Saturday 1 September 2012

ખાડો


[ પ્રસ્તુત હાસ્યલેખ ‘નવનીત સમર્પણ’માંથી સાભાર. શ્રી નટવરભાઈનો (સુરત) આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 7779056113 ]
‘ખાડો ખોદે તે પડે.’ આ કહેવત લોકમુખે સાચી પણ રસ્તાઓ પર ખોટી છે. આજ સુધી રસ્તા પર કુશળ આર્ટિસ્ટના મુક્ત હસ્ત ચિત્ર સમાન ખાડાઓ રચનાર કલાકાર કે તંત્રનો કર્મયોગી ક્યારેય ખાડામાં પડ્યાનું જાણ્યું નથી. હા, ખાડાઓ જોઈને ‘આખું તંત્ર ખાડે ગયું છે’ એવું વારંવાર સાંભળવા મળે છે. ધીમે ધીમે કર્ણપ્રિય બનતું જાય છે. કેટલાક ખાડાઓ ખોદીને પૂરી દેવા છતાં ખાડો ખાડો જ રહે છે. આવા અદ્દભુત ખાડાઓની રચના કરવાનું કૌશલ્ય લાગતાવળગતા તંત્રના લોકોને સહજ છે. ઉનાળામાં દેખાતો બૃહદ ખાડો પૂરાઈ જાય ને રસ્તો સપાટ થઈ જાય ત્યારે કાયમી ધોરણે ત્યાંથી ભાર ખટારો લઈને પસાર થતો ડ્રાઈવર જરા નિરાશ થઈને બોલે….
રોડની વચ્ચોવચ્ચ હતો એક ખાડો,
એ ક્યાં ગયો, ક્યાં ગયો કોઈ કહેતું નથી.
પણ જ્યારે ચોમાસું આવે અને તે જ જગ્યાએથી ટ્રક પસાર થાય ત્યારે પહેલે ખોળે જન્મેલ દીકરાને માતા જેટલા વહાલથી ગોદમાં લે એટલા જ વહાલથી ખાડો ટ્રકને પોતાની ગોદમાં લે છે. ત્યારે ડ્રાઈવરને સમજાય છે કે સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય ઝાંખો થતો નથી. એ જ રીતે ખાડામાં ગમે તેટલી ધૂળ ભરવાથી ખાડો અ-ખાડો થતો નથી. ભક્તને ભગવાન અચાનક દર્શન દે એમ ચોમાસામાં ખાડો રાહદારીને દર્શન દે છે, ભેટે છે. આ પ્રકારના ખાડાને ‘નિરાકાર ખાડા’ કહેવાય છે. જે ઈશ્વરની જેમ દેખાતો નથી છતાં છે તેથી રાહદારીએ જ્યાં ખાડો નથી ત્યાં પણ છે એમ ધારીને જ કદમ ઉઠાવવું.
ખાડા તો બારમાસી ફૂલ જેવા છે. બારેમાસ તેઓ ફૂલતા-ખીલતા રહે છે. પણ ચોમાસું એ ખાડાઓની વસંત છે. વરસાદ પડતાંની સાથે જ વનસ્પતિ અને ફૂલો ખીલે છે, મ્હોરે છે. તેની સાથોસાથ ખાડાઓ પણ ખીલે છે. ચોમાસું તો બધા દેશોમાં આવે છે પણ ચોમાસાનું આવું આગવું સૌંદર્ય તો ભારતમાં જ માણી શકાય છે. એટલે જ કહ્યું છે ને ‘મેરા ભારત મહાન.’ પ્રકૃતિપ્રેમીઓનું આ દિશામાં ક્યારેય ધ્યાન ગયું જ નથી. નહીં તો ખાડો પણ પ્રકૃતિનું જ એક અંગ છે. ખાડા તો વર્ષારાણીએ રસ્તા પર પાડેલાં પગલાં છે. માટે જ વર્ષાઋતુમાં ગરમાગરમ ભજિયાં કે દાળવડાં ખાઈને વિરહની કવિતાઓ કરતા કવિઓએ ખાડાઓને પોતાનાં કાવ્યોમાં વણી લેવા જોઈએ. ભારતીય સંસ્કૃતિની જેમ ખાડાઓમાં પણ વિવિધતામાં એકતા જોવા મળે છે. ચોમાસામાં વિવિધ પ્રકારના નયનરમ્ય ખાડાઓ જોવા મળે છે. જેમાં કોઈ ખાડો ગોળ, કોઈ લંબગોળ, કોઈ ત્રિકોણ, અષ્ટકોણ, કોઈ લાંબો, કોઈ ટૂંકો, કોઈ છીછરો, કોઈ ઊંડો ! છીછરો-ઊંડો એ તો દષ્ટિભ્રમ છે. સાચી ઊંડાઈ તો અંદર ખાબકો ત્યારે જ ખબર પડે. આજકાલ વિકાસની પ્રક્રિયા જોતાં ખાડાઓના પ્રકારમાં ‘વાયબ્રન્ટ ખાડો’ અને ‘ઈ-ખાડો’ પણ ઉમેરી શકાય. તેથી જ ખાડાનો તાગ આજ સુધી કોઈ પામી શકતું નથી. આવા પ્રથમ નજરે જોઈ શકાય તેવા ખાડાઓને ‘સાકાર ખાડા’ કહેવાય.
વળી શિયાળા-ઉનાળામાં જે ખાડાઓ સ્થિર આકાર ધારણ કરીને બેઠા હોય તે ચોમાસું આવતાં જ આકાર બદલે છે. જેમ કૉલેજકાળમાં આપણી સાથે ભણતી સ્લિમસ્વીટી (ગુજરાતી ફિલ્મોની ભાષામાં ‘પાતળી પદમણી’) વીસ વર્ષ પછી મળે ત્યારે અનિયમિત કદ વિસ્તરણને કારણે ગંજાવર ગૃહિણી બની ચૂકી હોય છે. ટૂંકમાં કોલેજકાળમાં તે ‘મસ્ત’ હોય છે, પછી કાળક્રમે ‘અલમસ્ત’ બની જાય છે. (પુરુષો પણ આમાંથી બાકાત નથી.) એ જ રીતે ચોમાસામાં આજે જોયેલો ‘બાળ ખાડો’ થોડા જ દિવસોમાં યુવાન થઈને ‘કાળ ખાડો’ બની જાય છે. તેથી જ કહી શકાય કે આજનો ખાડો આવતી કાલનું સરોવર છે અથવા સ્વિમિંગ પૂલ છે. આવો દરેક ખાડો જોઈને પેલી ઉક્તિ યાદ આવી જાય કે ‘દાને દાને પે લિખ્ખા હૈ ખાને વાલે કા નામ’ એ જ રીતે ‘ખાડે ખાડે પે લિખ્ખા હૈ ગિરનેવાલે કા નામ’ તેથી રસ્તા પર જતા દરેક રાહદારીનું ખાડો જાણે હસીને સ્વાગત કરતો હોય એવું લાગે. જે ખાડામાં માણસ પડે તેને જ ખરા અર્થમાં ખાડો કહેવાય. જેમાં કોઈ પડે જ નહીં અથવા પડ્યું જ ન હોય તે તો વાંઝિયો ખાડો કહેવાય. ખાડાઓ પણ એકબીજાને ખાનગી ધોરણે પૂછી લેતા હોય છે ‘શું સ્કોર થયો ?’
ક્યારેક તંત્રવાળા એક ખાડો ખોદે છે. તેને કારણે બીજા બે-ત્રણ ખાડાઓ રચાય છે. આવા ખાડાઓને ‘સ્વયંભૂ ખાડા’ કહેવાય છે. જેમ પ્રૌઢ શિક્ષણનું સરકારી સૂત્ર હતું, ‘દીવે દીવો પ્રકટાવીને અભણને ભણાવીએ’ એ જ રીતે ‘ખાડે ખાડો રચાવીએ અજાણ્યાને ગબડાવીએ’ એ તંત્ર-સૂત્ર છે. વળી જ્યાં એકપણ ખાડો ન હોય તે રસ્તોય શું કામનો ! ખાડા વગરનો રસ્તો કુદરતી ન ગણાય. ખાડા વગરનો રસ્તો તો પાંદડાં વિનાની ડાળી જેવો ગણાય. જેમાં ગુણ-દોષ હોય તે જ માનવી કહેવાય. જેમાં એકપણ દોષ ન હોય તે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કહેવાય. એ જ રીતે રસ્તા પર ખાડાખબડા હોય તેને જ રસ્તો કહેવાય. જ્યાં એકપણ ખાડો ન હોય એ તો જળમાર્ગ કે હવાઈ માર્ગ કહેવાય. ત્યાં મુસાફરીનો સાચો આનંદ માણી ન શકાય. ખાડાવાળા રસ્તે જતી બસમાં તમે બેસો અને જો ભૌતિક વિજ્ઞાનમાં રસ ધરાવતા હો તો બેઠાં-બેઠાં વેગ-પ્રવેગના અને ઊભા રહો તો ગુરુત્વમધ્યબિંદુનો ઉપરાંત લોલકના સિદ્ધાંતો પણ સરળતાથી સમજાય. લેશમાત્ર ખાડા વગરના રસ્તે જતી બસમાં તો માણસ આળસુ બની જાય. થોડી વારમાં ઊંઘી જાય. જ્યારે ખાડાવાળા રસ્તે ખાડે ગયેલા એસ.ટી. તંત્રની ખખડધજ બસ જતી હોય ત્યારે ક્ષણે-ક્ષણે આપણને ચેતનાનો અનુભવ થાય. આવી બસમાં ચર્ચાઓ ચાલુ રહે, ઓળખાણો થાય. એકબીજાને ઘેર આવવાનાં આમંત્રણો અપાય. વળી મદદની ભાવના પણ વિકસે અને વિસ્તરે જેના ભાગરૂપે પડતાંને પકડી લેવાય તો કોઈને પાડી પણ દેવાય – આ બધું ખાડાઓને આભારી છે. બસ તો નિમિત્તમાત્ર છે.
ખાડા તો સર્વવ્યાપી છે. સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય એમ તમામ ક્ષેત્રે ખાડા જોવા મળે છે. જેમની સામે આપણા ઋષિઓ પણ રાંક લાગે (દેખાવે) એવા સુગરીના માળા જેવી દાઢી-જટાધારી ગુરુ, બાપુ સ્વરૂપ બાવાઓના જીવનમાં ઝાંકીને જુઓ તો તમને કેટલાય ખાડાઓ જોવા મળશે. એથીય મોટા ખાડા તેમણે બીજાના જીવનમાં પાડ્યા હોય છે. આ પ્રકારના અધાર્મિક ખાડાઓને તેઓ દાઢી, જટા, ગળામાં માળાઓ, કપાળમાં કેસર-ચંદનનાં તિલક અને ભગવાં કપડાં જેવા ધાર્મિક યુનિફોર્મ વડે પૂરવા મથે છે. અમદાવાદમાં ચોમાસુ ખાડાઓને ‘ભૂવા પડ્યા’ એમ કહે છે. જોકે ભૂવાઓ મોટે ભાગે પડતા નથી પણ બીજાને પાડે છે. તાજેતરમાં પેલા ભૂવામાંથી ભગવાન સુધીની ભવ્ય યાત્રા કરનારનો દાખલો આપણી સામે છે. તેમણે ભૂવા બનીને કેટલાય ભક્તોનાં બેન્ક બેલેન્સમાં ભૂવા પાડ્યા છે.
આર્થિક ખાડાઓની વાત કરીએ તો જે રીતે રસ્તા પર ખાડો ખોદનાર આજ સુધી તેમાં પડ્યો નથી એ જ રીતે આર્થિક ખાડો ખોદનાર પણ આજ સુધી તેમાં પડ્યો નથી. યાદ કરો શેરબજારમાં રાષ્ટ્રીય ખાડો ખોદનાર મહાસાંઢ મહેતા હર્ષદને ! બીજા કેટલાય તેમાં એવા ઊંધે કાંધ પડ્યા છે કે તેમને આજ સુધી કળ વળી નથી. હજુ સુધી તેઓ ગાયા કરે છે, ‘મદદ કરો સંતોષી માતા.’ અમેરિકાએ વળી મહેતાજીની ઉપરવટ જઈને વૈશ્વિક ખાડો ખોદ્યો. જેમાં આખ્ખે-આખ્ખાં શેરબજાર ગરક થઈ ગયાં. અને શેરબજારના સાંઢ સીધા શેર-શાયરી પર ઊતરી આવ્યા. આને કહેવાય આમૂલ પરિવર્તન ! આ રીતે ઘણી વાર પિતાએ ખોદેલ ખાડામાં પુત્ર પડે છે. તો કેટલી વાર કમાઉ દીકરાઓ એવા ખાડા ખોદે છે કે તેમાં તેમના પરમપૂજ્ય પિતાશ્રી આખે-આખા સમાધિ લઈ લે તો પણ એ ખાડો પુરાય નહિ. આ રીતે આપણા દેશમાં ખાડો એક પરંપરા છે, જીવનશૈલી છે. તેથી જ ભારત દેશમાં ખાડાઓની ભવ્ય ભાતીગળ સંસ્કૃતિ જોવા મળે છે. આ જોઈને કેટલાક લોકો પુણ્યપ્રકોપ ઠાલવતાં કહે છે કે આખો દેશ ખાડે ગયો છે.
પૃથ્વી પરના મહાસાગરો પણ આમ જુઓ તો ખાડાઓ જ છે. પણ તેઓ બહુમતીમાં હોવાથી તેમણે ‘મહાસાગરો’નાં બિરુદ ધારણ કરી લીધાં છે. ભૂગોળના આ ચાર મહાસાગરો ઉપરાંત ભૂગોળ બહારનો પાંચમો મહાસાગર પણ છે જે ક્યાંય નકશામાં જોવા મળતો નથી. જે માનવીએ રચેલો સાંસ્કૃતિક ખાડો છે. આમ છતાં યુવાપેઢી તેનાથી વિમુખ ન થઈ જાય તે માટે તેને ‘સંસાર સાગર’ એવું રૂડું નામ આપવામાં આવ્યું છે. આવા લપસણા ઉપનામથી આકર્ષાઈને ઘણાં યુવક-યુવતીઓ આ સંસાર સાગરમાં સજોડે બોટિંગ કરવા ઊતરી પડે છે. પછી જ તેને વાસ્તવિકતા સમજાય છે. તેથી જ નાઝીરસાહેબે કહ્યું છે :
નથી આ સાગરની વાતો,
આ તો ભવસાગરની વાતો છે,
અવરને તારનારા તું સ્વયં, એને તરી તો જો.
આ રીતે બ્રહ્માંડમાં પણ બ્લેક હોલ નામનો જબરજસ્ત ખાડો છે એવું વૈજ્ઞાનિકો કહે છે. ચંદ્ર અને ગ્રહો પર પણ ખાડાઓ છે તેથી તારાઓમાં પણ ખાડા તો હશે જ. ‘હમ જહાં કદમ રખતે હૈ વહાં રાસ્તા હો જાતા હૈ’ એવું ઘણા ગર્વિષ્ઠો કહે છે. ખાડો તેમને પડકારે છે. આમ તો ખાડો એ રસ્તાના ગાલ પર પડેલું ખંજન છે. આવાં ખંજન જ માનવીઓના ગર્વનું ખંડન કરે છે. આમ છતાં જેમ લોકગીતો, લોકવાર્તાનો કર્તા મળતો નથી એમ ખાડાનો કર્તા પણ હંમેશાં ઈશ્વરની માફક અદશ્ય રહે છે. જેમના કારણે આખો દેશ ખાડે ગયો છે એવા કોઈ રાજકીય નેતાએ આજ સુધી ખાડાનું ઉદ્દઘાટન કર્યું નથી. સરવાળે ખાડો અનાથ છે. પણ જો આવા કોઈ ખાડામાંથી કાચું સોનું મળી આવશે તો તેવા ખાડાને ખોળે બેસાડવા કંઈક અખાડા કરવામાં આવશે.
ખાડાઓને આપણે નકારાત્મક દષ્ટિથી જ જોયા છે. બાકી ખાડા તો ઘણા ઉપયોગી છે. મહાસાગરો રૂપી મહાખાડાઓને કારણે જ આપણને વરસાદ મળે છે. કૂવા રૂપી ખાડામાંથી પીવાનું પાણી મળે છે. વળી હાડકાના ડૉકટરને તો ખાડો ખાસ ઉપયોગી છે. આવા ખાડાઓએ જ તેમના ખાડા પૂર્યા છે તેથી એ પણ સ્વીકારવું પડે કે ખાડાથી જ ખાડો પૂરી શકાય છે. ……….પણ એક ખાડો એવો છે જેને માટે માણસ જિંદગીભર મથે છે છતાં પૂરી શકાતો નથી ! તે છે ‘ગરીબોના પેટનો ખાડો.’
        -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...