Friday 29 April 2016

પેટ્રોલીયા પડતા મૂકો, દૈવી વાહનો વસાવો



૨૧/૧૨/૨૦૧૧
      આમ જુઓ તો મનુષ્યો અને દેવોમાં કોઈ તફાવત નથી. વળી મનુષ્ય ધારે તો સત્કર્મો કરીને દેવ થઇ શકે છે. પણ મોટાભાગના મનુષ્યો સત્કર્મો કરવાનો વિચાર કરતા કરતા જ દેવ થઇ જાય છે. અને આપણને છાપાના છેલ્લા પાનાં પરથી છેલ્લા શ્વાસ લેવાઈ ચૂક્યાની ખબર મળે છે. પણ માનવી અને દેવમાં તફાવત ફક્ત દ્રષ્ટિનો જ છે. દેવો દુરદેશી છે. તેમની પાસે દિવ્ય દ્રષ્ટિ છે. તેથી જ્કોઈ દેવના ચહેરા પર ચશ્માં જોવા મળતા નથી.પણ માત્ર ચશ્મા ન હોવાને કારણે જ દિવ્ય દ્રષ્ટિ હોય એમ કહી શકાય નહિ. કારણ કે એમ તો આપણા દાદા, પરદાદાઓને પણ ચશ્માં ન હોતા છતાય....! પણ દેવો દુરદેશી છે એમ એટલા માટે કહી શકાય કે તેમને પોતાનાં વાહનો તરીકે સજીવોને વસાવ્યા છે. બાકી દેવો ધારે તો ચૂટકી બજાકે મોટર, મોટરકાર કે હાઈટેક હવાઈ જહાજ વસાવી શક્યા હોત. પણ યુગો પહેલા તેમને અંદાજ આવી ગયો હતો કે કળીકાળમાં પેટ્રોલના ભાવો જયારે ભડકે બળશે અને લોકો ઓઈલ કંપનીઓના કર્તાહર્તા અને ચર્તાઓને ભડાકે દેવા તત્પર થશે ત્યારે યંત્રવાળા વાહનો ટીનકા ડબ્બા સાબિત થશે.
         વળી દેવોએ તો સ્વર્ગમાંથી વારંવાર વૈકુંઠ, કૈલાસ, પાતાળ, મૃત્યુલોકની મુલાકાત લેવાની થાય છે. વળી મૃત્યુલોકના મહામાનવો જયારે દેવોને પણ દેવ કરી દે એવાં ભયંકર રક્ષાસોનો વધ કરે ત્યારે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા માટે જવું પડે. નરસિંહ જેવી ભક્તિ ક્લાસિકલ ઢબે કે અન્ય ભક્તો કર્કશ અવાજે પોકાર કરે ત્યારે પણ તેને ઉગારવા દોડી જવું પડે. આવા લાંબા અંતરની મુસાફરીઓ માટે પેટ્રોલ પોસાય નહિ. અને પોસાય તેમ હોય તોયે પુરવઠો ન મળે. પેટ્રોલ પુરાવવા છેક મૃત્યુલોક પર આવવું પડે. દેવો મૃત્યુલોક પર પેટ્રોલ પુરાવવા આવે એ તેમની પત્નીઓને પસંદ નથી. કારણ કે કોઈક મુંબઈ જેવાં મોટા શહેરમાં દેવ પોતાનું સ્પેશ્યલ યાન લઈને પેટ્રોલ પુરાવવા ઊભા હોય અને ત્યાં જ સ્વર્ગની સુંદરીઓને પણ આંટી દે એવી મૃત્યુલોકની બોલીવુડ કે ઢોલીવુડની કોઈ નરવી- ગરવી માનુની યા તો આઈટેમ ગર્લ પોતાની કાર લઈને પેટ્રોલ પુરાવવા આવે અને દેવતાની નજરોમાં વસી જાય તો પછી દેવ પૃથ્વી પર જ રોકાઈ જાય અને ઉપર દેવીઓ ડાકલા બેસાડવા પડે કે દેવ કેમ આવતા નથી?! જો તે દેવ સ્વરૂપે જ પૃથ્વી પર જ ન રહી શકે તો મનુષ્ય અવતાર ધારણ કરીને રોકાય જાય. પછી ભલે દેવને દુકાને દુકાને દેશીનામાં લખવા પડે. પણ મૃત્યુલોકની સુંદરીની માયાજાળમાંથી નીકળી શકે નહિ. ભગવાન ભોળાનાથનો જ દાખલો લોને! તેઓ ઓ.બી.સી. કન્યા માટે ઓડીસી કરવા નહોતા તૈયાર થયા.(એમાં તાંડવ ન ચાલે ઓડીસી, કુચીપુડી, મણિપુરી, કે રોક એન્ડ રોલ શીખવા પડે.) તેથી જ દેવોની પત્નીઓ પણ ખનીજ તેલથી ચાલતા યંત્રોને બદલે મંત્રોથી ચાલતા યંત્રો વસાવવાની તરફેણ કરે છે. જો કે હવે પૃથ્વી પર જ જયોતિષાચાર્યો પણ આવા યંત્રો બનવે છે. અમારા એક મિત્ર ઉર્ફે શાસ્ત્રીજી આ રીતે મોટાપાયે યંત્રોનું ઉત્પાદન કરે છે.
         પેટ્રોલના ભાવો આજકાલ વાંસના છોડની જેમ વધે છે. આ ભાવ વધારાના મુદ્દે માનવી હૈયાવરાળ કાઢે કે હૈયાફાટ રૂદન કરે. દેવો તેમને સાંભળવાના નથી. કારણ કે દેવોએ મનુષ્યોને યુગોથી માર્ગ બતાવેલો છે કે વાહન સ્વરૂપે સો જ વાપરો, યંત્રો નહિ, પણ મનુષ્યોએ દેવ આજ્ઞાનું ઉલ્લંઘન કરી વાહનો બનવ્યા. એટલે હવે પેટ્રોલના મુદે હવે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળતા નથી. ચોખ્ખું સંભળાવી દે છે. તમારા કર્યા તમે ભોગવો વળી એમ પણ કહેવાય છે કે  મનુષ્યના પાપકર્મો બહુ વધી જાય છે ત્યારે દેવો કંઈ પૃથ્વી પર આવી મનુષ્યોને ગડદા-પાટું નો માર મારતા નથી. પણ પેટ્રોલના ભાવ સ્વરૂપે મારે છે. શરદ સ્વરૂપે મારે છે.
            જો શરદ નાબૂદ નહિ થાય તો ભારત દેશોમાંથી શતમ જીવ શરદ સૂક્તિ નેસ્ત નાબૂદ થઇ જશે.
         વળી તમામ પુરાણોનો અભ્યાસ કરી લેવાની છૂટ છે. તેમાં ક્યાંય દેવો કે દેવીઓએ પોતાનાં વાહન બાબતે ક્યારેય ફરિયાદ કરી નથી. દેવોના વાહનો માટે સર્વિસ સ્ટેશનો ઊભા કરવા પડતા નથી. દેવો વાહનો જ ઘણીવાર કોઈની સર્વિસ કરી નાખતા હોય છે. એટલે તો ક્યારેય ગોવિંદે એમ કહ્યું નથી કે પ્રભુ હું જરા નાસ્તો કરી લઉં જસ્ટ દશ મિનિટ જાળવો. તમે ચા-બા પીઓ, છાપામાં નજર નાંખો પછી ઉપડીએ. શિવજીનો નંદી તો ઠીક પણ ગણપતીબાપાનો ઉંદરેય એકવાર રવાના થયા પછી ક્યારેય કહ્યું નથી કે વિઘ્નહર્તા હું બહુ થાકી ગયો છું. તો આ ભીમસેનની હોટલ પર જરા પંદર મિનિટ હોલ્ટ કરી લઈએ.
        વળી પેટ્રોલને બાજુ પર મુકીને જુઓ! દેવોના વાહનોના પાર્કિંગનો કોઈ પ્રશ્ન જ નહિ. સ્થળ પર પહોંચ્યા પછી વિષ્ણુ ભગવાનનું ગરુડ ઝાડ પર બેસી જાય લાખનો ઉંદર દરમાં ઘુસી જાય, મોર ગમે ત્યાં કળા કરવા લાગી જાય.
          જયારે શીવજીના નંદી તો આજેય શહેરના ભરચક રસ્તાઓ વચ્ચે પાર્ક થયેલા જોવા મળે જ છે ને! બાકી રહ્યા માતાજીના સિંહ, વાઘ કે યમરાજનો પાડો! એતો પોતાની મરજી પડે ત્યાં જાતે પાર્ક થઇ જાય. કોની મા એ સવાશેર સૂંઠ ખાધી છે તેને કોઈ ચલ બે જરા બાજુ હટ, યે પાર્કિંગ જોન નહિ હૈ એવું કહે વિચારો! દેવોએ કેટ-કેટલું વિચારીને વાહનોની પસંદગી કરી છે. આજે આપણે ય વાહન તરીકે ગીરનો ડાલા મથ્થો સિંહ વાપરતા હોત તો ટ્રાફિક પોલીસ હેલ્મેટનું પૂછવાની હિંમત કરે ખરો! વળી દેવોના વાહનોને હાઈવે, નેશનલ હાઈવે જેવાં રાજમાર્ગોની જરૂર નહિ. એ લોકો પોતે જ માર્ગો પર રાજ કરવા ટેવાયેલા હોય છે. બ્રીજરાજના ગરુડને ગમે તેવી નદી ઓળંગવા બ્રિજની જરૂર પડે? વળી સિંહ, વાઘ, પાડો, નંદી, જેવાં હેવી વાહનો રસ્તા પર જ ચાલવાની જરૂર નહિ પણ તેઓ ચાલે ત્યાં રસ્તો જરૂર થાય. વળી રસ્તે ચાલતી વખતે  તેમને એવી સૂચના પણ ન લખવી પડે કે આપણું વાહન દશ ફૂટ દૂર રાખો એમનાથી બધા સુરક્ષિત અંતરે જ ચાલે જેથી સગવડતા વાળા વાહનો! પણ માણસ જેનું નામ, ઈશ્વરે જે કંઈ કરવાનું કહ્યું તેનાથી ઉંધુ જ કર્યુ. જાતે વાહનો બનાવ્યા વાહનો ભલે બનાવ્યા પણ પેટ્રોલ ન બનાવી શક્યા. એ કેમિકલ કલા કુદરતે પોતાનાં હાથમાં જ રાખી.કુદરતની કેમેસ્ટ્રી તો માણસ કરતા એડવાન્સ જ હોય ને! દેવોએ પોતાનાં વાહનો સર્જ્યા. માણસને એ ન સુજ્યું. એટલે તો દેવો દુરદેશી કહેવાય અને મનુષ્યો દેશી. એમના વાહનો ક્યારેય અટકે નહિ. ખોરાક ન લીધો હોય છતાય દેવોના વાહનો રસ્તામાં રિઝર્વમાં ન આવે. એટલે તો કહ્યું છે ને કુદરતે બનાવેલું વાહન બગડે તોયે પહોચાડે ખરું જયારે માણસે બનાવેલ વાહન બગડે તો માણસે તેને પહોંચાડવા પડે.
        વળી દેવોએ પોતાનાં વાહનો થાકી બીજો પણ બોધ આપ્યો છે. દેવતાઓ ક્યારેય એકબીજાના વાહન લઇ જતા નથી. ગમ્મે તેટલું દૂર જવાનું હોય તો પણ ગણપતિબાપાએ ક્યારેય ભગવાન વિષ્ણુ ને એમ નથી કહ્યું કે વિષ્ણુ અંકલ આજનો દિવસ પૂરતું જરા તમારું ગરુડ આપોને, મારે જરા બ્રહ્માંડ નંબર ચૌદ પર જવું છે. આટલું લાંબુ ઉંદર ન ખેંચી શકે. છતાં લઇ જઇએ તો સાવ લોકલ ચાલે, એટલે અઠવાડિયું નીકળી જાય. ગરુડ હોય આંટો મારીને સાંજે ઘર ભેગા. શિવજીએ ક્યારેય યમરાજાને કહ્યું છે કે બેટા યમરાજ જરા બે દિવસ પુરતો તારો પાડો આપને પ્લીઝ. મારે મૃત્યુલોકમા જવું છે. અને તુ તો વારંવાર ત્યાં દોરીઓ ખેંચવા જાય છે એટલે પાડાને રૂટ પણ જાણી લીધો હશે.
          છતાં જરૂર પડે તો મારો નંદી છે જ, લઇ જજો તમતમારે. આ ઉપરાંત વિશેષ બોધ એ છે આપ્યો કે જો સંસાર સુખેથી ચલાવવો હોય તો પુરુષો પાસે હોય તેના કરતા સારું વાહન મહિલા પાસે હોવો જોઈએ. તેમે જુઓ દેવો કરતા દેવીઓના વાહનો કેવાં પ્રભાવશાળી છે. વાઘ, સિંહ, મગર, વગેરે અને આપણે ત્યાં પત્ની કારની માંગણી કરે તો તરત કહીએ કાર લઈને તારે ક્યાં જવું છે? નકામાં કોઈકના ટાંટિયા ભાગીશ. એના કરતા રિક્ષા બરાબર છે! નથી દેવીઓએ પણ કોપાયમાન થઇ પેટ્રોલના ભાવવધારાને પ્રોત્સાહન આપ્યું છે ને આજે આપણા દેશમાં દેવી સંકેતથી જ પેટ્રોલના ભાવવધારાને પ્રોત્સાહન મળે છે. માટે ગો બેંક ટુ ગોડસ વેહીકલ્સ.    
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

ઉત્કૃષ્ટ પ્રણય દ્રશ્યનો અખતરો, તું સલીમ, મેં અનારકલી



૦૭/૧૨/૨૦૧૨                                               
        જમાના પ્રમાણે દરેક ક્ષેત્રમાં લોકોને કંઈક નવું નવું કરવાના શોખ વધતો જાય છે. આ રીતે કંઈક નવું કરવાના શોખીન એવાં અમારા મિત્રને તે સમયે પોતાનાં લગ્નમાં કંઈક નવું કરી બતાવવાનો શોખ જાગ્યો. ઘણા મનોમંથન પછી નક્કી કર્યુ કે પરણીને ઘેર આવ્યા પછી પહેલી સભાના કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં પતિ-પત્ની વચ્ચેના કલાત્મક પ્રણયદ્રશ્યો કંઈક નવું કરવું અને કેમેરામાં કંડારવા. બધા મિત્રો જુદી જુદી ફિલ્મના કલ્ત્મક પ્રણયદ્રશ્યો યાદ કરવા લાગ્યા. વળી, આવા પ્રણયદ્રશ્યો શયનખંડમાં જ ભજવવા એવું નક્કી કરવામાં આવ્યું. ઘણા દ્રશ્યો તળ કર્યા પછી ફિલ્મોમાં પેલું ઝુલાવાળું એવરગ્રીન દ્રશ્ય મિત્રના મનમાં વસી ગયું. પ્રિયા ઝૂલામાં બેથી હોય અને પોતે તેની પાછળ ઝુલોમાં ઊભો રહી બંને હાથે ઝૂલાની સાંકળ કે દોરડા પકડી ઝૂલો ઝુલાવતા હોય અને ઝૂલે મેં આયી પવન કી બહાર... ગાતો હોય, એ દ્રશ્ય પસંદગી પામ્યું. પણ તે માટે શયનખંડ નાનો પડે. વળી, આવા દ્રશ્યો ફળિયામાં તો ભજવાય નહિ. કારણ કે બાપુજી ગરમ થાય.
          વળી, આવા દ્રશ્યો પ્રેક્ટીસ માગી લે એવાં પણ ખરા. કોઇપણ જાતના મહાવરા વગર પ્રિયાને ઝૂલાના પાટિયા પર બેસાડી પોતે પાછળ ઊભો રહે એટલે જેમ ટ્રેનના જનરલ કોચના પગથીયે પણ ભરાવી બારણાના બંને સળિયા પકડી રીઢો અપડાઉનકાર લટકતો હોય એવું લાગે. એટલે આવા દ્રશ્યોમાં પ્રણય ક્યાંય શોધ્યો ન જડે રેલવે જ યાદ આવે. વળી, જુલો અને હૈયું બંને હિલોળે ચડ્યા પછી સ્થળ, કાળનું ભાન ભૂલાઈ જાય અને ઝૂલામાં પાછળ ઉભેલો પ્રિયતમ ભાવવિભોર થઈને પગની આંગળી અને અંગૂઠા વડે પ્રિયાના પડખામાં મીઠો ચીંટીયો ખણે કે પછી પગ વડે ગલગલીયા કરે અને પગ-બગ છટકેને વરરાજા નીચે પડે તો પીઠીવાળા પગે ફરીથી હળદર ચડાવવી પડે. જો કે એ વખતે કોઈ ગીતો ન ગાય, ઉલટાના બાપુજી ધુઆંપુઆં થાય.પછી મચકોડાયેલા પગ સાચવીને પહેલી રાત પ્રભુ ભજનમાં વિતાવવી પડે. વળી, ચીંટીયા કે ગલગલીયને કારણે જો પ્રિય ઝુલામાંથી જમીનદોસ્ત થાય તો મધુરજની પહેલાં અઠવાડિયાનું મીની વેકેશન આવી જાય અને વરરાજા માટે વસમો સમય શરુ થાય. આ બધું વિચારીને એ પ્રોજેક્ટ પડતો મુકવામાં આવ્યો. કારણ કે આમ કરવા જતા પ્રણય દ્રશ્યો દ્રશ્યોમાં ફેરવાઈ જાય.
         પછી મને એ મુદ્દે કંઈક વિચારવાનું આવ્યું. મેં સજેશન કર્યુ કે મુગલે-આઝમ ફિલ્મમાં સલીમ-અનારકલીના મુખ પર સફેદ પીંછુ ફેરવે છે તે દ્રશ્ય ભજવો. સાવ જોખમરહિત અને એકદમ ઇન્ડોરગેઇમ. ઠરાવ સર્વાનુમતે પસાર થયો. શરૂઆત પરણવાના આગલા દિવસથી જ કરવામાં આવી. પણ એ કાબર, કબૂતર અને કાગડાના હતા. કાગડાનું પીંછુ લાવેલા મિત્ર પર સલીમનો પીતો ગયો. મિત્રને ખખડાવી નાખતા કહ્યું, અલ્યા અક્કલમઠા! તને એટલુંય ભાન નથી કે કાગડાના પીંછા આમાં ન ચાલે. પણ પીંછુ લાવનાર મિત્રનું લોજીક સાચું હતું. તેને કહ્યું, ચાલે કે ન ચાલે એ તારે ક્યાં જોવાનું છે. એ તો ભાભીને નક્કી કરવાનું છે, ભાભીને જો કાગડાના પીંછામાં ય મજા આવે તો મોરની માથાકૂટ શા માટે કરવી! પણ આ તો સાહેબે-આલમ! ન માન્યો. ઘણી શોધખોળને અંતે મુઘલેઆઝમમાં છે એવું જ પીંછુ શોધી કાઢવામાં આવ્યું.
        બીજે દિવસે મિત્ર પરણીને આવ્યો અને જરૂરી વિધિ પતાવી પતિ-પત્ની શણગારેલા શયનખંડમાં આવ્યા. શયનખંડમાં બે મિત્રો વિડીયોગ્રાફર મિત્ર અને જરૂરી પીંછા ઉપરાંત એક મોરપીંછની સાવરણી પણ હાજરાહજૂર હતી. વિડીયોગ્રાફરના સૂચન મુજબ ભાભીને સામે બેસાડવામાં આવ્યા. અને બરાબર તેની સામે તેનો પતિ ઉર્ફે સલીમ હાથમાં પીંછુ લઈને પલાંઠી મારીને બેઠો. એટલે તરત મારે કહેવું પડ્યું, દોસ્ત આમ તો તું શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ ચડાવવા બેઠો હોય એવું એવું લાગે છે. એટલે તે પલાંઠી મારીને મંદિરમાં રામધૂન ગાવા બેઠા હોય એમ મંત્રમુગ્ધ થઈને બેઠા હતા. ન હલે ન ચાલે! ફરીથી મેં કહ્યું, અરે ભાભી પલાંઠી છોડો અને ટીવીમાં જે રીતે ઘૂંટણ વાળીને બેસે છે એમ બેસો. મને થયું કે આ વખતે દ્રશ્ય જામશે. મેં  કહ્યા મુજબ ભાભીએ ઘૂંટણ વાળી બાજુમાં જમણો હાથ ખોડીને બેઠા. પણ મેં ધાર્યુંતું તેના કરતા સાવ જુદું જ પરિણામ પ્રાપ્ત થયું. રસ્તા વચ્ચે ગાય બેથી હોય એવું આબેહુબ દ્રશ્ય રચાયું. હવે શું કરવું?!
          પછી અમે મિત્રને કહ્યું હવે તું સામે કંઈક પ્રણય પોઝીશન લે અને પીંછુ ફેરવવાનું શરૂ કર. જો તો ખરો આમને આમ સાડા અગિયાર વાગી ગયા. મિત્ર ભાભી સન્મુખ થયો અને ધીમે રહીને ભાભીના મોં પર ડાબેથી જમણે અને જમણેથી ડાબે પીંછુ ફેરવવા લાગ્યો. ભાભી સાવ નીચું જોઈને બેઠા હતા. મિત્રમાં મહાવરાનો અભાવ સ્પષ્ટ વરતાતો હતો. તેથી દ્રશ્ય જોતા મુઘલે-આઝમને બદલે દીવાલ પર કળીચૂનો પીંછડો ફેરવતા રંગારો યાદ આવી જતો હતો. વિડીયોગ્રાફરે કહ્યું, ભાભી જરા ઉંચે જુઓ. પણ ભાભીએ એંગલ મુજબ ઊંચું ન જોયું. એટલે જે રીતે વાળંદ દાઢી કરતી વખતે આપણું માથુ મશીન સમજીને ગોઠવતો હોય એજ રીતે તેને ભાભીનું મુખ પકડીને જરૂરિયાત મુજબનું ઊંચું ગોઠવ્યું. સલીમે ફરી પીંછુ લઇ કળીચૂનો ચાલુ કર્યો. દ્રશ્ય પહેલાં કરતા જરાક નજાકતવાળું બન્યું. ભાભી સદગતના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરતા હોય એમ સાવ આંખો મીંચીને બેઠા હતા. એટલે મેં કહ્યું, ભાભી આંખો જરા અધખુલ્લી રાખો ચોથા પ્રહારની ઊંગ ખેંચતા હો એમ સાવ બંધ નહિ.
         ભાભી મારા સૂચનને અનુસર્યા. આમ ઊંચું મુખ અને આંખો જરા અધખુલ્લી એટલે નજાતક વધી હવે વિડીયોગ્રાફરે કહ્યું, ભાભી હસો, સ્માઈલ પ્લીઝ. ભાભી હસ્યા પણ ખરા અને મિત્રે દ્રશ્યમાં નવીનતા લાવવા આ વખતે પીંછુ ગળાથી કપાળ તરફ એમ ઊર્ધ્વગતિએ ફેરવ્યું. અને એવું ત્રણ-ચાર વાર કર્યુ. એટલે પીંછાના રૂંછા ભાભીના નાકમાં જતા ભાભીને છીંક આવી. પછી તો ઉપરા-છાપરી છ-સાત છીંકો આવી. એટલે માંડ માંડ આવેલી નજાતક ગાયબ થઇ ગઈ. ભાભીનું નાક લાલચોળ થઇ ગયું. આંખમાં પાણી આવી ગયું. ભાભીને છીંકો આવવાને કારણે મિત્ર વિહવળ બની ગયો અને પીંછુ પડતું મૂકી પોતાનાં રૂમાલથી ભાભીનું નાક સાફ કરવા લાગ્યો. વિડીયોગ્રાફરે સમય સુચકતા વાપરીને આ દ્રશ્યનું શુટીંગ કરી લીધું. ખરેખર પેલા મુગલે-આઝમવાળા દ્રશ્ય કરતાય આ નાક લુંછવાનું પ્રણય દ્રશ્ય ઉત્કૃષ્ટ હતું. કારણ કે એકદમ નેચરલ હતું. પણ મિત્રે સમસ્યા રજૂ કરી કે દ્રશ્ય ભલે ગમે તેટલું ઉત્કૃષ્ટ હોય પણ એ કોઈને બતાવાય થોડું! એટલે ફરીથી પીંછાપ્રયોગ પર આવ્યા. વિડીયોગ્રાફરે જરૂરિયાત મુજબ ભાભીનું મોં ઊંચું ગોઠવ્યું અને સલીમ ફરીથી પીંછુ હાથમાં લઇ રૂંછા નાકને ન અડે એ રીતે ભાભીના બંને ગાલ પર પીંછુ ફેરવવા લાગ્યો. આ વખતે થોડું થોડું મુગલે-આઝમ જેવું થયું. પણ ભાભી સાવ નિર્લેપ! એટલે સલીમ અહીં કોઈની હજામત કરવા બેઠો હોય એવું દ્રશ્ય ખડું થયું. આમ, નજાકતને બદલે હજામત પ્રગતિ. વળી, એક મિત્રે સૂચવ્યું કે માત્ર એક પીંછાને બદલે મોરપીંછાની સાવરણી જ ભાભીના મોં પર ફેરવી હોય તો?! મેં કહ્યું, લલવા એ તો દિવાળી ટાણે ઘરમાં બાવા-જાળા પાડતા હોય એવું લાગે. છતાં અમારા મિત્રને આ દરખાસ્ત ગમી.(વિચારો કે આસીફ જેવાં ડિરેક્ટરને ય આ નહોતું સુઝ્યું! મૌલિકતાનો અભાવ બીજું શું?) મોરપીંછની સાવરણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પછી બીજા મિત્રે સૂચન કર્યુ કે મોંને બદલે ભાભીની પીઠમાં સાવરણી પ્રેમથી ફેરવી હોય તો! (અલબત, સવળી જ. બાકી લગ્નના અમુક વરસો પછી અવળી સાવરણીઓ પણ ફરે છે. ખરેખર તો એ દ્રશ્ય જ કેમેરામાં કંડારવા જેવા હોય છે.) મુગલે આઝમ કરતાય કંઈક નવું થાય. આ દરખાસ્ત મુજબ ફરીથી ભાભી બેડમાં વચ્ચોવચ્ચ ગોઠવાયા અને મિત્ર નવોઢાના વાંસામાં ઉપરથી નીચે તરફ મોરપીંછાની સાવરણી ફેરવવા લાગ્યો. ભાભીને પણ જરા સારું લાગ્યું. તેમના ચહેરા પર જરા સ્માઈલ ઝળકી ઉઠી. પણ મને તો એ દ્રશ્ય કોઈ ભુઓ ભાભીના શરીરમાંથી પ્રેત કાઢતો હોય આવું લાગ્યું. દ્રષ્ટિભેદ જ ને! પણ વાંસામાં મોરપીંછની સાવરણી ફરવાને કારણે ભાભીને મજા આવી. મેં કારણ પૂછ્યું તો કહ્યું કે હું નાની હતી  ત્યારે સૂતી વખતે દરરોજ મારા મોટાબાપુ મારા વાંસામાં હાથ પસવારતાં અને મને ઊંગ આવી જતી.
           આ સાંભળી મેં મિત્રને કહ્યું, ભાઈ જો સાવરણીનો પ્રયોગ. રહેવા દે. આમાં જો ભાભીની જૂની ટેવ તાજી થશે તો પછી રોજ રાત્રે તારે ભાભીને વાંસમાં મોરપીંછની સાવરણી ફેરવવી પડશે. અને દામ્પત્ય જીવનમાં તારો આંખો રોલ બદલાઈ જશે. બધાએ મારી વાતમાં સુર પુરાવ્યો. છેવટે સર્વાનુમતે પેલું ના લુંછવાનું દ્રશ્ય ઉત્કૃષ્ટ પ્રણય દ્રશ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું. અને બાકીનું ડીલીટ કરવામાં આવ્યું. કારણ કે નેચરલ હતું. મુગલે આઝમમાં પણ અનારકલીને જો છીંકો આવી હોત તો સલીમે એજ કર્યુ હોત. કારણ કે અનારકલી પાસે તો બધાજ સલીમ સરખા.
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...