Saturday 1 September 2012

જ્ઞાનની ગરબડ


‘સફળતાના શિખરે છલાંગ મારીને કેવી રીતે ચઢી જવું…’ તે મુદ્દે પ્રવચનોના પૂર વહાવતા અમારા એક સાહેબ પોતાના વક્તવ્યમાં વારંવાર કહેતા, ‘જો તમે દશ વરસ સુધી દરરોજ એક-એક કલાક વાંચશો તો તમે નોલેજ સેન્ટર બની જશો, જ્ઞાની બની જશો.’ આ સાંભળીને અમારા ચંદનમામાએ ‘જ્ઞાની’ બનવાના ગરમાગરમ ઉત્સાહમાં દરરોજ કલાકને બદલે દોઢ કલાક વાંચવાનું શરૂ કર્યું. આ રીતે સતત દશ વર્ષ વાંચ્યા પછી તેમને એટલું જ્ઞાન થયું કે ‘પુસ્તકિયું જ્ઞાન કશું કામ આવતું નથી…’ શ્રીમદ ભગવદગીતાના ‘કરેલું કર્મ નિષ્ફળ જતું નથી’ એ સિદ્ધાંત મુજબ જ્ઞાનમાર્ગે એકધારી તપશ્ચર્યા કરવાથી ભલે કદાચ તમે ધાર્યું હોય તે નહિ તો અણધાર્યું જ્ઞાન તો મળે જ ! એ જ્ઞાન એવું સચોટ હોય કે તમે ભૂલવા ધારો તોય ન ભૂલી શકો.
જ્ઞાન તો ઘણા પાસે હોય છે પણ ‘જ્ઞાન વિશે પણ જ્ઞાન’ હોવું જરૂરી છે, જે ઘણા ઓછા પાસે હોય છે. મારા મિત્ર ઉલ્લુએ (જેનું નામ ‘ઉલ્હાસ’ છે પણ તેની પત્ની તેને વહાલથી ‘ઉલ્લુ’ કહે છે.) બી.એ.ના પ્રથમ વર્ષ સુધી આકસ્મિક અભ્યાસ કર્યો હોવાથી તેના જ્ઞાનની ક્ષિતિજો છાપાની પૂર્તિઓના વાંચન સુધી વિસ્તરી છે. તેમાંથી તે જે કાંઈ જ્ઞાન મેળવે છે તે કોઈપણ જાતના ફેરફાર વિના હોલસેલના ધોરણે સીધું જ તેના પાંચમું ધોરણ ભણતા પુત્રને આપે છે. એક દિવસ ઉલ્લુએ તેના પુત્ર વિશે મને ફરિયાદ કરતાં કહ્યું :
‘સાહેબ, આના નસીબમાં જ નથી….’
મેં પૂછ્યું : ‘શું ?’
તેણે કહ્યું : ‘જ્ઞાન.’
આમ કહીને વિશેષમાં જણાવ્યું કે હું તેને દરરોજ ટાંકણીથી માંડીને હવાઈજહાજ સુધીનું જ્ઞાન આપું છું. પણ આ મૂર્ખ મગજમાં ઊતારતો જ નથી. ત્યારે મારે ન છૂટકે કહેવું પડ્યું, ‘ભાઈ ઉલ્લુ, પાંચમું ભણનારને ટાંકણીથી માંડીને તવેથા સુધીનું જ જ્ઞાન અપાય. સીધો જ હવાઈજહાજે પહોંચાડે તો ક્રેશ થાય !’ આમ જ્ઞાન આપવા વિશેનું જ્ઞાન ન હોવાથી પિતા-પુત્ર વચ્ચે કાયમ સંઘર્ષ થયા કરતો. જો જ્ઞાન વિશેનું પ્રમાણભાન, વિવેકભાન હોય તો તે મુક્તિ અપાવે, નહિ તો માથાકૂટ થાય !
જ્ઞાન વિશે સૌથી મોટો ભ્રમ છે આપવાનો ! ખરેખર જ્ઞાન કોઈને આપી શકાતું નથી. એ તો મેળવવાનું હોય છે. જો જ્ઞાનના પડીકા બાંધીને આ રીતે આપી શકાતા હોત તો જ્ઞાનના ગોડાઉન સમાન પરમપૂજ્ય કે અપૂજ્ય બાપુ, ગુરુ, સ્વામીઓ પોતાના સ્વજનોને, શિષ્યાઓને જ જ્ઞાન આપત. લોકોમાં વહેંચત નહિ. પણ આવું શક્ય નથી એટલે તો તે જ્ઞાનવીર ભામાશાઓ ગમે તેના ચરણે જ્ઞાનના કોથળા ઠાલવવા ઉત્સુક હોય છે. આવી જ્ઞાનની હરતી-ફરતી યુનિવર્સિટીઓની હડફેટે ચડેલો પામર માનવી તેની જ્ઞાનગંગામાં ડૂબીને ગૂંગળાઈ મરે છે. જોકે આ બાબતથી યુનિવર્સિટીઓ પોતે અજાણ હોય છે. એ તો ‘રામબાણ વાગ્યા હોય એ જાણે…’. આમ હિરોશીમા અને નાગાસાકી પર ઝીંકાયેલા અણુબોંબના વિસ્ફોટો કરતાં જ્ઞાનના વિસ્ફોટોએ લોકોને વધુ ઘાયલ કર્યા છે. અણુબોંબનો વિસ્ફોટ તો એક જ વાર થયો, પણ જ્ઞાનના વિસ્ફોટ તો ગમે ત્યારે થયા કરે છે. જ્ઞાનનું કામ છે મનુષ્યને ભાન કરાવવાનું, પણ અતિજ્ઞાન (જે અર્ધજ્ઞાન પણ હોઈ શકે) જ્યારે ભાન ભૂલાવી દે ત્યારે ભારે ખતરનાક નીવડે છે. અલબત્ત, સામેવાળા માટે જ !
અમારા ગામમાં એક મંદિર બાંધવા માટે જ્યારે ગ્રામજનો એકઠાં થયા ત્યારે મંદિર બાંધવા બાબતે જેને પોતાના વિચારો રજૂ કરવા હોય તેને દશમિનિટ આપવામાં આવી. ઘણા લોકોએ પાંચ-સાત મિનિટમાં ઘણું કહી દીધું જે મોટાભાગે ઓછું ભણેલા હતા. ત્યારબાદ સંસ્કૃતના એક વિદ્વાન પ્રાધ્યાપક ઊભા થયા. ‘ગામ એટલે શું ?’ તે વિશે તેમણે વૈદિક યુગથી શરૂ કર્યું. ત્યાંથી ઉત્તરવેદકાલીન યુગ સુધી પહોંચતાં તેમણે પંદર મિનિટ લીધી. તેમના વક્તવ્યની જ્ઞાનસભર છણાવટ અને જમાવટ જોતાં અમને જ્ઞાન થયું કે તેમને છેક મંદિરે પહોંચતાં લગભગ પોણો કલાક તો લાગશે જ ! તેથી ન છૂટકે તેમના બહુમૂલ્ય વિચારોને વિરામ આપવા વિનંતી કરવી પડી. તેમને વારંવાર આ સમસ્યા નડતી. તેથી કોઈપણ સ્થળે તેઓ પોતાના વક્તવ્યની જ્ઞાનસભર મજબૂત પૂર્વભૂમિકા રચી હજુ તો વિષયને સ્પર્શે ત્યાં જ સમયમર્યાદા પૂરી થઈ જતી અને તેમણે વિરમી જવું પડતું. આ તો વરરાજા મધુરજની વખતે હજુ નવવધૂને સ્પર્શે ત્યાં જ કોઈ ગુરુ તેને આજીવન બ્રહ્મચર્યની કઠોર પ્રતિજ્ઞા લેવડાવે તેવી કરુણ બાબત હતી. આમ અહીં જ્ઞાન હતું પણ તેને રજૂ કરવા વિશેના જ્ઞાનનો અભાવ હતો. જ્ઞાનીઓ માને છે કે જ્ઞાનને કોઈ બંધન નથી, તેથી પોતાના વક્તવ્યોમાં તેઓ સમયના બંધનને ફગાવી દે છે અને જ્ઞાનનો ધોધ વહાવે છે – જે સરવાળે સભાનું ધોવાણ કરે છે. પરિણામે શ્રોતાજનોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાય છે. આમ જ્ઞાનનું પરિણામ નજર સમક્ષ હોવા છતાં જ્ઞાનીજનોને ભાન થતું નથી. જો કે ‘ક્યાંથી શરૂ કરવું’ તેનું જ્ઞાન તો તેમની પાસે જરૂર કરતાં સવાયું હોય છે. પણ સવાલ અટકવાનો છે. જેના કારણે આખેઆખી સભાઓ બરખાસ્ત થઈ જાય છે.
જ્ઞાનને અને વિચારને સીધો સંબંધ હોવાથી જ્ઞાની પુરુષો ઘણું વિચારતા હોય છે. આવા એક ગહન જ્ઞાની પુરુષનો પરિચય કરાવતા મારા મિત્રે કહ્યું કે, ‘આ વિવેકપ્રસાદજી છે, તે ખૂબ જ્ઞાની છે અને કોઈપણ બાબતમાં ડીપ થિંકિંગ કરે છે, ઘણું ઊંડું વિચારે છે….’ વિચારશીલ વ્યક્તિઓમાં મને રસ પડે છે તેથી તેમનો વિશેષ પરિચય મેળવવા મેં મિત્રને ખાનગી ધોરણે પૂછ્યું, ‘પ્રસાદજી પોતે શું કરે છે ?’ મિત્રે કહ્યું, ‘તે એટલું બધું વિચારે છે કે વિચારવા સિવાય કશું જ કરી શકતા નથી !’ આમ એકધારા જ્ઞાનના ચિંતનને કારણે કર્મના બંધન એટલી હદે તૂટી જાય છે કે પછી જાતક કોઈ કર્મ કરવા ધારે તોય કરી શકતો નથી. (જો કે વિચારવું એ પણ એક કર્મ જ છે.) આ રીતે સાહિત્યક્ષેત્રે પણ જ્ઞાન વિશે વિસ્મયકારક ઘટનાઓ બનતી રહે છે. ક્યારેક કોઈ વિદ્વાન લેખકને ચંદ્રક ઘણો મોડો અપાય છે ત્યારે તેઓ અફસોસ વ્યક્ત કરતાં હોય છે. ઉપરાંત તેમના વાચકો-ચાહકો પણ નારાજગી વ્યક્ત કરતાં કહે છે કે તેઓશ્રીને લખવાનું બંધ કરી દીધા પછી ચંદ્રક મળ્યો, ઘણો મોડો મળ્યો. પણ ઘણીવાર ‘તેથી જ’ મળ્યો હોય છે. તેનું જ્ઞાન ખુદ લેખકને કે તેના વાચકો-ચાહકોને હોતું નથી. કવિશ્રી નિરંજન ભગતને 1970માં રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાની જાહેરાત થઈ. રઘુવીર ચૌધરીએ સંદેશમાં પોતાની કોલમ ‘વૈશાખીનંદનની ડાયરી’માં આ અંગે રમૂજ કરી, ‘કહે છે કે છેલ્લા બાર-બાર વર્ષથી એમણે એકપણ કવિતા લખી નથી. આ રીતે તેમણે એક તપ પૂરું કર્યું છે. તેમના આ સંયમને ધ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્ય સભાએ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાનો નિર્ણય લીધો છે. (‘વિશ્વના શ્રેષ્ઠ હાસ્યપ્રસંગોમાંથી’ – પ્રકાશ વેગડ) પણ હવે સમય બદલાયો છે. આજકાલ લેખકો પાસે લખવાનું જ સારું જ્ઞાન હોય તે અધૂરું ગણાય છે. હવે તો શ્રેષ્ઠ લેખક એ ગણાય છે જે લખતા પહેલા તેને વખાણનાર વર્ગનું સર્જન કરી શકે. વળી એક મોટા ગજાના લેખકે તો પોતાના જ્ઞાન વિશે ઘણી નિખાલસતાથી જણાવ્યું છે કે ‘મારામાં લેખનશક્તિ નથી તેનું જ્ઞાન થતાં મને પંદર વર્ષ લાગ્યા. પણ પછી હું લખવાનું પડતું મૂકી શકું તેમ નહોતો કારણ કે હું અતિવિખ્યાત થઈ ચૂક્યો હતો.’ તો વળી પેલા સોક્રેટીસે જીવનભર થોકબંધ પુસ્તકો વાંચ્યા પછી પોતે મેળવેલા જ્ઞાન વિશે જણાવ્યું કે ‘હું કશું જ જાણતો નથી.’ સોક્રેટીસનું કહેવું-વાંચીને કેટલાક લેખકોએ તો વાંચવાનું જ બંધ કરી દીધું છે. અલબત્ત, લખવાનું ચાલુ છે ! વળી સાહિત્યકારો વિશે આપણે એવું જ્ઞાન ધરાવીએ છીએ કે જ્યારે બે સાહિત્યકારો મળતા હશે ત્યારે મોટા ભાગે સાહિત્યસર્જનની ચર્ચા કરતાં હશે. પણ વાસ્તવિકતા સાવ જુદી છે. તેઓ મોટે ભાગે પુરસ્કારની ચર્ચા કરતાં હોય છે. અને સારો પુરસ્કાર એ શ્રેષ્ઠ સાહિત્ય સર્જન માટેનું સૌથી મોટું પ્રેરક પરિબળ છે. જો કે પુરસ્કાર વિશેનું જ્ઞાન હજુ માલિકો અને પ્રકાશકોને પૂરતાં પ્રમાણમાં થયું નથી. તેથી ઘણી જગ્યાએ આજે પણ લેખકોને પુરસ્કાર આપવાનો કુરિવાજ નથી.
પ્રકાશકો પાસે પુસ્તકો પ્રગટ કરવાથી માંડીને વેચાણકળાનું વિશાળ જ્ઞાન હોય છે. છતાં કેટલુંક અગત્યનું જ્ઞાન ખૂટે છે. એક પ્રકાશકે એક ચિંતનાત્મક પુસ્તક પ્રગટ કર્યા પછી પોતાના સાહિત્યકારમિત્રને વિનામૂલ્યે વાંચવા આપ્યું. મિત્ર તે દળદાર પુસ્તક વાંચ્યા પછી પરત કરવા આવ્યા ત્યારે પ્રકાશકે પૂછ્યું, ‘આ પુસ્તકમાં તમને એવી કઈ બાબત લાગી જે વાચકને વિચારતો કરી દે ?’ મિત્રે પૂરી ગંભીરતાથી જવાબ આપ્યો, ‘પુસ્તકની કિંમત.’ આ જવાબ સાંભળી પ્રકાશકના જ્ઞાનમાં તે જ ક્ષણે વધારો થયો. તેથી જ કોઈ ચિંતકે કહ્યું છે કે, ‘જે પુસ્તકે પ્રકાશકને વધુમાં વધુ ખોટ કરાવી હોય તેમાંથી જ તેને ભરપૂર જ્ઞાન મળે છે.’ વિશેષમાં એમ પણ કહ્યું છે કે ‘શ્રેષ્ઠ વાંચન કોને કહેવાય તેની પ્રકાશકને ખબર ન પડે ત્યાં સુધી તે સફળ રહે છે.’
આ રીતે પ્રકાશિત થતાં સામાયિકોમાંથી જ્ઞાનીજનો, વાંચકો વિવિધ પ્રકારના લેખો વાંચે છે. પછી લેખ વિશે પોતાના અભિપ્રાયો લખી મોકલે છે જેમાં શબ્દે-શબ્દે જ્ઞાન છલકાતું હોય છે. છતાં અભિપ્રાય લખી મોકલનાર કેટલાક વાચકોમાં એક અગત્યનું જ્ઞાન એ ખૂટે છે કે, ‘લેખ કરતાં અભિપ્રાય લાંબો ન હોવો જોઈએ.’ આમ જુઓ તો અંધકાર, અજ્ઞાન અને ઈશ્વર સર્વવ્યાપી છે. તેમાં ઈશ્વર તો ઠીક પણ અજ્ઞાનના ચમકારા આપણને ડગલે ને પગલે જોવા મળે છે. તેથી જ જ્ઞાનીઓ અને વિદ્વાનોના પ્રવચનો કરતાં મને અર્ધજ્ઞાનીઓના વક્તવ્યો માણવા ખૂબ ગમે છે. છાતી ઠોકીને મારું માનવું છે કે ચર્ચા કે ભાષણો માટે અજ્ઞાન કે અર્ધજ્ઞાન ઉત્તમ છે, તેનાથી ચર્ચા કે ભાષણો રોચક અને જીવંત બને છે. કવિ ગંગ લખે છે કે ‘તારા કી તેજમેં ચંદ્ર છૂપે નહિ, સૂર્ય છૂપે નહિ બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છૂપે નહિ, દાતાર છૂપે ના ઘર માંગન આયો.’ આ રીતે અજ્ઞાન પણ છૂપું રહી શકતું નથી. જ્ઞાનીઓની જાણ બહાર તે વ્યક્ત થતું રહે છે, જેને શ્રોતાઓ પામી જાય છે. આમ દરેક મનુષ્યની અંદર અજ્ઞાનનો એક મહાસાગર છૂપાયેલો હોય છે. તેમાંથી જ સાચા મોતી મળી આવે છે. તેથી જ કોઈ ચિંતકે કહ્યું છે કે, ‘જીવનમાં સફળ થવા માટે અજ્ઞાન સાથેનો આત્મવિશ્વાસ જરૂરી છે.’
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...