Saturday 1 September 2012

લેખક બનવાની લમણાઝીક !


[‘અખંડ આનંદ’ ફેબ્રુઆરી-2007 માંથી સાભાર. લેખક સંપર્ક : +91 9375852493]
ઘણુ બધું વિચાર્યા પછી અંતે લેખક થવાનું નક્કી કર્યું. (વાંચ્યા વગર – માત્ર વિચારીને જ !) ‘નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન’ ના ધોરણે મૂળભૂત ધ્યેય તો ફિલ્મોમાં નાયક બનવાનું જ હતું. પણ ચલચિત્રનાં તમામ ક્ષેત્રોમાં હું નાયકને બદલે ના-લાયક ઠર્યો. તેથી સમય જતાં ધ્યેય પણ બદલાયું. (ન છૂટકે) ઘણાં બધાં ધ્યેયોમાંથી લેખક બનવાનું ધ્યેય સ્વીકાર્યું. પહેલેથી જ જીવનમાં કંઈક અસાધારણ બનવા-કરવાની તમન્ના ખરી. તેથી ઘણાં મનોમંથનને અંતે મારા અંતરાત્માએ સ્વીકાર્યું કે લેખક પણ અસાધારણ વ્યક્તિ જ ગણાય. (સાધારણ કરતાં ઘણું નબળું હોય તેને પણ અસાધારણ કહી શકાય.) તેથી લેખક બનવાનું ધ્યેય નક્કી થયું.
લેખક બનવા માટે શું શું કરવું એ વિશે કેટલાક મિત્રોની સલાહ લેતાં તેમણે લખવાનો મહાવરો કરવાની સલાહ આપી. મને પણ તે યોગ્ય લાગ્યું. કારણકે ‘લખતા લહિયો થાય’ એવું મેં અભ્યાસકાળ દરમિયાન વાંચેલું. લખવાનો વધારેમાં વધારે મહાવરો ક્યાં થઈ શકે એવું વિચારતા છેવટે જુદી જુદી પેઢીઓનાં નામાં લખવાનું નક્કી કર્યું. નામું લખવામાં બે ફાયદા હતા. એક તો લખવાનો ભરપૂર મહાવરો થાય. સાથોસાથ થોડી ઘણી કમાણી પણ થાય. આમ ઘણા દિવસ લખવાના મહાવરારૂપે નામું લખ્યું. વખત જતાં એક વડીલે સલાહ આપી કે નામું લખવાથી મહેતાજી બની શકાય, લેખક નહિ. જો તમારે લેખક બનવું હોય તો વિવિધ પ્રકારનું લખવું પડે, તો જ કલમ પર કાબૂ મેળવી શકાય. એ વાત પણ મારા ગળે ઊતરી ગઈ. કારણ કે સિદ્ધહસ્ત લેખક બનવા માટે એ જરૂરી હતું. તે સમયમાં સંતોષીમાના પત્રો આવતા. આવો પત્ર જેને ત્યાં આવે તે બહેને એકાવન, એકવીસ કે અગિયાર પત્રો સંતોષીમાના લખવા એવું તેમાં ભારપૂર્વક જણાવવામાં આવતું. સંતોષીમાના પત્રો લખવાથી ભક્તોને કેવા કેવા તોતિંગ લાભ થયા તે પણ દર્શાવાતું. તેથી બહેનો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક સંતોષીમાતાના પત્રો લખતી લખાવતી. (પ્રૌઢશિક્ષણમાં આ પત્રોનો ઘણો ફાળો છે.)
મારા આડોશપાડોશમાં ઘણી બહેનો એવી હતી કે જે લેખનક્ષમતા ધરાવતી નહોતી. તેમાંની લગભગ બધી જ બહેનો સંતોષીમાતાના પત્રો લખવા માટે મને બોલાવતી. મને લખવાનો મહાવરો થયો તે માટે હું બધાને સંતોષીમાતાના પત્રો લખી આપતો. આ ભક્તિચક્ર ઘણો સમય ચાલ્યું. તેમાં પણ બે ફાયદા હતા. એક તો લખવાનો મહાવરો થાય અને બીજો સંતોષીમા પ્રસન્ન થાય તો આપણે રાતોરાત મૂર્ધન્ય લેખક બની શકીએ. તે સમયમાં કોઈ ડોહાં-ડગરાં ઊકલી ગયાં હોય ત્યારે પોસ્ટકાર્ડના પાછળના ભાગે ‘અશુભ’ લખેલા અધૂરા પત્રો લખવામાં આવતા. જેને ‘મેલો’ કહેવામાં આવતો. આવા મેલા લખવા પણ પડોશીઓ મને બોલાવી જતા. ‘મેલો’ લખવાના મહાવરાથી હું અડોશ-પડોશમાં જાણીતો થયો. ધીમે ધીમે ‘મેલા-માસ્ટર’ બની ગયો. મેલા લખવામાં મેં એવું પ્રભુત્વ જમાવ્યું કે જીવતાં હોય તેના પણ મેલા લખી શકતો. મારા લેખનકૌશલ્યથી પ્રભાવિત થઈને પાડોશીઓ મને લગ્ન-કંકોતરીઓ લખવા પણ બોલાવવા લાગ્યા. તે કાર્ય ખૂબ જ ખંતથી કર્યું. આમ લેખક બનવા માટે વિવિધ પ્રકારનાં લખાણોનો ભરપૂર મહાવરો કર્યો.
આટલું કર્યા પછી એક દિવસ ટૂંકી વાર્તા લખી બાજુમાં રહેતા ગુજરાતીના પ્રાધ્યાપકને બતાવી. પ્રધ્યાપકે વાર્તા વાંચી, પછી છીંકણી સૂંઘીને સોનેરી સલાહ આપી કે માત્ર નામાં કે મેલા લખવાથી લેખક ન બની શકાય. તમારે વિવિધ વિષયોનું ભરપૂર વાંચન કરવું જોઈએ. વાત સો ટચના સોના જેવી હતી. તેથી ત્વરિત અમલ કર્યો અને વાંચન તરફ વળ્યો.
વાચનની શુભ શરૂઆત વિધ્નહર્તા દેવ ગણપતિદાદાના વાંચનથી જ કરવી એવું નક્કી કર્યું. પણ ગણપતિદાદાની પરાક્રમગાથાનાં કોઈ ખાસ પુસ્તકો કે પરચા કે ગણપતિપુરાણ કે ગણપતિગીતો જેવું કશું ગ્રંથસ્થ થયેલું નહોતું. તેથી દૈવી વાંચનથી શરૂઆત કરી. ત્યારે ‘મા બૂટ-ભવાનીના પરચા’ એ પુસ્તિકા ઘરમાં ઉપલબ્ધ હતી. જે એક જ બેઠકે વાંચી કાઢી. ત્યારબાદ બહેન પાસે હતી તે સંતોષીમાની વાર્તા, સોલ સોમવાર, સાકરિયા-ભાખરિયાની વ્રતકથા, પુરુષોત્તમ મહાત્મય, વૈભવલક્ષ્મીમાતાની વ્રતકથા વગેરેનું ખૂબ શ્રદ્ધાપૂર્વક વાંચન કર્યું. આ વાંચનથી મનમાં એટલી તો ચોક્કસ ખાતરી થઈ કે જરૂર કોઈ દેવી-દેવતા તેમની પાસે પડેલા આશીર્વાદના સ્ટોકમાંથી એકાદ આશીર્વાદ આપણને ફાળવશે અને આપણે સફળ લેખક બની શકીશું. લેખક બનવાની ઝુંબેશના ભાગરૂપે સત્યનારાયણ ભગવાનની કથા તો એટલી વાર વાંચી કે જેથી આખી કથા મોઢે થઈ ગઈ. તેમાંથી આડફાયદો એ થયો કે બે-ચાર ઠેકાણે સસ્તામાં કથા-કરવાના ઓર્ડર પણ મળ્યા. આમ લેખક બનતાં પહેલા હું ભગવાન સત્યનારાયણની કૃપાથી ‘વાચક’ બની ગયો. તદુપરાંત મારી શ્રદ્ધા એટલી મજબૂત બની કે ભગવાન સત્યનારાયણ જરૂર આપણું વહાણ તારશે.
આ પ્રમાણે લેખક બનવાના ઉત્કૃષ્ટ ધ્યેયનો લેખન અને વાંચનના એકધારા મહાવરાથી મજબૂત પાયો નાખ્યો. તે દરમિયાન અખબારમાં ચર્ચાપત્રોનો સતત મારો ચલાવતા એક ચર્ચાપત્રી કે જેમને હું ધુરંધર લેખક માનતો હતો. તેમને મેં બે-ચાર લાંબી-ટૂંકી વાર્તાઓ લખીને બતાવી. વાર્તાઓ વાંચીને કશી જ ચર્ચા કર્યા વગર મને વિના-મૂલ્યે અમૂલ્ય સલાહ આપી, ‘જો લેખક જ બનવું હોય તો અખબારોનું વાંચન અનિવાર્ય છે.’ તેમની વાત સાંભળી મને થયું કે ખરેખર આજ સુધી હું અંધારામાં જ હતો. મેં અખબારોનાં વાંચન પર તો ધ્યાન જ નહોતું આપ્યું. તેમણે મને એક નવી દિશા આપી અને તરત જ મેં એમની સલાહ અમલમાં મૂકી. (અક્કલ મઠ્ઠાઓનું એક મુખ્ય લક્ષણ એ છે કે તે સલાહનો તરત જ અમલ કરે છે.)
ઘરમાં અખબાર નહોતું તેથી પડોશીને ત્યાંથી લાવ્યો. તેમણે ગઈકાલનું આપ્યું, છતાં પણ વાંચન શરૂ કર્યું. તે સમયે પ્રથમ પાને અખબારના નામની ડાબી અને જમણી બંને બાજુએ એરોપ્લેન હિંગ તથા હરણ સાબુની જાહેરાતો મૂકવામાં આવતી. ત્યાંથી જ વાંચનની સઘન શરૂઆત કરી. અખબારના નામ નીચે રહેલ તંત્રી મુદ્રક અને પ્રકાશકનું નામ, તારીખ, તિથિ, વાર, અખબારનું પ્રકાશન સ્થળ, અખબારના બહોળા ફેલાવાની સંખ્યા વગેરે બધું જ વાંચ્યું. ત્યાર પછી પ્રથમ પાનાના તમામ સમાચાર, કાર્ટૂન અને રત્નકણિકા વગેરે વાંચ્યું. પછી પાનાં ફેરવતો ગયો અને એરંડાના બજારભાવ, ઊંઝાના જીરૂના ભાવ, રાજકોટ-ગોંડલ-અમરેલીના માર્કેટિંગ યાર્ડના ભાવ, કાળે ઉનાળે શૅરબજારમાં થતા કડાકા, રૂમાં આગ ઝરતી તેજી, આ બધું તલ્લીન થઈને વાંચ્યું, ત્યારે જ ખરેખર ખ્યાલ આવ્યો કે આજ સુધી હું કેટલો અજ્ઞાની હતો. શૅરબજારમાં થતા ભયંકર કડાકા મને આજ સુધી સંભળાયા નહોતા. શૅરબજાર વિશે વાંચ્યા પછી જ ખ્યાલ આવ્યો કે અહીં માણસોને સૌથી વાલી (વહાલી) લેવાલી છે. આમ માત્ર પહેલા જ દિવસે અખબારનું ધ્યાનથી અધ્યયન કરતાં હું જ્ઞાનના મહાસાગરમાં ડૂબી ગયો. આમ છતાં મારા માટે માત્ર આટલું જ પૂરતું નહોતું. મારે તો હજુ ઘણી લાંબી મજલ કાપવાની હતી. મારે લેખક બનવું હતું. તેથી અખબારનો દાણેદાણો ચણી જવો જરૂરી હતો.
તેથી હું મારા વાંચનધ્યેયમાં આગળ વધ્યો. ત્યારબાદ ‘ટેન્ડર નોટિસ’, ‘જાહેર નિવિદા’, ‘અમારો કુપુત્ર (સૉરી ! સુપુત્ર ) કહ્યામાં નથી’, ‘વીજળીકાપની જી.ઈ.બીની જાહેરાત’, ‘એસ.ટીનો ભંગાર વેચવાની જાહેરાત’, ‘ લગ્નગ્રંથિથી જોડાયાં છીએ.’, ‘અમે અટક બદલી છે.’ વગેરે બાબતોનો ઝીણી નજરે અભ્યાસ કર્યો. ત્યારે જ ખબર પડી કે આ દુનિયામાં રોજ-રોજ, કેટકેટલું નવું અને ન બનવાનું બની રહ્યું છે. સરકારી જાહેરાતોને અંગે સચિવોનાં નામ નીચે કૌંસમાં લખેલા ‘આઈ.એ.એસ.’ વાંચ્યા પછી જ ‘આઈ.એ.એસ’ અને ‘આઈ.એસ.આઈ.’ વચ્ચેનો ભેદ સમજાયો કે આઈ.એ.એસ એ સજીવની પરીક્ષાનું સર્ટિફિકેટ છે. જ્યારે આઈ.એસ.આઈ નિર્જીવની પરીક્ષાનું સર્ટિફિકેટ છે. ત્યાંથી આગળ વધીને વાચકોના પત્રો વાંચ્યા. ‘આપની આજ’, ‘શહેરની હલચલ’, ‘ભજનના કાર્યક્રમો’, ‘રેલ્વે આરક્ષણની વિગતો’, ‘દૂરદર્શનના કાર્યક્રમો’, વગેરે વાંચ્યું. છાપામાં છપાયેલા ફોટોગ્રાફ્સ, તેની વિગતો, ફોટોગ્રાફરોનાં નામ વગેરે રસપૂર્વક વાંચ્યાં. છેલ્લે પાને શ્રદ્ધાંજલિ, બેસણા અને ઊઠમણાની જાહેરાતો વાંચી. જેમાંથી ‘જીવન એવું જીવી ગયા…’ જેવી પ્રેરણાત્મક કાવ્યકણિકાઓ પ્રાપ્ત થઈ.
આવી રીતે જ્ઞાનસમૃદ્ધ થઈ, હું મારી વાર્તાઓ લઈ મારા મિત્રના એક નવલકથાકાર મિત્ર કે જેમણે દશેક નવલકથાઓ લખી હતી, પણ તેમાંથી હજુ સુધી એક પણ પ્રગટ થઈ શકી નહોતી, તેમને મારી ટૂંકી વાર્તાઓ બતાવી. તેમણે વાંચ્યા વગર જ મોં ચડાવીને કહ્યું : ‘ટૂંકી વાર્તાઓ તો તોર-તુક્કા છે. કંઈક નવલકથા જેવું લખો તો લેખકમાં ગણાશો, નહિ તો પરચૂરણમાં ખપી જશો.’ વાંચન વિશે મેં એમની સલાહ માગી. એમની સલાહ કોઈએ માગી હોય તેવો તેમનો જીવનમાં કદાચ પહેલો પ્રસંગ હતો. તેથી તેઓ ખૂબ પ્રસન્ન થયા. મને આગ્રહ કરીને ચા પીવડાવી ને પછી મુખવાસ રૂપે સલાહ આપી કે લેખક બનવા માટે અખબારોનું વાંચન તદ્દન નિરર્થક છે. તમારે અખબારો સિવાયનું ઈતર વાંચન કરવું જોઈએ. અખબારના વાંચન વિશેનો તેમનો અભિપ્રાય સાંભળી મને થોડી નિરાશા થઈ છતાં ‘ડગલું ભર્યું કે ના હઠવું….’ ને જીવનમંત્ર બનાવી ઈતર વાચન તરફ વળ્યો.
હવે ફિલૉસૉફરોએ ઝાટકેલી, કશું ન સમજાય તેવી ફિલસૂફીનાં પુસ્તકો વાંચવા લાગ્યો. આમ અખબારી મહાસાગરમાંથી નીકળીને પુસ્તકોના પાટે ચડ્યો. ઉપદેશના પુસ્તકો, જીવનચરિત્રો ઉપરાંત ‘ગૃહિણીના ગૃહઉદ્યોગો’, ‘હાર્મોનિયમ માસ્ટર બનો’, ‘મંત્ર, તંત્ર અને ચમત્કારને પડકાર’, ‘પરણ્યા પહેલા અને પરણ્યા પછી’ , ‘નહાવાનો સાબુ ઘેર બેઠાં બનાવો.’ ઉપરાંત ‘સઘળાં દર્દોનો ઈલાજ શિવામ્બુ ચિકિત્સા’ વગેરે પુસ્તકોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. તે દરમિયાન જ અમારા પાડોશમાં રહેતા કુશળ કર્મકાંડી શ્રી મહાશંકર શાસ્ત્રીજી મળ્યા. તેમણે ‘શું ચાલે છે ?’ એવો પ્રશ્ન પૂછતાં મેં મારી વાંચનપ્રવૃત્તિ વિષે જણાવ્યું. મારું લેખક બનવાનું ધ્યેય પણ સ્પષ્ટ કર્યું. મારી વાત સાંભળીને તેમણે મને છલોછલ આત્મવિશ્વાસથી માર્ગદર્શન આપ્યું. બસ ‘શ્રવણ કરો’. આજે આપણી આજુબાજુ અનેક સ્થળોએ કથારૂપી જ્ઞાનગંગોત્રીઓ વહી રહી છે. તેમનું પરિક્ષિત માફક શ્રવણ કરો. માતા સરસ્વતી આપોઆપ કૃપા કરશે.
એમની વાત સાંભળી હું વિસ્મય પામ્યો. કારણકે શ્રવણનું તો સાવ વિસ્મરણ થઈ ગયું હતું. તત્કાળ મુગ્ધ શ્રોતા બની જુદા જુદા જ્ઞાન-રસનું પાન કરવું એવો નિર્ધાર કર્યો. ‘કથાની સિઝન’ હોવાથી ઘણી જગ્યાએ રામાયણનું પારાયણ અને શ્રીમદ ભાગવતની સપ્તાહ ચાલતી હતી. ચિત્રવિચિત્ર સત્સંગ સાંભળ્યા. નેતાઓના ભાષણો પણ સાંભળ્યાં. કેટલીક કુમારી સાધ્વીઓના મુખેથી કથળેલા ઘરસંસાર રિપૅરિંગના પ્રેરક પ્રવચનો સાંભળ્યાં.
આમ આ જગતમાં લેખન, વાંચન અને શ્રવણ દ્વારા જ્યાંથી જ્યારે અને જેટલું મળે તેટલું વધુમાં વધુ જ્ઞાન મેળવી, લેખન-વાંચનનો મજબૂત મહાવરો કરી, ફરીથી પાંચ-સાંત ટૂંકી વાર્તાઓ લખી. હવે હું પરિક્ષિતની માફક જ્ઞાનથી પરિપક્વ બન્યો છું. એવું મને લાગ્યું. તેથી વાર્તાઓ સીધી જ એક સામાયિકના તંત્રીને મોકલી. તેમણે મારી ટૂંકી વાર્તાઓ વાંચી. પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, ‘તમારી વાર્તાઓ વાંચીને મને ખરેખર ખૂબ હસવું આવ્યું. તમારી હાસ્યકથાઓ સારી છે. હમણાં અમારા એક નિયમિત હાસ્યલેખક બીમાર છે તેથી એક-બે અંકમાં તેઓ લખી શકશે નહિ. તેથી તેમના હાસ્યલેખોના સ્થાને તમારી હાસ્યવાર્તાઓ પસંદ કરી છે.’ પ્રત્યુત્તર વાંચીને હું ગંભીરાતિગંભીર થઈ ગયો. હાસ્ય વિશેનું કશું જ વાચ્યું-લખ્યું ન હોવા છતાં હાસ્યરસ ક્યાંથી પ્રગટ્યો ? આ ઉકેલ શોધવા હું ઘણું મથ્યો છતાં ભેદ પામી શક્યો નથી. આમ છતાં ટૂંકી વાર્તાઓનું લેખનકાર્ય ચાલુ છે. તેમાંથી ક્યો રસ પ્રગટશે એ તો ભગવાન જાણે !

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...