Friday 11 June 2021

હાસ્યલેખ...જમાવટ થઈ જાય એવી જીવન ઝરમર.

 હાસ્યલેખ...જમાવટ થઈ જાય એવી 'જીવન ઝરમર.'

                      ---- નટવર પંડયા

                      (હસસ્યલેખક, હાસ્ય કલાકાર)

                        મોબા.ન.8530669907


(સ્વર્ગવાસી થયેલાનું જીવન વૃતાંત છાપામાં "જીવન ઝરમર"રૂપે છાપવામાં આવે છે..તે વિશે  હાસ્યલેખ)


બપોર ના દોઢ વાગ્યે ડોર બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે ચાળીસેક  વર્ષના સાહિત્યિક સજજન  આ મંદીમાં પણ મંદ મંદ મુસ્કુરાતા ઉભા હતા.મેં એમને આવકાર્યા. તેમણે તીર જેવો સવાલ કર્યો,  "તમારા દાદા એટલે કે પ્રાણજીવન દાદા બીમાર છે ને?" 

 મેં કહ્યું,  "હા બીમાર છે અને સિરિયસ પણ છે! પણ તમે કોણ?" 

 "હું જીવન ઝરમર વાળો!"

 મેં કહ્યું , "દાદા ને અત્યારે ડો.રામબાણ ની દવા ચાલે છે એટલે અત્યારે એમના પર બીજી કોઈ ઔષધીનો અખતરો કરવો જોખમી છે"

  સજ્જને કહ્યું,  "હું ઔષધ વાળો નહીં પણ છાપાની "જીવન ઝરમરવાળો" અમરકાન્ત!  કોઈપણ વ્યક્તિને મૃત્યુ પછી પણ અમર બનાવવા એ અમારું કામ. અમે સ્વર્ગસ્થની જીવન ઝરમર ને એવી આકર્ષક અને રસપ્રદ રીતે તૈયાર કરીને છાપામાં છપાવી આપીએ છીએ કે વાંચનારને ય બે ઘડી મરવાનું મન થઇ આવે"

   મેં કહ્યું,  "તો પછી દાદા દેવ થઈ જાય પછી આવજો."

   " દેવ તો વહેલા મોડા થવાના જ છે આવ્યા એ તો જવાના જ છે માટે આપણે અત્યારથી જ જીવન ઝરમર તૈયાર કરી નાખીએ તો!?"

   "પણ આપણે જીવન ઝરમર તૈયાર કરી નાખીએ  અને દાદા 'તૈયાર' ન થાય તો!?"

    "તો  પણ નો પ્રોબ્લેમ! અમે એવી જીવનઝરમર તૈયાર કરીએ છીએ કે ગમે ત્યારે કામ લાગે. તેને સમયના બંધન નથી નડતા. અમે સર્વગ્રાહી જીવન ઝરમર તૈયાર કરીએ છીએ. તેમાં નામ,ઉંમર, સ્વર્ગવાસ ની તારીખ, સ્થળ જેવી જગ્યાઓ ખાલી રાખીએ છીએ. તેથી તમારા ઘરમાંથી જેવા પ્રાણજીવન દાદા જગ્યા ખાલી કરે કે તરત જ તમારે જીવન ઝરમરની ખાલી જગ્યાઓ પૂરી દેવાની અને અમને આપી દેવાની અમે તરત જ તે છાપામાં પ્રગટ કરીશું.વળી અત્યારથી જીવન ઝરમર તૈયાર કરી નાખી હોય તો તમે દાદા ને વંચાવી પણ શકો અને દાદાને આડકતરો સંકેત પણ આપી શકો કે પૂજ્ય દાદા આપની જીવન ઝરમર તૈયાર થઈ ગઈ છે તો તે વહેલી તકે છાપામાં છપાય એવું કંઈક કરો. અમેં તૈયાર કરેલી  જીવન ઝરમર વાંચીને દાદા ખુશ થઇ જશે.વળી અમારી જીવન ઝરમરની વિશેષતા એ છે કે દાદાના ગયા પછી દાદીમા માટે પણ કામ લાગે અને ત્યારબાદ તમારા.....!!"

 "હે...હેં..હેં..એ..એ.. શું..શુ..!" હું ગભરાયો.

 "એટલે  કે બધાને કામ લાગે એવી પરફેક્ટ! મતલબ કે પૈસા વસૂલ. તમારા રોકાણનું અનેક ગણું વળતર."આમ કહી તેણે લગ્નના આલ્બમ જેવી આકર્ષક ફાઈલ ખોલી તેમાંથી જીવન ઝરમરના આકર્ષક નમૂનાઓ અને ફરમાઓ બતાવ્યા અને કહ્યું,  "જુઓ આ  બે હજારવાળી જીવન ઝરમર. આ પાંચ હજારવાળી, આ  આઠ હજારવાળી અને આ સૌથી બેસ્ટ પિસ્તાળીસ હજારવાળી."

  મેં ખચકાટ સાથે કહ્યું,   "પણ જીવન ઝરમરમાં ય જુદા જુદા ભાવ!"

   "હોય જ ને સાહેબ એકવાર વસ્તુ જુઓ, વાંચો નિરાંતે. જુઓ એમાં એવું છે કે આ બે હજારવાળી જીવન ઝરમરથી લોકોને લાગે કે સામાન્ય માણસ સ્વર્ગસ્થ થયો છે પણ જો પિસ્તાળીસ હજાર વાળી પસંદ કરો અને છપાવો તો તે વાંચીને તમે કલ્પના પણ ન કરી હોય એવા મોટા મોટા માણસો, કરોડપતિઓ દાદાના ખરખરે આવે,બેસણામાં આવે. તેમાંથી બે-પાંચ સાથે તમારે સારો કોન્ટેક્ટ થઈ જાય તો તમારો હાર્ડવેર નો ધંધો  જામી જાય.  આમાં તો એક પંથ દો કાજ છે દાદાનો આત્મા ય ખુશ થાય અને આપણે ય ખુશ! આ પિસ્તાળીસ હજારવાળી જીવનઝરમર વાંચ્યા પછી વાંચનારને ખરેખર એમ થાય કે "એમના જવાથી ખરેખર કદી ન પૂરી શકાય એવી ખોટ પડી છે." જો કે કદી ન પૂરી શકાય એવી ખોટ તો જેમના લેણા બાકી રહી ગયા હોય તેને પડી હોય છે આવું હું મનોમન બોલી ગયો.

    મેં કહ્યું,   "પણ દાદાના જીવનમાં એવું કાંઈ ઉલ્લેખનીય ન હોય તો જીવન ઝરમર ક્યાંથી જામેં?"

    અમરકાંતે કહ્યું,   "એ અમારા પર છોડી દો. અહીં તો જાતક પાસે "જીવન" છે તો અમારી પાસે 'ઝરમર' છે બંનેનું કુશળતાપૂર્વક કોમ્બિનેશન કરીએ એટલે પછી એવી ફર્સ્ટ ક્લાસ જીવન ઝરમર બને કે લોકો વાંચતા ન ધરાય. અમે એવી અફલાતૂન અને તર્કબદ્ધ જીવન ઝરમર તૈયાર કરીએ કે જમાવટ થઈ જાય.  'જમાનો જમાવટ કરવાનો છે કોઈપણ રીતે જમાવટ કરતાં આવડે તે જામી જાય' હવે તો જેવા તેવા ની ય જીવન ઝરમર છપાય છે તો આપણા પ્રાણજીવન દાદા કંઈ જેવાતેવા નથી. જુઓને પાંચ પાંચ વર્ષથી યમરાજા સાથે પકડદાવ રમે છે. યમરાજાએ અનેક અખતરા કર્યા તો ય એની કારી ફાવવા દીધી નથી. તો પછી આવા વિરાટ સ્વરૂપની જીવન ઝરમર તો છાપામાં છપાવી જોઈએ ને! વળી આખી જીવન ઝરમર લખીએ તેમાં તમારા ધંધા-બિઝનેસનો કુશળતાપૂર્વક ઉલ્લેખ કરી દઈએ. આવી સરસ જીવન ઝરમર વાંચીને ઓછામાં ઓછા પચીસ-પચાસ જણ તો તમને પૂછવા આવશે કે આ જીવન ઝરમર તમે કોની પાસે તૈયાર કરાવી.પછી તમારા રેફરન્સથી જેટલા અમારી પાસે જીવન ઝરમર માટે આવશે તેમાં વગર કહીએ તમારા 10% લાગી જશે. ચેક તમારે ઘેર આવી જશે.અમારો નિયમ છે. લોકો ભલે કહે કે જીવન ઝરમર એ તો ખાતર માથે દીવો છે પણ જીવનઝરમરને કારણે દાદા જીવતા લાખના ને મર્યા પછી સવા લાખના! બોલો કરવી છે ને!" 

    હું પિસ્તાળીસ હજારવાળી માટે હા કહેવાનો હતો ત્યાં સમાચાર આવ્યા કે દાદાની તબિયત તો ધાર્યા બહાર સુધરી ગઈ છે અને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે અને તેઓ લાકડીના ટેકા વગર સ્વબળે ચાલી ને ઘેર આવવા રવાના થઇ ગયા છે આ સમાચાર સાંભળીને "દાદાએ દગો દીધો" એવું બબડતો બબડતો જીવન ઝરમરવાળો રવાના થઈ ગયો!

                                  ----નટવર પંડયા.

No comments:

Post a Comment

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...