રી જનક નાયક દ્વારા સંપાદિત ‘સંવેદન’ સામાયિકમાંથી હાસ્યલેખ સાભાર.]
પ્રવેશફોર્મ પૂરું વાંચ્યું ને હાંજા ગગડી ગયા. મારે તે વર્ષે શહેરના છાત્રાલયમાં ભણવા જવાનું હતું. તેનું ફોર્મ હતું. મૂળભૂત રીતે શહેરમાં રખડવાનો ખૂબ ઉત્સાહ હતો. જેને હું ભણવાના ઉત્સાહરૂપે પ્રગટ કરતો હતો. તેથી હું પ્રવેશફોર્મની કાગડોળે રાહ જોતો હતો. ફોર્મ આવી ગયું. આખું વાંચ્યા પછી બળબળતા વૈશાખમાં ધરતી પર ઢોળાયેલું પાણી વરાળ બનીને ઊડી જાય એવું જ ઉત્સાહનું થયું. ફોર્મના છેલ્લા બે પાનાં ભરીને દર્શાવેલાં ‘બત્રીસ ફરજિયાત નિયમો’એ મારા ઉત્સાહની વરાળ કરી દીધી. હવે તો હું ના પાડું તોય જવાનું જ હતું. કારણ કે ગામમાં તો નવ ધોરણ સુધી ભણતરની સગવડ હતી. એક બાજુ આ રાક્ષસની બત્રીસી જેવા બત્રીસ નિયમો ને બીજી બાજુ હું સાવ કુમળો કિશોર. આજ સુધી કોઈ ફોર્મ કાગળિયા પર આટલી ભયંકર શરતો વાંચેલી નહિ. તેથી પરસેવો વળી ગયો. જે ફોર્મની હું ‘લગ્નની કંકોતરી’ જેવી કલ્પના કરતો હતો તે મારા માટે ‘મેલો’ સાબિત થયું. બત્રીસે બત્રીસ નિયમો તો આજે યાદ નથી. પણ ઘણા બધા યાદ છે.
પ્રથમ નિયમ એવો હતો કે જે વિદ્યાર્થીના ગામમાં વધારે અભ્યાસની સગવડ નહિ હોય તેને જ પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ બેગ, બિસ્તરાં પોતાના લાવવાના રહેશે. આવા નિયમોનો તો કોઈ વાંધો નહોતો પણ સીધા જ હૃદયને સ્પર્શી જાય એવા નહિ, બલ્કે હૃદયને હડદોલો મારી જાય ને ધબકારા વધી જાય એવા નિયમો ઘણા હતા.
તેમાંનો એક નિયમ એ હતો કે વિદ્યાર્થીએ કોઈ પણ ઋતુમાં સવારમાં પાંચ વાગ્યે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના જાગી જવું પડશે. બીજા એકત્રીસને છોડો. હું તો આ એક નિયમ સામે પણ ટકી શકું એમ નહોતો. મહારથી કર્ણની સામે વિદુરજીને લડવા મોકલો તો કેટલું ટકી શકે ? મારી આવી સ્થિતિ હતી. કારણ કે પાંચ વાગ્યે એટલે પાંચ વાગ્યે જ ઊઠી જવાનું હતું. આપણે તો આજ સુધી કલાકોની ગણતરી કરી નહોતી જ્યારે અહીં તો ક્ષણે-ક્ષણની કિંમત હતી. સવારમાં ઊઠવા માટે કોઈ ઋતુબાધ નહોતો. પાંચ એટલે પાંચ જ ! ક્ષણવાર માટે પલાયનવાદ સ્વીકારી ફોર્મ મૂકી દેવાનું કર્યું. ત્યાં નીચે પડકાર ફેંકતો બીજો નિયમ મારી સામે આવીને ઊભો રહ્યો : ‘ઊઠીને દાતણ કર્યા પછી તુરત જ શૌચકર્મ પતાવીને સ્નાન કરવું ફરજિયાત રહેશે.’ આ નિયમથી પણ હું ધ્રુજી ઊઠ્યો. મને થયું કે ધારો કે ઊઠીને દાતણ કર્યા પછી તુરત જ શૌચકર્મ ન પતે તો ? ધારો કે આ ક્રમ આડો-અવળો થઈ જાય તો ! છાત્રાલયમાંથી પ્રવેશ રદ તો ન થાય ને ?
આ બાબતે પત્ર લખીને છાત્રાલયના સંચાલકોને પૂછી જોવાની ઈચ્છા થઈ પણ કદાચ પત્ર લખું ને પ્રવેશ આપનાર સાહેબને થાય કે આ સાલો તો હજુ આવ્યા પહેલા તો નિયમોની સમીક્ષા કરવા માંડ્યો છે, તો પ્રવેશ જ ન આપે. તેથી પૂછવાની હિંમત ન ચાલી. આ નિયમ પર અટકીને કુદરતના ક્રમ વિશે વિચારતો હતો ત્યાં નીચે ત્રીજો નિયમ હતો : ‘સ્નાન પછી એકાગ્રચિત્તે સમૂહ પ્રાર્થના કરવાની રહેશે. આ રીતે પ્રાર્થના કરશે તેને જ સવારનો નાસ્તો આપવામાં આવશે.’ ફરી મુંઝાયો. કારણ કે ઘરે તો સવારમાં સમૂહ પ્રાર્થનાની નહિ પણ સમૂહ નાસ્તાની જ ટેવ હતી. એટલે ઘરે તો જેવું મોંમાંથી દાતણ નીકળે કે નાસ્તો પ્રવેશી જતો. પછી કંઈક ચિત્ત એકાગ્ર થતું. જ્યારે અહીં તો ભૂખ્યા પેટે ચિત્ત એકાગ્ર કરવાનું હતું. વળી પ્રાર્થના કેટલી લાંબી હોય તે કોને ખબર ? એટલો સમય ચિત્ત કઈ રીતે એકાગ્ર કરવું ? મનને કઈ રીતે મારવું ? તેની વિમાસણમાં પડ્યો. યુગો સુધી તપશ્ચર્યા કરનારા ઋષિ-મુનિઓ પણ ચિત્તને એકાગ્ર નથી કરી શક્યા એવા ચંચળ ચિત્તને ઊઠતાંવેત ખીલે બાંધી દેવું તે કાંઈ ખાવાના ખેલ નહોતા. આમ છતાં જો ચિત્ત એકાગ્ર કરવામાં નિષ્ફળ ગયા તો સવારનો નાસ્તો પણ ન મળે. તેથી ચિત્તની એકાગ્રતા વિશે એકાગ્ર ચિત્તે વિચારવા માંડ્યો. ગંગાસતીના ભજનોમાં ‘ચિત્તની વૃત્તિ’ વિશે કંઈક સાંભળેલું તેમાંથી કંઈક માર્ગદર્શન મેળવી લેવા અંગે વિચાર્યું.
ત્યાં તો નાસ્તા પછી સૌથી કઠોર એવો વાંચનનો નિયમ આવીને ઊભો રહ્યો. જે આ પ્રમાણે હતો : ‘નાસ્તા પછી દરરોજ આઠથી દશ ફરજિયાત વાંચનમાં દરેક વિદ્યાર્થીએ ફરજિયાત હાજર રહેવું પડશે.’ આ નિયમમાં ‘ફરજિયાત વાંચન’ એવું સ્પષ્ટ દર્શાવી દીધું હોવા છતાં ‘ફરજિયાત’ ને ફરજિયાત સાબિત કરવા માટે બીજી વાર ફરજિયાત વાપર્યું હતું. આમ તો ઉપર જ મોટા અને કાળા અક્ષરને કુહાડો મારવાનું મન થાય એ રીતે ‘ફરજિયાત નિયમો’ એવું લખ્યું હતું. ઉપર આટલું ભારપૂર્વક ફરજિયાત લખ્યું હોવા છતાં બત્રીસ નિયમોમાં મેં ગણી જોયું કે સડસઠ વાર ફરજિયાત શબ્દનો ઉપયોગ કર્યો હતો. જો કે આ આપણા રાષ્ટ્રની પ્રકૃતિ છે. અહીં ‘ફરજિયાત’ એ ખરેખર ફરજિયાત જ છે એવું દર્શાવવા ફરજિયાત શબ્દને અનેકવાર વાપરવો પડે છે. આમ છતાં પણ ઘણી સરકારી ઑફિસોમાં કે જાહેર સ્થળોએ ફરજિયાત બિચારું રાંક બની બેઠું હોય છે ને લોકો મરજિયાતની મોજ માણતાં હોય છે ! અહીં સંચાલકો ફરજિયાતને જરા પણ મોળું પડવા દેવા માગતા નહોતા. ‘ફરજિયાત વાંચન’ બાબતે ફરી પ્રશ્ન થયો કે ‘ત્યારે લેખન કરવું હોય તો થઈ શકે ખરું ?’ મારા માટે તો બધા જ નિયમો યક્ષપ્રશ્નો હતા. પણ પૂછવા કોને ?
વળી વાંચન વિશે એક વિશેષ નિયમ હતો : ‘એક સાદા આસન પર, દિવાલથી દોઢ ફૂટ દૂર કોઈ પણ પ્રકારનો ટેકો કે આધાર લીધા વિના ટટ્ટાર બેસીને, પલાઠી વાળીને વાંચન કરવું. વાંચતી વખતે સૂવું નહિ કે પગ લાંબા કરવા નહિ.’ લ્યો બોલો ! આપણા જ પગને આપણે લાંબા ય નહિ કરવાના (ટૂંકા કરવાના ?). માત્ર આટલા પરથી આખું તત્વજ્ઞાન થઈ ગયું કે આ છાત્રાલયમાં ‘આપણે’ ખુદ આપણે નથી. ત્યાં આપણે આપણું અસ્તિત્વ નિયમોના ઘૂઘવતા પ્રવાહમાં ઓગાળી નાખવાનું હતું. અસ્તિત્વ મિટાવી નિયમબદ્ધ બનવાનું હતું. ફરી વિચારોના વમળો સર્જાયા કે મકાનોના ટેકા માટે જ દિવાલો બનાવવામાં આવી છે. આમ દિવાલો ટેકા માટે જ બની છે છતાં આપણે તેનો ટેકો નહિ લેવાનો ? જેસલ જાડેજાના ‘હૈડાં હાલોને અંજાર મુંઝાં બેલીડા’વાળા ભજનમાં જાડેજાને કોઈ કહે છે કે ‘ત્રાટા નહિ ઝીલે ભાર મુંઝા બેલીડાં, એવી ભીતું રે હશે તો ભાર ઝીલશે’ આ ભજન અનેકવાર સાંભળેલું. તો શું આ ભજનવાણી મિથ્યા છે ? ટટ્ટાર થવા માટે પણ ઘણીવાર ટેકાની જરૂર પડતી હોય છે. વાડ વિના તો વેલોય ચડતો નથી. આપણે ત્યાં તો આખે આખી સરકાર ટેકે ચાલે છે. જે દેશની સરકાર ટેકે ચાલતી હોય તે દેશ પણ ટેકે ચાલે છે એમ કહી શકાય. તો આપણે કલાક પૂરતો ટેકો શા માટે ન લઈ શકીએ ?
આ રીતે ટેકા અંગે ગડમથલ ચાલતી હતી ત્યાં વધુ એક નિયમ નજરે ચડ્યો, ‘છેક ઉપરની અગાશી પર ચડવું નહિ. પાઈપ પકડીને ઊતરવું નહિ. તથા બારીમાંથી જ્યાં ત્યાં ડોકાં કાઢવા નહિ.’ અહીં સંચાલકો એક સનાતન સત્યને ભૂલી ગયા કે બારી અને ડોકાને આદિઅનાદી કાળથી સંબંધ છે. આજ સુધી જેટલાં ડોકાં કઢાયાં છે તે બારીઓમાંથી જ કઢાયા છે, દિવાલોમાંથી નહિ. ડોકું કાઢવાની જરૂરેય આપણે જ્યાં ત્યાં જોવું હોય ત્યારે જ પડે છે. બાકી સામાન્ય રીતે બારીમાંથી દરરોજ જે દેખાતું હોય તે જ દેખાય છે. તેના માટે ડોકને તકલીફ આપવી પડતી નથી. જૂના રાજરજવાડાના ગઢમાં તો ‘ડોકાબારી’ નામે સ્પેશ્યલ બારીઓ પણ હતી. (‘ચોર દરવાજા’ અને ‘ધક્કાબારી’ઓ પણ હતી.) બસ કે ટ્રેનમાં પણ લોકો બારીએ બેસવા માટે સંઘર્ષ કરે છે. તેનું કારણ એ જ કે જરૂર પડ્યે બારીએથી ડોકિયું કરી શકાય. (સરકારી બસોમાં તો સંકટ સમયની બારી હોય છે જે ઘણીવાર સંકટ સમયે નથી ખૂલતી !) જે બારીમાંથી ડોકાં કાઢવાની મનાઈ ફરમાવવી એ તો 180 અંશ ફરી શકતી ડોક જેવી કુદરતી રચનાનું એટલે કે ખુદ કુદરતનું અપમાન કરવા બરાબર છે. જો ડોક નહિ ફરે તો મનુષ્ય આખો ફરશે… ખેર !
હૉસ્ટેલમાં તો બંને ટાઈમ સમૂહભોજન જ હોય. છતાં ‘જમતી વખતે વાતો ન કરવી’ એવો નિયમ હતો. જો કે આ નિયમ યોગ્ય હતો તે હૉસ્ટેલમાં ગયા પછી ખાતરી થઈ. છાત્રાલયમાં તો જમવાનું બધાને સાથે જ હોય એટલે બધા ભેગા થાય તેથી ત્યારે જ વધારે વાતો થાય. પણ અમારી હૉસ્ટેલની રસોઈ એવી હતી કે જમતી વખતે તમામ શક્તિ ભાખરી, રોટલી, રોટલા કે પૂરી તોડવા અને ચાવવામાં જ લગાડવી પડતી અને ખૂબ ચાવીએ તો જ ગળે ઊતરતી, તેથી વાતોને કોઈ અવકાશ જ નહોતો. ભોજન અને વાતો બંને સાથે થઈ શકે એવું અમારું ભોજન સરળ નહોતું.
આવા તો કંઈ કેટલાય નિયમો હતા. જેમ કે ‘કપડાં દરરોજ ધોઈ નાખવા. વાળ વધારવા નહિ (આપણે વધારીએ છીએ ?) હૉસ્ટેલના ચોગાનમાં લૂંગી કે ગંજી પહેરીને ફરવું નહિ. માથા પર રૂમાલ કે પટ્ટી બાંધવી નહિ. ઊંચા અવાજે બોલવું, હસવું કે બૂમો પાડવી નહિ. ચા, પાન, માવો, બીડી, તમાકુ આદિ વ્યસનો પર સખ્ત પ્રતિબંધ છે. જો કોઈ આવું વ્યસન કરશે તો તેનો તાત્કાલિક અસરથી પ્રવેશ રદ કરવામાં આવશે. ગૃહપતિ સાહેબની રજા સિવાય બહાર જવું નહિ. ગયા હો તો આવવું નહિ.’ આ બધામાં એક અતિ કઠોર નિયમ એ હતો કે ‘વિદ્યાર્થીઓએ એકબીજાને પૈસા ઉછીના આપવા કે લેવા નહિ.’ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આજ સુધી કોઈ માનવી એવો નહિ હોય જેણે જીવનભર કોઈની પાસેથી ઉછીનું ન લીધું હોય. જીવનમાં એક પણ પાપ ન કર્યું હોય તેવો માણસ શોધવો અશક્ય છે. એ જ રીતે આવો માણસ શોધવો પણ અશક્ય છે. અહીં તો પૈસા ઉછીના આપવા તો ઠીક લેવા પર પણ પ્રતિબંધ હતો. નાણા ઉછીના લેવાની જે અદ્દભુત કળા છે તેનું ગળું આ નિયમથી ટૂંપી દેવામાં આવ્યું હતું. ધારો કે હાલમાં નહિ પણ ભવિષ્યમાં ક્યારેક કડકાઈ આવી ગઈ અને પૈસા ઉછીના લેવાની જરૂર પડી ત્યારે જો પૈસા ઉછીના લેવાનો મહાવરો જ ન હોય તો પરિસ્થિતિ શું થાય ? પૈસાદારોએ પણ આ કળા તો શીખવી જ જોઈએ. આ બુનિયાદી તાલીમમાં નિપુણ થવાનો અહીં જ પૂરેપૂરો અવકાશ હતો. તેને ઊગતી જ ડામી દેવામાં આવી હતી. સંચાલકોને અનુભવ નહિ હોય કે માત્ર ઉછીના પૈસા પર જ આખું જીવન ગુજારી શકાય છે, જો આવડત હોય તો ! અહીં જો આ કળાને ભોંમાં ભંડારી દેવામાં આવશે તો ભવિષ્યમાં વિદ્યાર્થી એટલો નમાલો બનશે કે તેના સસરા પાસેથી પણ પૈસા ઉછીના નહિ લઈ શકે. પછી આ દેશનું ભવિષ્ય કેવું હશે ?
વળી આ નિયમમાં પેટા કલમ એવી હતી કે કોઈ દુકાનેથી ઉધાર લેવું નહિ. ચા-નાસ્તાની હોટલે કે પાનના ગલ્લે ખાતા રાખવા નહિ. આ નિયમ તો વિદ્યાર્થીઓ પર વજ્રઘાત સમાન હતો. જે હૉટેલ કે પાનના ગલ્લે પણ ખાતું નહિ ખોલાવી શકે તે બેંકમાં લોન ખાતું કઈ રીતે ખોલાવશે ? આપણા વિદ્યાર્થીઓનું સ્વિસ બેંકમાં ખાતું હોય એવું ઉચ્ચ ધ્યેય હોવું જોઈએ. તેનો એકડો અહીં લારી-ગલ્લા પર ઘૂંટી શકાય એમ હતો. કોઈ પણ લારીગલ્લે ખાતું રખાવવા માટે માણસમાં કેટલી આવડત જોઈએ. ગલ્લાવાળાને આપણે શકમંદ નહિ સદ્ધર લાગવા જોઈએ. આપણા પર વિશ્વાસ મૂકે એવું વાતાવરણ સર્જવું જોઈએ. એકાદ-બે મહિના સુધી તેનું ખાતું નિયમિત ભરપાઈ કરવું જોઈએ. સરવાળે તેને એમ લાગવું જોઈએ કે આવા ગ્રાહકો થકી જ આપણું ભવિષ્ય ઊજળું છે. આ રીતે વિશ્વાસ સંપાદન કર્યા પછી તે જ લારી ગલ્લાવાળાને જામીન રાખી તેની ભલામણથી બીજે પણ ખાતાં ખોલાવી શકાય. આવી રીતે વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્ણ વાતાવરણ પૂરું પાડવામાં આવે તો કેટકેટલી આંતરિક ચેતનાઓનો વિકાસ થઈ શકે તેમ હતો. પણ અહીં તો નિયમો વિદ્યાર્થીઓની ખીલતી શક્તિ સામે કાળમીંઢ ખડકની જેમ ઊભા હતા. વિશેષમાં એવો પણ વિચાર આવ્યો કે જો હું ગૃહપતિ હોઉં તો દર મહિને વિદ્યાર્થીઓને અમુક અમુક વ્યક્તિ પાસેથી પૈસા ઉધાર લાવવાનું, લારી-ગલ્લા પર ખાતાં રાખવાનું એસાઈનમેન્ટ આપત. માત્ર પુસ્તકિયું જ્ઞાન શા કામનું ? અહીંથી બહાર નીકળેલો વિદ્યાર્થી ક્યાંય મુંઝાવો ન જોઈએ. બીજાને મુંઝવણમાં મૂકી દે તેવો હોવો જોઈએ. પણ જીવનમાં જે બાબતો આવશ્યક હતી તેની સંચાલકોએ હળાહળ અવગણના કરી હતી.
આ બધા નિયમો કરતા એક નિયમ જરા જુદો પડતો હતો. જે મને પસંદ પડ્યો. નિયમ હતો : ‘છાત્રાલયમાં રહેતાં વિદ્યાર્થીએ નોકરી કરવી નહિ.’ શરૂઆતમાં તો પ્રશ્ન થયો કે વિદ્યાર્થીઓ નોકરી માટે તો ભણવા આવે છે. તો પણ ‘નોકરી પર પ્રતિબંધ’ પણ આ નિયમ પાછળનું હકારાત્મક પાસું મને ધ્યાનમાં આવ્યું કે કદાચ સંચાલકો હૉસ્ટેલમાં ભણ્યા હશે ત્યારે તેમને સમજાયું હશે કે જો વિદ્યાર્થીઓ અડધો દિવસ ભણશે ને અડધો દિવસ નોકરી કરશે તો અહીં તેનામાં જે ગુણોનો વિકાસ થવો જોઈએ તે થશે નહિ. વિદ્યાર્થી નવરો નહિ પડે તો પછી તેનામાં શહેરના રોડ માપવા, બીજાના પૈસે ફિલ્મ જોવી, રાત્રે મોડે સુધી રખડવું, મોડેથી હૉસ્ટેલનો બંધ દરવાજો કૂદીને અંદર આવવું, ગૃહપતિની નજરથી બચીને મોડું ઉઠવાની વિવિધ કરામતો સર્જવી, શિયાળાની સવારમાં નાહ્યા ન હોવા છતાં નાહ્યા હોય તેવા દેખાવું, અગિયાર વાગ્યાનો સમય હોવા છતાં ચૂપચાપ વહેલાં જમી લેવું, વાંચનના સમય દરમિયાન પલાંઠી વાળીને જ સમ્રાટ નેપોલિયનની જેમ બેઠાં બેઠાં જ ઊંઘ કરી લેવી, પ્રાર્થનામાં બીજાની હાજરી જુદો સ્વર કાઢીને પુરાવવી, ચા-પીવા માટે કોઈની પાછળ લટકી જવું, બીજાના ડબ્બા ખોલીને ચૂપચાપ નાસ્તા કરી લેવા વગેરે કૌશલ્યોનો વિદ્યાર્થી નોકરી કરે તો વિકાસ ન થઈ શકે. તેથી વિદ્યાર્થી જો પૂર્ણ સમય હૉસ્ટેલમાં વિતાવે તો જ આ ગુણોનો વિકાસ થઈ શકે તેમ હતો. તેથી કદાચ પ્રતિબંધ હશે. આ નિયમ મને ખૂબ ગમ્યો. જો આવા નિયમો ન હોય તો ભારત અને અમેરિકામાં ફરક શું ? આપણી સંસ્કૃતિની ઓળખાણ શું ? અહીં તો એકટાણાં કરવાનો વખત આવે તોય નોકરી ન કરવાના દ્રઢ નિશ્ચયને વળગી રહેનારા છે. આ નિયમને કારણે જ આજે હૉસ્ટેલ ખૂબ યાદ આવે છે.
નિયમો આમ તો પૂરા બત્રીસ હતા. દરેક નિયમ વાંચીને મને જે વિચારો આવ્યા તે ગ્રંથસ્થ કરવામાં આવે તો બત્રીસ દળદાર ગ્રંથો તૈયાર થઈ શકે. આવા નિયમોની નાગચૂડમાં ભેરવાઈને પણ હૉસ્ટેલમાં જવાનું તો હતું જ. તેથી ‘ડગલું ભર્યું કે ના હટવું ના હટવું’ (પિતાજી પણ હટવા દે તેમ નહોતા.) તેથી આગળ વધવું જ રહ્યું. તેથી અમારા ઘરમાં આજ સુધી ન થયું હોય તેવા મહાન કાર્યનો જાણે પ્રારંભ થયો. મારી હૉસ્ટેલ-ગમનની તૈયારીઓ થવા લાગી.

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...