Saturday 1 September 2012

આઠ આને કિલો આત્મજ્ઞાન


અજ્ઞાનીઓની ચર્ચાનો વિષય ઘણી વાર ‘જ્ઞાન’ હોય છે, કારણ કે પોતે જ્ઞાની છે એવું અજ્ઞાન ઘણા ધરાવે છે. પણ પોતે અલ્પજ્ઞાની અથવા અજ્ઞાની છે એવું જ્ઞાન બહુ ઓછાને હોય છે. આવું જ્ઞાન હોવું તે મારી દષ્ટિએ આત્મજ્ઞાન છે. મારી દષ્ટિ પણ અલગ છે તેથી મારું આત્મજ્ઞાન પણ અલગ હોય તે સ્વાભાવિક છે. આમ જ્ઞાની કરતાં અજ્ઞાની પાસેનું જ્ઞાન સત્યની વધુ નજીક હોય છે. ‘જ્ઞાન જ માનવીને પોતે કેટલો અજ્ઞાની છે તે બતાવી શકે છે.’ આવું કોઈ ચિંતક ક્યાંકથી વાંચીને લખી ગયા છે. આ રીતે જ્ઞાન ક્યારે બોલવું તેના કરતાં ક્યારે ન બોલવું તે બાબત વધુ સારી રીતે શીખવે છે. અજ્ઞાની માણસ વધુ બોલે છે. (અથવા લખે છે. દાખલો તમારી નજર સામે છે.)
જો કે આ તો ફક્ત જ્ઞાનની વાત થઈ, મારું ધ્યેય તો જ્ઞાનથી એક ડગલું આગળ વધીને આત્મજ્ઞાનનું છે. ઉપર જણાવ્યું તેવા અમારા એક જ્ઞાનીસાહેબ વારંવાર કહેતા કે ધ્યેય હંમેશાં ઊંચું રાખો. તેથી ઘણા એટલું ઊંચું ધ્યેય રાખે છે કે તેમને ખુદને જ દેખાતું નથી. સાહેબ કહેતા કે ચંદ્ર પર પહોંચવાનું ધ્યેય રાખો તો તમે અવકાશમાં સહેલાઈથી પહોંચી શકશો, તેથી મેં પણ ઊંચું ‘ચંદ્ર’નું ધ્યેય રાખેલું. રખાય ! ઊંચાં ધ્યેયનાં ક્યાં ભાડાં ભરવા પડે છે ! ચંદ્રનું ધ્યેય રાખ્યું હોવાથી હું અમારા મકાનની દાદર વગરની અગાસી પર જરૂર પહોંચી શક્યો પણ પછી ઊતરી ન શક્યો. કારણ કે નીચા ધ્યેયનો તો વિચાર જ નહોતો કરેલો. તેથી એટલું જ્ઞાન થયું કે ‘જ્ઞાનથી કાર્યો થતાં નથી, પણ કાર્યોથી જ્ઞાન થાય છે.’ આવી રીતે મેં ધ્યેય આત્મજ્ઞાનનું રાખ્યું તેથી હું થોડોઘણો સામાન્ય જ્ઞાનની નજીક પહોંચી શક્યો.
જ્ઞાનની પગદંડી છોડીને સીધા જ આત્મજ્ઞાનના રાષ્ટ્રીય ઘોરી માર્ગ પર ચડી જવાનું કારણ માત્ર એટલું જ કે આજકાલ મારી આજુબાજુ આડત્રીસ આત્મજ્ઞાનીઓ વસે છે. તેઓ ઋષિયુગના નહિ પણ હાલના બાપુયુગના છે, કારણ કે થોડા સમય પહેલાં એક પવિત્ર સ્થળે આત્મજ્ઞાનનું ‘સેલ’ લાગેલું. (જેને શિબિર પણ કહી શકાય.) તેમાં અઠવાડિયા સુધી દરરોજ એક કલાક જાઓ અને મનફાવે તેટલું આત્મજ્ઞાન મેળવો તેવું આયોજન હતું. જો અઠવાડિયું ન જઈ શકો તો છેલ્લા દિવસે એક જ કલાક જાઓ અને આત્મજ્ઞાનનું પડીકું બાંધીને લેતા આવો. જો તમે અઠવાડિયે એક કલાક પણ ન જઈ શકો તો આત્મજ્ઞાનની સાડાસત્તર રૂપિયાવાળી સી.ડી. લઈ આવો અને મુગ્ધશ્રોતા બની આત્મજ્ઞાન મેળવો અને તમારા અણુઅણુમાં આત્મજ્ઞાનની જ્યોત ઝળહળાવો. વિચાર તો કરો ! આત્મજ્ઞાન મેળવવાની કેટકેટલી બારીઓ આજે ખૂલી ગઈ છે. છતાં મારા જેવા મૂઢ અજ્ઞાની જ રહ્યા છે. જો સાડાસત્તર રૂપિયાવાળી સી.ડી. પાંત્રીસ જણ સહિયારા ખર્ચે ખરીદે તો દરેકને આઠ આના (પચાસ પૈસા) ખર્ચ પેટે ભાગમાં આવે. આમ આજકાલ આઠ આને કિલો આત્મજ્ઞાન અવેલેબલ છે. આ બધું જોઈ-સાંભળીને મને આપણા ઋષિમુનિઓ પર ખરેખર ગુસ્સો આવ્યો. તેઓ આજ સુધી આપણને ડરાવતા-ગભરાવતા રહ્યા કે યુગોના યુગો વીતી જાય, અનેક જન્મોના ફેરા થાય તોય આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આવું કહેનારામાંથી આજે એકપણ હયાત નથી – નહિ તો મારા ખર્ચે રિક્ષા કરીને લઈ જાત ને બતાવત કે ‘આ જુઓ એક કલાકમાં આત્મજ્ઞાન ! ખાલી ખોટા ડરાવ્યા શું કરો છો પામર માનવીઓને.’
આમ તો જ્ઞાન કે આત્મજ્ઞાન સાથે મારે કમળપત્રને પાણી સાથે હોય તેવો ગાઢ સંબંધ છે. એટલે હું ગોતાખોરની માફક જ્ઞાનના મહાસાગરમાં ડૂબકી મારતો નથી, કારણ કે તેમાં ઘણી વાર ગોથું ખાઈ ગયો છું. પણ પેલા આડત્રીસ આત્મજ્ઞાનીઓ સાડાસત્તર રૂપિયાવાળી આત્મજ્ઞાનથી ઊભરાતી સી.ડી. લાવેલા તે મેં પણ સાંભળી. તેમાં આત્મજ્ઞાની બાપુ – એક વાક્ય ઘણું ભારપૂર્વક બોલેલા કે ‘આમાં તમારે કશું જ કરવાની જરૂર નથી.’ (નિષ્કામ કર્મયોગ). બસ, આ શબ્દો ક્યાંય અટક્યા વગર સીધા જ મારા હૃદયમાં ઊતરી ગયા. જેમાં ‘કશું જ કરવાની જરૂર ન હોય’ એવી પ્રવૃત્તિ હું છેલ્લાં પંદર વર્ષોથી શોધું છું. મારા ચાર-પાંચ મિત્રો પણ આવું શોધે છે. ‘નિવૃત્તિમાં જ પ્રવૃત્તિ’ના સિદ્ધાંતમાં મને પહેલેથી જ શ્રદ્ધા છે. વળી એવું પણ સાંભળ્યું કે આત્મજ્ઞાન કર્મનાં બંધનોમાંથી મુક્તિ અપાવે છે. તેથી હું પરબારો જ આત્મજ્ઞાન તરફ આકર્ષાયો. તેમાંથી ‘કર્મસંન્યાસયોગ’ વિશે પણ જાણવા મળ્યું. જીવનમાં આત્મસાત કરવા જેવો મને તે એક જ યોગ જણાયો. યુવાન વયે જ મેં કર્મમાંથી સંન્યાસ લેવાના પ્રયત્નો આદરી દીધા હતા. તે મારા જીવનનું અંતિમ ધ્યેય હતું. મારા મિત્રો પણ આ દિશામાં સક્રિય છે. અમે બધા વરસેદહાડે મળીએ ત્યારે તરત જ એકબીજાને પૂછી લઈએ કે : ‘મળ્યું કાંઈ કર્મસંન્યાસ યોગ જેવું !’ ભણતો ત્યારે મને એટલું ભાન થયેલું કે આ ભણતર બે ટંકના રોટલા પણ અપાવી શકે તેમ નથી. તેથી ત્યારથી જ હું અજ્ઞાતપણે કર્મસંન્યાસયોગ તરફ વળી ગયેલો. અને વિષયમુક્ત થયેલો. એટલો બધો વિષયમુક્ત થયેલો કે ભણવામાં કેટલા વિષયો આવે છે તેનાં નામ પણ ભૂલી ગયો. જેમ ગુજરાતી ફિલ્મો સો ટકા કરમુક્ત હોય છે તેમ હું સો ટકા કર્મમુક્ત થવાની અભિલાષા સેવું છું.
આડત્રીસ આત્મજ્ઞાનીઓ વચ્ચે વસતો હોવા છતાં હું સાવ કોરોધાકોર રહ્યો. મને આત્મજ્ઞાન તો શું જરૂરી સામાન્ય જ્ઞાન પણ પ્રાપ્ત ન થયું. જો થોડુંઘણું સામાન્ય જ્ઞાન હોત તો જેમાં જ્ઞાનની ખાસ કોઈ જરૂર પડતી નથી એવી સરકારી નોકરી મેળવી શક્યો હોત. હું કોલેજના પ્રથમ વર્ષમાં હતો ત્યારે તલાટી-કમ-મંત્રીની સામાન્ય જ્ઞાનની લેખિત પરીક્ષામાં પાસ થયેલો. પછી મૌખિક ઈન્ટરવ્યુ માટે બોલાવ્યો ત્યારે મારો આત્મવિશ્વાસ બુલંદ હતો કે હું તો સહેલાઈથી પાસ થઈ જઈશ. ઈન્ટરવ્યુ સારો રહ્યો છતાં મને નાપસંદ કરવામાં આવ્યો. ત્યાર પછી મને એટલું આત્મજ્ઞાન થયું કે મૌખિક ઈન્ટરવ્યુ પહેલાં જો આર્થિક આયોજન સારી રીતે કરવામાં આવે તો ‘વહાલે ઉગાર્યો ભક્ત પ્રહલાદ’ એમ ઈન્ટરવ્યુકાર આપણને નિષ્ફળતામાંથી ઉગારી લે છે. આમ સફળતા કરતાં નિષ્ફળતામાંથી આપણને ઉત્તમ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી આવું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ કેટલાક વારંવાર સાક્ષીભાવે નિષ્ફળતા સ્વીકારતા રહે છે. (કેવી નિષ્ઠા ! નિષ્ફળતા પણ અનાથ નથી હોતી.) મારી જેમ જ કર્મસંન્યાસયોગના હિમાયતી એવા મારા મિત્રે આવી રીતે સારું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. બન્યું એવું કે અનુસ્નાતક થયા પછી તે એક ખાનગી નોકરીમાં જોડાયો. પછી વારંવાર નોકરીઓ બદલાતી જ રહી. વારંવાર નોકરી બદલવી તે કાંઈ અણઆવડત નથી. તેમાં ઊંડા ઊતરીએ તો ખ્યાલ આવે કે ‘આ માણસ શા માટે વિવિધ પ્રકારની નોકરીઓ કરી રહ્યો છે.’ પણ આપણે તો ઉપરછલ્લું જોઈને સિક્કો મારી દઈએ કે ‘આ સાલો ક્યાંય ટકતો નથી.’ આખરે મિત્રના પૂજ્ય પિતાશ્રીએ તેને ઠપકો આપતાં કહ્યું કે ‘તું આવી રીતે વારંવાર નોકરીઓ ક્યાં સુધી બદલ્યા કરીશ ?’ ત્યારે તેણે પિતાશ્રીને સમજાવતાં કહ્યું, ‘ભલેને બદલું. આપણને અનુભવ તો મળે ને.’ ત્યારે છૂપા આત્મજ્ઞાની એવા તેના પિતાશ્રીએ કોયડો કર્યો કે આખી જિંદગી અનુભવ જ મેળવીએ તો તે કામ ક્યારે લાગે ? (એક અર્ધસત્ય દુર્ઘટના પરથી) આમ આત્મજ્ઞાની પિતાશ્રીનાં વચનોમાંથી તેને જીવનમાં પ્રથમ વાર આત્મજ્ઞાન પ્રાપ્ત થયું કે ‘સાલી વાત તો સાચી છે – જો પથારી કરવામાં જ સવાર પડે તો સૂવું ક્યારે ?’
આત્મજ્ઞાન મેળવવું જેટલું મુશ્કેલ છે તેના કરતાંય આડત્રીસ-આડત્રીસ આત્મજ્ઞાની વચ્ચે વસવું કઠિન છે. આ તો અનુભૂતિનો વિષય છે. વાતોથી ન સમજાય. એ તો ‘રામબાણ વાગ્યાં હોય તે જ જાણે.’, કારણ કે સેલ (શિબિર) દ્વારા આત્મજ્ઞાની થયેલાઓનું જમા પાસું એ છે કે તેઓ જ્ઞાનને બંધિયાર બનવા દેતા નથી, સતત વહેતું રાખે છે. તેઓ સ્થળ, કાળની પરવા કર્યા વિના ગમે તેને, ગમે ત્યારે આત્મજ્ઞાન આપતા જાય છે. આપણા સદભાગ્યે (?) આડત્રીસમાંથી એકાદ તો ગમે ત્યાં ભેટી જાય ને તરત જ આત્મજ્ઞાનનું માવઠું (કમોસમી વરસાદ) થઈ જાય છે. (જો કે તેને તો અનરાધાર વરસવાની ઈચ્છા હોય છે.) આમ વારંવાર આત્મજ્ઞાનના માવઠામાં ભીંજાઈને આપણે વહેલી તકે ‘જ્ઞાનવૃદ્ધ’ (અથવા ‘અકાળે વૃદ્ધ’) થઈ જઈએ છીએ. વારંવાર ભીંજાવાથી કેટલાકને તો આત્મજ્ઞાનનો ન્યુમોનિયા થઈ જાય છે. આવી રીતે આત્મજ્ઞાની નંબર એકવીસ એટલે કે અમારી સોસાયટીની બાજુમાં ‘કેશકર્તન કલામંદિર’ ધરાવનાર રોમશત્રુ (વાળંદ) પણ આત્મજ્ઞાનથી ભરપૂર બન્યો છે તેથી તે વાળવિસર્જનના કાર્યની સમાંતરે શિર ઝુકાવીને બેઠેલા ગ્રાહકોના મસ્તક પર અનરાધાર આત્મજ્ઞાન વરસાવતો રહે છે. બિચારો ગ્રાહક અધૂરા કાર્યે મેદાન છોડી શકતો નથી, કારણ કે ‘પલાળ્યું’ એટલે મૂંડાવવું તો પડે જ !’ આમ તેને ત્યાં બાલદાઢી કરાવનારને અજાણપણે આત્મજ્ઞાન ફ્રી એવી સ્કીમ અમલમાં મુકાઈ ગઈ છે. તે આત્મજ્ઞાની નહોતો ત્યારે સાંજ સુધીમાં ત્રીસ જણને પતાવતો. પણ આત્મજ્ઞાની થયા પછી ફક્ત વીસ જણને જ પતાવે છે, કારણ કે જેમ કુરુક્ષેત્રમાં અર્જુનના હાથમાં શસ્ત્રો થંભી ગયાં હતાં તેમ ઘણી વાર કેશકર્તન શરૂ કરતાં પહેલાં જ આત્મજ્ઞાનવૃદ્ધિ કરતી વખતે તેના હાથમાં શસ્ત્રો થંભી જાય છે અને જીભ સક્રિય બને છે. તેની બાજુમાં જ આવેલ દરજી (આત્મજ્ઞાની નંબર બાવીસ) એ લેંઘો સીવતાં સીવતાં અજાણપણે આત્મજ્ઞાનના અગાધ મહાસાગરમાં લપસી પડતાં સમાધિ અવસ્થામાં જ લેંઘાને બદલે ચડ્ડી સીવી નાખી. આ બાબતનું જ્ઞાન પણ તેને ગ્રાહક લેંઘો લેવા આવ્યો ત્યારે થયું. આમ અડાબીડ આત્મજ્ઞાનીઓ વચ્ચે વસવું અઘરું છે.
જ્યારે આત્મજ્ઞાનનાં ‘સેલ’ ન થતાં ત્યારે લોકો અનુભવમાંથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરતા. આવી રીતે અમારો એક મિત્ર ભણ્યા પછી રાબેતા મુજબ બેકાર હતો. તેથી તેણે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અને આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરવા જ્યોતિષીઓનું શરણ ગ્રહણ કર્યું. અનેક જ્યોતિષીઓ પાસે તેણે ભવિષ્ય જોવડાવ્યું. તેના જીવનમાં ભવિષ્યમાં આર્થિક સધ્ધરતાના ખૂબ સારા યોગ છે એવું જ્યોતિષીઓએ જણાવ્યું. તે યોગ સિદ્ધ કરવા તેને નંગ પહેરાવ્યાં. મેં કહ્યું : ‘નંગ’ ને વળી નંગની શી જરૂર ?! છતાં તેણે પહેર્યાં. તેની સાત આંગળીઓ નંગદાર અંગૂઠીઓથી ભરચક્ક થઈ ગઈ. ઉપરાંત વીજળી કે ખનીજતેલથી નહિ પણ જ્યોતિષીઓના મંત્રોથી ચાલતાં યંત્રો પણ ખરીદ્યાં. આ બધાને કારણે તેના વર્તમાનની જે થોડીઘણી આર્થિક સધ્ધરતા હતી તે તળિયે ગઈ. આમ ભવિષ્ય ઉજ્જવળ બનાવવા જતાં તેનો વર્તમાન વિકટ બન્યો. પછી તેના મનમાં દિવસરાત પોતાની કુંડળી, ગ્રહોનું ઉચ્ચ-નીચ થવું, વક્રદષ્ટિ, ભાગ્યોદય વગેરેના વિચારો જ રમવા લાગ્યા. પેલું ભમરી અને ઈયળના દષ્ટાંત મુજબ જેમ ભમરીનું સ્મરણ કરતાં કરતાં ઈયળ ખુદ ભમરી બની જાય છે તેમ જ્યોતિષીઓના આર્થિક ડંખ સહન કરવાથી અને તેમણે ભાખેલા ભવિષ્યનું સતત સ્મરણ કરવાથી મિત્રનું એક બેરોજગાર અનુસ્નાતકમાંથી જ્યોતિષાચાર્યમાં રૂપાંતર થઈ ગયું. ‘આ જ ઉત્તમ વ્યવસાય છે.’ તેવું તેને આત્મજ્ઞાન થતાં તે પોતાની અનુભવસિદ્ધ જ્યોતિષવિદ્યાથી લોકોનાં ભવિષ્ય ઉજ્જવળ (ઉતાવળમાં ‘ઉજ્જડ’ ન વાંચશો.) કરી રહ્યો છે. હમણાં છેલ્લા સમાચાર મુજબ જેમ સમ્રાટ અશોકે ગાદીએ બેઠા પછી ‘દેવનામ પ્રિય’ એવું ઉપનામ જાતે ધારણ કરેલું (સેલ્ફસર્વિસ) તેમ તેણે ‘શાસ્ત્રીજી’નું બિરુદ ધારણ કર્યું છે. આ બિરુદ ધારણ કરવા વિશે પૂછતાં તેણે આત્મજ્ઞાનમાં તત્વજ્ઞાનનું ફલેવર્ડ ઉમેરતાં કહ્યું, ‘જેમ બુફે ડિનરમાં જે જોઈએ તે જાતે લઈ લેવાનું હોય, કોઈ પીરસે તેની રાહ જોવાની ન હોય’ તેવી રીતે આચાર્ય, જ્યોતિષાચાર્ય, શાસ્ત્રીજી, પંડિતજી જેવી પદવીઓ સ્વયં ધારણ કરી લેવાની હોય છે. તેના માટે પદવીદાન સમારોહની રાહ ન જોવાય. વિશેષમાં જણાવ્યું કે યુનિવર્સિટીઓ શું આપણને પદવીઓનું ‘દાન’ કરે છે ? એ તો આપણે જાતમહેનતથી મેળવીએ છીએ. છતાં ‘પદવીદાન સમારોહ ?’ દાનમાં તો ડી. લીટ. પણ મળે. પણ હું તો ડિગ્રીઓનાં દાન સ્વીકારતો નથી. આ તેનું અનુભવસિદ્ધ આત્મજ્ઞાન હતું.
જ્ઞાન વિશે વિજ્ઞાન કહે છે કે આપણા મસ્તકમાં જ્ઞાનતંતુઓ આવેલા હોય છે. તેના દ્વારા આપણને જ્ઞાન થાય છે. પણ આત્મજ્ઞાનતંતુઓ હોતા નથી. ભલે આપણા મસ્તકમાં ન હોય પણ આત્મજ્ઞાનની એજન્સી ધરાવનાર ગુરુના મગજમાં જરૂર ગુચ્છાદાર આત્મજ્ઞાનતંતુઓ હોવા જોઈએ. જિજ્ઞાસુઓએ આ વિષયમાં સંશોધન અર્થે મચી પડવા જેવું છે. જોકે મને તો કોઈ જાતનું જ્ઞાન જલદી ચડતું નથી તેથી મારા મનમાં જરૂર અજ્ઞાનતંતુઓ હોવા જોઈએ. આવા અજ્ઞાનતંતુઓને કારણે હું એવું માનતો કે જ્ઞાન અને દાઢીને ગાઢ સંબંધ છે. પરંતુ બહુ મોડે-મોડે સમજાયું કે તે સૌથી મોટું અજ્ઞાન છે, કારણ કે દાઢીની જેમ જ્ઞાન બારેમાસ આપોઆપ વધતું નથી.
આવા આત્મજ્ઞાનને સર્વવ્યાપી બનાવવા માટે આત્મજ્ઞાનના વિતરકોએ ‘હોમ ડિલિવરી’ અથવા ‘ડોર ટુ ડોર’ સર્વિસ શરૂ કરવી જોઈએ. સવારમાં જેમ દૂધવાળો દૂધ આપી જાય તેમ આત્મજ્ઞાનનું ચોસલું આપી જવાનું. ઉપરાંત ‘આત્મજ્ઞાન હેલ્પલાઈન’ પણ શરૂ કરવી જોઈએ જેથી કટોકટીની પળે મનુષ્યને આત્મજ્ઞાનની આવશ્યકતા જણાય તો તે ફોન કરીને ઊભાં ઊભાં આત્મજ્ઞાન મેળવી શકે. જનકલ્યાણ અર્થે ‘આત્મજ્ઞાનબૂથ’ કે ‘પોઈન્ટ’ શરૂ કરવાં જોઈએ જેથી રસ્તે નીકળેલા મનુષ્યને અચાનક જો આત્મજ્ઞાનની ભૂખ જાગે તો બૂથવાળા તરત જ તેને આત્મજ્ઞાનનો ગરમાગરમ ઘાણવો ઉતારી આપે. આ રીતે જ્યારે આત્મજ્ઞાનનું વિતરણ શરૂ થશે ત્યારે જગતનું કલ્યાણ થશે. આ દિવસો બહુ દૂર નથી. હું તો આ બાબતે પૂરેપૂરો આશાવાદી છું. આવા ઈન્સ્ટન્ટ આત્મજ્ઞાન દ્વારા જ આપણી તમામ સમસ્યાઓનો ઉકેલ આવી શકશે.

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...