Friday, 24 March 2017

કૂતરાથી સાવધાન, કૂતરાના માલીકથી અધિક સાવધાન!



                                                                                                    

            પૈસાદાર લોકોમાં ફેશન છે કે જેમ મોંઘી રાખવી તેમ મોંઘા વિદેશી કૂતરા પણ પાળવા. રસ્તા પરના કૂતરાને હડેહડે કરનારા પાળેલા કૂતરાને લાડ કરે કે પત્નીને પણ ઈર્ષા આવે. એવાં લોકોના કૂતરા વિના સુનો સંસાર હોય છે. પોતાનાં રોગની ખબર ન હોય પણ કૂતરાને કેવાં રોગ થઇ શકે તેના વિદ્વાન હોય. પોતાને ડોક્ટર પાસે નિયમિત ન લઇ જાય પણ કૂતરાને કારની આગલી સીટ પર બેસાડી લઇ જાય. સમજો કે તેમણે કૂતરાને નહિ કૂતરાએ તેમણે પાડ્યા હોય એવો ઘાટ થાય. નટવર પંડ્યા આ વેળા એવાં કૂતરા પર વ્યંગ્ય કરે છે.
         કૂતરાથી સાવધાન મોટા ઘરના મોટા દરવાજા પર આવું પાટિયું વાંચીને આપણે જરા ડોરબેલ વગાડી દરવાજાથી લગભગ દશેક ફૂટ દૂર સુરક્ષિત અંતરે ઊભા રહીએ. આમ છતાં પણ કૂતરો આપણું ઉષ્માભર્યું સ્વાગત કરવા દરવાજાની બહાર નીકળી આવે તો કોઈ રીતે પોબારા ભણી જવાં એનું પણ આયોજન અગાઉથી મનમાં થઇ ચૂક્યું હોય છે અને કરવું જ પડે છે. કર્ણ કે અહીં કોઈ LIC ના સુરક્ષા કવચ કામ આવતા નથી. નારાયણ કવચ નો પાઠ કરવા હોય તો દોડતા દોડતા કરાય. ઉભું ન રહેવાય. કારણ કે કૂતરાને ખબર હોતી નથી કે આપણે કોઈ કવચ પાઠ કરી રહ્યા છીએ. માટે જાળવવું જોઈએ. આમ થોડી મીનીટો પછી દશેક ફૂટ દુરથી જોઈએ તો એમ ડાઘિયો કૂતરો હાઉ-હાઉ કરતો દરવાજાની અંદર આપણું સ્વાગત કરવા ધસી આવે છે. એ હાઉ હાઉને આપણે હાઉ આર યુ? સમજી લેવાનું. ત્યાર પછીની થોડી જ ક્ષણોમાં ચડ્ડો અને ડોમેસ્ટિક ટી-શર્ટ પહેરેલા નેનો માલિક દરવાજે આવે છે. ત્યારે તેણે જોઈને આપણને પહેલા પ્રશ્ન એ થાય કે આમને કૂતરો પાડવાની શી જરૂર હતી? તેથી તો ભૂતકાળમાં માલિક જયારે પ્રથમવાર તો કૂતરો પાળવાના પ્રસ્તાવ પત્ની સમક્ષ રજૂ કરે છે ત્યારે એ પતિવ્રતા, આર્યનારી રૂપાની ઘંટડી જેવાં અવાજે બોલી ઉઠે છે, આપણે કૂતરા-બૂતરા કાંઈ નથી પાળવા, તમે છો તો મારે બધ્ધું જ છે. અને પેલો પતિવ્રતા પર પુનઃ એકવાર વારી જાય છે.
     આપણે ત્યાં કૂતરા પાડવા કરતા ધર્મ પાળવો સહેલો છે. કારણ કે ધર્મ પાળ્યા પછી જેટલું ધર્મચુસ્ત રહેવું પડે છે તેના કરતાંય કૂતરો પાળ્યા પછી કૂતરાચુસ્ત વધુ રહેવું પડે છે. સામાન્ય રીતે કૂતરો માણસને વફાદાર હોય છે. પણ કેટલાંક લોકો તો કૂતરાને વફાદાર હોય છે. કૂતરો પાળ્યા પછી તેઓ એટલા બધા કૂતરાને વફાદાર હોય છે કે આખે આંખો કૂતરો આશ્ચર્યમાં ગરકાવ થઇ જાય છે. આવા લોકોને કૂતરાચુસ્ત માલિકો કહેવાય છે. અને એમ જરા ઉંડાણથી જુઓ તો ખ્યાલ આવી જાય કે આમાં અસ્સલ માલિક કોણ છે.  ખરેખર તો માલિકનું ધ્યાન રાખવા માટે કૂતરો હોય છે પણ માલિક જ કૂતરાનું એટલું બધું ધ્યાન રાખે છે કે બંનેની ભૂમિકા ઊલટ-સુલટ થઇ જાય છે. કહેવાય છે કે કેટલાંક લોકો આ જગતમાં કૂતરાની માફક જીવે છે. વાત પણ ખરી છે. કૂતરાની જેમ જ પૈસા પાછળ દોડતા ધનનંદોની જિંદગી એમ જ પસાર થઇ જાય છે. પણ તેમના કૂતરા સુખ-શાંતિવાળું જીવન જીવી જાય છે. દુરથી કોઈ ભવ્ય બંગલામાં આપણે કૂતરાની ભવ્ય લાઈફસ્ટાઈલ જોતા હોઈએ અને બરાબર એજ સમયે ભગવં પ્રગટ થઈને કહે કે બોલ બેટા નેક્સ્ટ જન્મમાં તારે શું બનવું છે? તો આપણાથી સહેજ બોલાઈ જાય કે પેલા બંગલાનો કૂતરો એટલે સ્તો કહ્યું છે નજર લાગી રાજા તોરે બંગલે પર.
          કૂતરાથી સાવધાન એ પાટિયું જેટલું બહારથી આવનારા લોકો માટે જરૂરી છે એટલું જ કૂતરામય થઇ ગયેલા માલિકને માટે પણ જરૂરી છે. કારણ કે તેઓ કૂતરાનું એટલું બધું ધ્યાન રાખે છે કે ઘરનું ધ્યાન રાખવાની કૂતરાને તક જ મળતી નથી. પત્ની બપોરે જમી કે નહિ એની તેણે ખબર નથી પણ કૂતરાને જરા પણ ભૂખ્યો રહેવા દેતો નથી.
           આપણે ત્યાં કૂતરા ત્રણ પ્રકારના છે. એક તો શેરીના સ્વદેશી કૂતરા બીજા વિદેશી કૂતરા અને ત્રીજા માનસ્વરૂપે ફરતા કૂતરા જો કે અત્રે ત્રીજા પ્રકારની ચર્ચાને બહુ અવકાશ નથી પણ કેટલાંક કૂતરામાલિકો જે વિદેશી કૂતરા બાબતે કૂતરાવિદ્ હોય એ કક્ષાનું જ્ઞાન ધરાવે છે. આવા શ્વાનવિદો કહે છે કે વિદેશી કૂતરાઓ આપણા દેશી કૂતરા કરતા વધારે બુદ્ધિશાળી હોય છે. આવા નિવેદનો સાંભળી તેમણે કહેવાનું મન થાય કે વધારે બુદ્ધિશાળી કૂતરા બહુ કામના હોતા નથી. તેથી જ કૂતરામાં કૂતરા જેટલી જ બુદ્ધિ હોય એ જ બરાબર છે. માણસની જેમ ઊંચા I.Q. ધરાવતા કૂતરા ક્યાંય સેટ થઇ શકતા નથી. વળી વધારે બુદ્ધિશાળી કૂતરો નકામો એટલા માટે કે ધારો કે રાત્રે ત્રણ-ચાર ધાડપાડુઓ આપણા ઘરે ધસી આવ્યા છે. એક ધાડપાડુના હાથમાં ગન છે. અને તેણે આપણને પકડી લીધા છે. તો તે સમયે વધારે બુદ્ધિશાળી કૂતરો એટલે કે વિદેશી કૂતરો માલિકનો જીવ બચાવવાને બદલે બુદ્ધિથી પોતાનો જીવ બચાવવાનો નિર્ણય કરશે. વિચારશે કે જાન બચી તો લાખો પાયે જયારે સ્વદેશી કૂતરો ગનવાળાની ગળચી પકડી લેશે પછી ભલે શહીદ થઇ જાય. તેથી વધારે બુદ્ધિશાળી કૂતરો પાળવો નહિ. વળી, વધારે બુદ્ધિશાળી કૂતરો માલિકમાં કેટલી બુદ્ધિ છે એ પણ જાણી જાય છે. વળી આવા બુદ્ધિશાળી કૂતરાના માલિક  સાથે આપણે બેઠા હોઈએ. બાજુમાં હીરો જેવો માલિકનો પુત્ર બેઠો હોય છતાં પુત્રને પરિચય આપવાને બદલે શેઠ ડાઘીયાની સાત પેઢીનો પરિચય આપી તેમની ખૂબીઓનો ચિતાર આપ્યા કરશે. એ તો સારું છે કે શેઠ એવું નથી શોધી કાઢતા કે આ બુદ્ધિશાળી ડાઘીયાના પરદાદા મારા પરદાદાને ત્યાં હાઉ હાઉ કરતા હતા. આમ, અમારે આ ડાઘીયા સાથે સાત સાત પેઢીના સંબંધ છે. જો કે શેઠને જોયા પછી તો આપણે એવું માનવાને પણ પ્રેરાઈને કે શેઠના પરદાદા અને ડાઘીયાના પરદાદા  જરૂર કંઈક સગા થતા હશે. વળી, શેઠના બંગલાની લોનમાં આપણે શેઠ સાથે બેઠા હોઈએ અને શેઠનો પ્રિય ડાઘીયે તેના રાક્ષસી દાંત બતાવતો અને જીભ લટકાવતો (જે આપણા માટે ડાકુ સમાન હોય છે.) આજુબાજુ આંટા મારતો હોય એમ એ જ સમયે શેઠ રસપૂર્વક અને ગૌરવપૂર્વક આપણને ડાઘીયાની વિશિષ્ટતાઓ સમજાવતા હોય અને ડાઘિયો આપણા પગે લબરકો ન લઇ લે તે માટે આપણે તે જે બાજુ  ફરે તે બાજુ જોતા સંકોચતા હોઈએ છીએ. શેઠ આ બધું જોતા અને જાણતા હોવા છતાં એમના ડાઘીયાને એના સ્થાને કે જવાનો આદેશ નથી આપતા. આપણી સ્વબચાવની હરકતો જોઈને તેઓ મંદ મંદ મુસ્કુરાતા કહે છે ગભરાશો નહિ એ કંઈ નહિ કરે, એ તો બસ અમસ્તો જ. આ સંભાળીને મહેમાન ચહેરો શેઠ સામે અને નજર ડાઘીયા સામે રાખીને ડરતા ડરતા જરાક હસી લે છે. સાવ નીરુપદ્રવી માણસ ફરતે આ રીતે ડાઘિયો ફરતો રાખવો જરૂરી નથી. પણ એમાંય શેઠને બે ત્રણ ફાયદા તો છે જ. એક તો કેટલીક વાર આ રીતે ડાઘીયાના મોંમાં મહેમાન બેઠેલા હોય અને જીવલેણ હરકતો કરતો ડાઘિયો મહેમાન ફરતે શ્રદ્ધાપૂર્વક પ્રદક્ષિણા કરી રહ્યો હોય ત્યારે કેટલીક વાર તો મહેમાન જે કામ લઈને આવ્યા હોય તે કામ સદંતર ભૂલી જ જાય છે. અને નિષ્કામ થઇ જાય છે. આમ છતાં પણ મહેમાન કામને મહાપરાણે યાદ કરી હૈયામાં શેષ બચેલી હિંમતનો ટેકો લઇ જે તે કામ માટે શબ્દો ઉચ્ચારે છે ત્યાંજ ડાઘિયો ગળું સાફ કરવા બે-એક હાઉકારા  કરે છે. એટલે મહેમાન બધ્ધું જ ભૂલી જાય છે. આ રીતે કેટલીક વાર દઘીયને કારણે મહેમાનની અકળામણ વધી જવાથી તે વધારે બેસવાને બદલે વહેલા વિદાય લઇ લે છે. વળી, કોઈ મુદ્દે શેઠ સામે ઝગડવા આવેલા મહેમાન બે ડાઘીયાને જોઈને એકદમ સંબંધ સહિષ્ણુ બની જાય છે. કેટલીક વાર ડાઘિયો આવા મહેમાનના ગાલે લબસકો લેવાની ચેષ્ટા કરે છે. ત્યાંજ માલિક ફરીથી બોલી ઉઠે છે એ કંઈ નહિ કરે. કાંઈ નહિ કરે ત્યારે મહેમાન મનોમન બોલી ઉઠે છે. અરે ભાઈ એ શું નહિ કરે એ કહો વળી, મહેમાનના ચરણ સુંઘીને એકાદ વાર ડાઘિયો પગ ઉંચો કરે છે ત્યારે શેઠ ડાઘીયા જેવાં જ અવાજે ડાટે છે સ્ટોપ સ્ટોપ આવી સ્થિતિમાં અંદરથી અકળાયેલા મહેમાન ડાઘીયાના સાન્નિધ્યમાં બેઠા હોવાથી ગમ્મે તેટલો વાંધો હોવા છતાં કોઈ વાંધો નહિ, કોઈ વાંધો નહિ એવું બોલ્યા કરે છે.



ગરમાગરમ
કૂતરાને ફેરવવા લઇ જતા માલિકને જોયા છે? બરાબર જોજો, જોતા ખબર પડશે કે કૂતરાને માલિક નહિ, માલિકને કૂતરો ફેરવે છે. કૂતરો જે દિશામાં ખેંચે તે દિશામાં ધરાર ઘસવવું પડે છે. 
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

કવિ એક કાવ્યસંગ્રહ અનેક!




               કવિતાને સમજવી એ દરેક વ્યક્તિ માટે ખાવાના ખેલ નથી એ તો જાણે સમજ્યા! પરંતુ અમુક કવિતા સંગ્રહ એવાં હોય છે કે ભલભલા પંડિતો પણ સમજી શકતા નથી તો સામાન્ય લોકોની તો શું વાત કરવી? સરવાળે પબ્લીકને માથે દે ધના ધન કાવ્યસંગ્રહના લોકાર્પણની વર્ષા થતી રહે છે તે વાત અહીં રમૂજ રૂપે કરે છે નટવર પંડ્યા.
            કવિશ્રી દલસુખ દાઢીવાલાના દોઢ ડઝન કાવ્યસંગ્રહોની એક સાથે સમિક્ષા કરતા સમિક્ષક લખે છે, લગભગ દોઢેક ડઝન કાવ્યસંગ્રહો દ્વારા ફરીથી ધ્યાનથી વાંચો, દોઢ ડઝન કાવ્યસંગ્રહો દ્વારા કવિશ્રી દલસુખ દાઢીવાલા આપણા સાહિત્યનું આભૂષણ બની રહ્યું છે. અ...ધ...ધ...ધ...દોઢ ડઝન કાવ્યસંગ્રહો ...? એને સાહિત્યનું આભૂષણ કહેવું કે પ્રદુષણ?
              વાચકમિત્રો ક્ષમા કરે કે અમે એ સમિક્ષા વાંચતા વાંચતા અમારા મુખમાંથી સરી પડેલા શબ્દો અને કેટલાંક તો હૃદયમાંથી બહાર નીકળવાની હિંમત જ નથી કરી એવાં શબ્દો , સમુહો, ઉદગારો વગેરેને અત્રે રજૂ કર્યા છે.
            તો ફરી મૂળ મુદ્દા પર આવીએ તો સમિક્ષકશ્રી લખે છે કે આ છેલ્લો કાવ્યસંગ્રહ તેમનું મરણોત્તર પ્રદાન છે... મારી નાખ્યા મારા બાપ! ટૂંકમાં મરતા ગયા ને મારતા ગયા. અલબત, પુરેપુરા તો ન માર્યા પણ અધમૂઆ તો કર્યા જ! દોઢ ડઝન કાવ્યસંગ્રહો વાંચવાની તો ઠીક હાથમાં લેવાની હિંમત પણ ન ચાલે. તેમણે રચ્યા કેવી રીતે?! એમના અ કાવ્યધાણનો પ્રેરણાસ્ત્રોત કોણ? વળી ભલભલા પ્રકાશકો આ કાવ્યજથ્થો જોઈને શરણે થઇ ગયા.તેણે પ્રકાશિત કરવાની અસમર્થતા દર્શાવી. આમ છતાં કવિએ આગ્રહ જારી રાખ્યો એટલે છેવટે એક મોટા ગજાના પ્રકાશકે કહ્યું શા માટે અમારા છોકરાના રોટલામાં લાત મારો છો?
                 સમિક્ષક ભારે હૃદયે નોંધે છે અત્રે સમિક્ષકનુ હૃદય કાવ્યસંગ્રહોને કારણે નહિ પણ કવિ શબ્દસ્થ થવાને કેરને ભારે થઇ ગયું છે. તેથી તેઓ ભારે હૃદયે નોંધે છે કે કવિના અવસાનના લગભગ એકાદ માસ પહેલા તેમના સત્તાણુંમાં જન્મદિન નિમિત્તે તેમનો ઉત્પાત નામે કાવ્યસંગ્રહ પ્રગટ થયો. આ બાજુ કાવ્યસંગ્રહ પ્રગટ થયો અને એમનો જીવનદીપ બુજાયો. આ કાવ્યસંગ્રહનું કવિશ્રીએ જે ઉત્પાત નામ આપેલું તેના પરથી એવું અભિપ્રેત થયું કે આના પછી તેમનો વધુ એક કાવ્યસંગ્રહ જરૂર પ્રગટ થશે. કદાય શીર્ષક હશે. ઉલ્કાપાત પણ કુદરતને એ મંજુર ન હતું. અરે ભાઈ! એતો લોકોનેય મંજુર નહતું. પણ લોકોનું કવિ પાસે કંઈ ચાલે? બસ, એજ રીતે કવિનું પણ કુદરત સામે ન ચાલ્યું અને તેઓ કલમને વિલાપ કરતી છોડીને ચાલી નીકળ્યા. આ છેલ્લું વાક્ય છાપામાંથી એમની જીવન-ઝરમર માંથી લીધું છે. ઝરમર વાળાએ પત્નીનો ઉલ્લેખ ચતુરાઈ પૂર્વક ટાળ્યો હોય એવું ઝણાય છે.
                      સામાન્ય રીતે પંચમહાભૂતોમાં ભળી ગયા પછી કવિના કુટુંબીજનો તેમની પ્રવૃતિમાં પડતા નથી પણ ઘરમાંથી પસ્તી કાઢી નાખવાની પ્રવૃત્તિ આદરે છે.
          કુટુંબીજનો મોઢે આવનાર એટલે કાણે આવનારા લોકો કુટુંબીજનોને કહેશે કે બિચ્ચારા છૂટ્યા. ઘણા વખતથી એમણે દમ હતો. (પણ એમના કાવ્યમાં દમ નહોતો) તેથી જ દમ ઘૂંટાઈ ગયો. ત્યારે કુટુંબીજનો પણ મનોમન બોલી ઉઠે છે એકલા એજ નથી છૂટ્યા!
           પણ અહીં જરા ઉલ્ટો ખેલ થયો. સદગતે નવા કાવ્યસંગ્રહને ઉલ્કાપાત નામ આપેલું. તેના ફક્ત બે જ કાવ્યો રચાયા હતા. એમની આ વિશિષ્ટતા હતી કે તેઓ કાવ્યસંગ્રહને પહેલા નામ આપતા અને પછી કાવ્યો રચતા. જે રીતે આજકાલ નવપરણિત યુગલો પુત્ર જન્મ પહેલા જ નામ નક્કી કરી નાખે છે એમ જ! આમ ઉલ્કાપાત માટે બે જ કાવ્યો ઘણા અપૂરતા ગણાય એવી પ્રતીતિ એમના ભત્રીજાને થઇ ત્યારે ઉંમરમાં આથમતા પણ કવિ તરીકે ઉગતા એવાં એમના ભત્રીજાએ ઝંડો ઊંચકી લીધો. કાકાએ અધૂરું છોડેલું કામ પૂરું કરવાની જાહેરમાં પ્રતિજ્ઞા લીધી. આ રીતે સદગતનું સુયોગ્ય તર્પણ કર્યું. આમ ભત્રીજા કાકા ચિંધ્યા માર્ગે ચડી જવાથી કુટુંબમાં કોહરામ મચી ગયો. પણ અન્ય કવિઓ તરફથી ભત્રીજાને ધન્યવાદને પાત્ર બન્યો. અન્ય કવિઓએ તે ભત્રીજાને પ્રેરણા લેવાનું પોતાનાં ભત્રીજાઓને સૂચન કર્યું.
                   આમ અપવાદરૂપે અહીં તેમના પરિવારના જ સભ્યે તેમના ક્ષેત્રમાં ઝંપલાવી ચીલો ચાતર્યો છે. શરૂઆતમાં તેઓ જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોએ જ કાવ્યો રચતા પણ સમય જતા પ્રસંગો ખૂટ્યા પણ કવ્યયજ્ઞ ચાલુ જ રહ્યો. એટલે પછી મહત્વપૂર્ણ કે મહત્વરહિત એવાં કોઇપણ પ્રસંગોએ તેઓ કાવ્યો રચવા લાગ્યા. અને છેવટે એવો સમય આવ્યો કે પ્રસંગો પહેલા જ તેઓ કાવ્યો રચી કાઢવા લાગ્યા. મંગળ પ્રસંગોએ રચેલા અમંગલાષ્ટોક જંગલમાં રચેલા જંગલાષ્ટકો, અને વિદાય. આપણા સાહિત્યમાં ચિરસ્મરણીય બની રહે એવાં ઉત્તમ બન્યા છે. તેમના વિદાય કાવ્યોમાં વિદાયવેળાનો વિરહ તેમણે એવો બખૂબી પ્રગટાવ્યો છે કે સંભાળનારા જ વિદાય લઇ લે.  તેમના વિદાય કાવ્યો સાંભળીને એકાદ બે ભાવકોએ તો આ દુનિયામાંથી જ વિદાય લઇ લીધી છે. પણ અફસોસ એક જ વાતનો કે એમની વિદાય વેળાના કાવ્યો આપણને ન મળ્યા. જો એમની વિદાય વેળાના કાવ્યો એમની જ કલમે મળ્યા હોત તો સોનામાં સુગંધ ભળતે સમિક્ષકને એ વાતનું આશ્ચર્ય છે કે તેમણે તેમના પોતાનાં જ આ પ્રસંગ વિશે અગાઉથી વિદાય કાવ્યો રચવાનું કેમ ન સુજ્યું? કે પછી આ બાબતે તેઓ બીજા કોઈને તક આપવા માંગતા ન હતા.?! હરિ ઈચ્છા બળવાન! બીજું શું? હરિ ઈચ્છા બળવાન, એ પણ એમના એક કાવ્ય સંગ્રહનું જ નામ છે. કવિની વિશિષ્ટતા એ છે કે જીવતી જાગતી અછાંદસ રચના જેવાં તેમના સંતાનો વિશે પણ તેમણે હળવી શૈલીમાં કલમ અજમાવી છે. તેમના કાવ્યોની શૈલી ભલે હળવી રહી પણ સંતાનો ભારે પડ્યા છે, ખાસ કરીને પડોશીઓને! આમ કવિની શાબ્દિક અને શારીરિક એમ બંને રચનાઓ યાદગાર બની રહે છે. આમ તેમણે સાહિત્યમાં અને સંસારમાં એમ બંને ક્ષેત્રોમાં સફળતા પૂર્વક ખેડાન કર્યું છે. અને બંને ક્ષેત્રોમાં તેમની યોગ્ય પ્રદાન અનન્ય બની રહ્યું છે.
           વળી કવિશ્રી જીવનની કડવા મીઠા ખટમધુરી યાદોને કાવ્યના માધ્યમ દ્વારા રજૂ કરે છે. આ રીતે તેઓ ભાવકોના હૃદયને વારંવાર સ્પર્શી લે છે. જેણે અન્ય સમિક્ષકે હૃદયને અડપલા કરે છે એવાં સાહજ શબ્દોમાં રજૂ કર્યું છે. આમ છતાં પોતાની કેટલીક રચનાઓમાં તેઓ કહે છે કે પોતે સરવાળે શાંતિની શોધમાં આજીવન પ્રવાસી છે. કર્ણ કે આ પ્રવાસમાં કોઈ ભાડું ચુકવવું પડતું નથી. આ ઉપરાંત કવિએ પોતાનાં કાવ્યોમાં આલેખેલા વૃદ્ધ દંપતીના ઉર્મીભાવો અને ઉધરસ બંને વાચકોના માનસપટ પર વારંવાર પડઘાય છે. આવા વિશેષ કાવ્યો તેમનું ગૌરવ પદ પ્રદાન બની રહે છે. વળી કવિશ્રી ગઝલો અને સોનેટોની નોંધ લીધા વિના તો છુટકો જ નથી. એટલે તો ક્યારેય તેમણે વાચકોને ટકોર કરતા લખ્યું છે.....
એ મને સમજી શક્ય ના કોઈ દી,
એટલે જ તો જીવનભર વાંચતા રહ્યા.
વળી કવિ બીજી રચનામાં કહે છે કે...
સાબુના પરપોટા સમી છે દલ્સુખની જિંદગી.
સહેજ અડશે આંગળી, તો પણ ફૂટી જશે.
અને અફસોસ કે આજે એ પરપોટો ફૂટી ગયો.
              માત્ર એટલું જ નહિ બેરોજગારીના પ્રશ્ન પર આંગળી મૂકીને કવિએ સમસ્યાનું મૂળ બતાવ્યું છે. તો બીજી બાજુ વાચકો પણ એ જ દિશામાં વિચારવા પ્રેરાશે કે દોઢ ડઝન કાવ્યસંગ્રહોનું એ જ તો નથી ને?!
            એકાદ કાવ્યમાં કવિએ માણસને વંઠેલું સંતાન કહ્યું છે. વંઠેલું છતાં તે સંતાન છે, શેતાન નથી. એટલે તેણે સુધારવા અન્ય કવિતા સુધરેલું સંતાન આપી છે. આમ કવિ તેમની કલ્પના માધ્યમથી ઘણા પ્રયોગો કુશળતા પૂર્વક કરી બતાવે છે. તેમના પ્રયોગો જોતા તેઓ પ્રયોગ શીલને બદલે પ્રયોગ ખોર હોવાની છબી ઉપસે છે. વળી કુદરતી બક્ષિસનો ઉપયોગ બહુજન હિતાય બહુજન સુખાય કરવો જોઈએ એવું કવિ માને છે. તેથી તેમની કલ્યાણની ભાવના માનવી સુધી સીમિત ન રહેતા છેક પ્રાણીઓ સુધી વિસ્તારી છે. આમ તેમની આંખ મીંચાઈ ગઈ હોવા છતાં તેમના કાવ્યસંગ્રહો ભાવકો ચાહકોની આંખો ખેલનારા બની રહે છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

ઊઠો, જાગો અને છાપાંના છેલ્લા પાનાં સુધી મંડ્યા રહો



                 આ એવો લેખ છે જે વાંચ્યા પછી તમારે તમારી વાચક તરીકેની કેટેગરી નક્કી કરવાનું આવશે. વાંચ્યા પછી જો કે કેટેગરી તો જાતે જ નક્કી કરવાની હોય છે. એટલે તમને તમારી રીતે કેટેગરી ધારણ કરવાની છૂટ છે. પણ, એટલું ખરું કે જેમ અખબાર ઘણા પ્રકારના હોય તેમ વાચકના ય ઘણા પ્રકાર હોય. તુંડે તુંડે મર્તિ ભીન્નાની જેમ તુંડે તુંડે વાચક ભિન્ના. આ વેળા એવાં તુંડ પર લેખકે આંગળીથી ટકારા કર્યા છે.
           આજકાલ કૂતરાઓને રોટલી ખાવામાં રસ નથી. અરે એ તો પારલેના બિસ્કીટને ય સુંઘતા નથી. કૂતરાના ટેસ્ટ બદલાઈ ગયા છે. પણ જો રોટલી નધણીયાતી હાલતમાં પડી હોય અને ત્રણ-ચાર કૂતરા બેઠા હોય તેમાંથી એકાદ કૂતરો રોટલી ઉઠાવે તો તરત જ બાકીના બધા જ રોટલી મેળવવા દોડે, અને ઝૂંટાઝૂંટ શરૂ થઇ જાય. બસ આવું જ કંઈક છાપાનું છે. પાનના ગલ્લે કે એવાં કોઈ સ્થળે છાપુ નિરાધાર અવસ્થામાં પડ્યું હોય સાત-આઠ જણ છાપુ વાંચવા સક્ષમ હોવા છતાં અને વાંચે ગુજરાત કાર્યક્રમ ઊજવાઈ ગયો હોવા છતાં છાપુ તેના વફાદાર વાચકની રાહ જોતું હોય છે. અરે વફાદાર નહિ તો ચાલુ વાચક મળે તો ય ચાલે. પણ વાચક ભૂખ્યા છાપાંને કોઈ હાથ ઝાલતું નથી. પણ એવો એકાદ જણ છાપુ લઇ પાનના ગલ્લાના બાંકડે ટેકવે એટલે આપોઆપ બાકી રહેલાંમા વાંચન વિચાર પ્રગટે, અને તેઓ વાંચનોત્સુક થઇ છાપાં તરફ વળે. તેમાંથી છાપાના પ્રથમ પાને ચમકેલા રાજકીય સમાચારોનો રસિયો બાંકડે બેસીને છાપામગ્ન થઇ ચુકેલા શખ્સની પાછળ વિકેટકીપરની માફક થોડો ઝૂકીને ઊભો રહે છે. અને તેમના જમણા કાન પર બરાબર તેનું નાક આવે એ રીતે પાછળ ઊભો રહી આગળના સમાચાર વાંચતો હોય છે. સવાર-સવારમાં પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને છાપુ વાંચતા શખ્સને છાપાના પ્રથમ પાના પર પોતાનાં માથા ઉપરાંત બીજા એક માથાનો ભેદી આકાર પડછાયા સ્વરૂપ રચાયેલો જોવા મળે છે. ત્યારે જ તેણે ખ્યાલ આવે કે પોતાની પાછળ શું ચાલી રહ્યું છે. ત્યાર બાદ વાચક જે રીતે હાથમાં છાપુ આઘુંપાછું કે ઊંચુંનીચું કરે છે તેના અનુસંધાને પાછળવાળો શખ્સ તેનું માથું સેટ કરે છે. આમ ક્યારે જમણા કાન પરથી તો ક્યારેક ડાબા કાન પરથી ડોકિયું કરીને તે અખબારનું અધ્યયન ચાલુ રાખે છે. એ વાચક જેટલો જ રસિક અન્ય વાચક પણ હોય છે. પણ હવે પાછળની બાજુએ વેકેન્સી ન હોવાથી તે પ્રથમ નજરે જ પ્રથમ પાનાના સમાચાર વાંચી શકતો નથી. તેથી તે છાપાવાળાની સામે જરા ઝૂકીને છેલ્લા પાને અવસાન નોધથી શરૂ કરે છે. તો અહીંથી જોઈએ અખબારના કેટલાંક વિશિષ્ટ વાચકોના પ્રકારો.
       અવસાન નોંધનો વફાદાર વાચક:  આ વાચક અંતના સમાચારથી આરંભ કરે છે. આમ અવસાન નોંધ વાંચનારો એક વફાદાર વર્ગ છે. ભલે પછી છાપાના પ્રથમ પાને ગમે તેવી ઉથલ-પાથલ મચી હોય કે સનસનીખેજ સમાચાર હોય. પણ એ તો જીવન એવું જીવી ગયા થી જ અખબાર પઠનનો કાર્યક્રમ શરૂ કરે છે. વળી અવસાન નોંધ બાબતે તેઓ ઘણા ઉદાર છે. તેઓ અવસાન નોંધમાં માત્ર પોતાનાં મિત્ર કે સગાસંબંધી પૂરતા જ સંકુચિત નથી. પણ જે રીતે ચિંતનની ચાસણી ચાખી ગયેલા વાચકો જે. કૃષ્ણમૂર્તિથી માંડીને જીવન જ્યોત સુધીનું બધું જ સમાનભાવે વાંચી જાય છે. એ જ રીતે અવસાન નોંધના વાચકો બિનસાંપ્રદાયિક ધોરણે લગભગ બધી જ અવસાન નોંધ વાંચી જાય છે. હવે તો અખબારવાળા અવસાન નોંધનુંય પાટીદાર, અનાવિલ, ક્ષત્રિય, વિપ્ર, દેવીપૂજક જેવું વર્ગીકરણ કરીને તૈયાર આપે છે. જો કે એમાં ક્યારેક છાપા ભૂલને કારણે છબરડાય વાળે છે. આ રીતે એકવાર અમારા એક મિત્રના દાદા કૈલાસવાસી થયાં એની વિગતો દેવીપૂજકવાળા શીર્ષક નીચેથી વાંચવા મળી.
             છતાં પણ અખબારવાળાને તેમણે ભૂલ સુધારણા માટે તાકીદ કરી નહોતી. મિત્રનું કહેવું હતું કે મનુષ્ય પંચમહાભૂતમાં ભળી જાય પછી ખોળિયું તે ખલ્લાસ થઇ જાય છે. ફક્ત આત્મા રહે છે. આત્માને વળી નાતજાતની વાડાબંધી શું?!
                 આમ અવસાન નોંધના વાચકો લગભગ તમામ પ્રકારની અવસાન નોંધ નિર્લેપ ભાવ વાંચી જાય છે. અવસાન નોંધ તેમના આત્માનો ખોરાક છે. તેથી તેઓ અવસાન નોંધનો એકેએક અક્ષર ચણી જાય છે.
           અખબારને ઘોળીને પી જનારો વાચક:  આખા અખબારને કબજે કરી બેઠેલા વાચકને આ શીર્ષક નીચે નોંધવામાં આવે છે તેના માટે આખા અખબારમાં કશું જ વર્જય નથી. લખ્યું વંચાય ની જેમ જ છાપ્યું વંચાય ના એક જ સિદ્ધાંતને તેઓ અનુસરે છે. એટલે અખબારમાં જેટલું છાપેલું છે તે બધ્ધું જ વાંચી કાઢવાની નેમ સાથે તે અખબાર ઉઠાવે છે. તેથી તેના માટે પહેલાં, છેલ્લા કે વચ્ચેના પાનાંના સમાચારોમાં કોઈ ભેદભાવ નથી. તે બધાનું સમદ્રષ્ટિથી પઠન કરે છે. વળી તે રાષ્ટ્રીય સમાચાર પરથી કુદીને સ્થાનિક સમાચાર પર, ત્યાંથી કુદીને ક્રાઈમ ન્યુઝ પર, વળી ત્યાંથી કુદીને બાબા રામદેવના બોધ પર, એમ બિલાડીની માફક કૂદાકૂદ નથી કરતા. એ તો પહેલાં પાને છેક ઉપર અખબારના નામની જમણી બાજુએ છાપેલા સુવિચાર અને દાબી બાજુએ સેન્સેક્સથી શરુ કરે છે. ત્યારબાદ તારીખ, વાર, તિથી, ત્યારબાદ અખબારના માલિક, તંત્રી, મુદ્રક, પ્રકાશક, સંપાદકનું નામ, (આ નામ ઘણું કરીને એક જ હોય છે.) ટેલીફોન નંબર આદિ વિગતો વાંચતા વાંચતા જેમ હિમાલયના શિખરો પરથી વહેતી વહેતી ગંગા નદી મેદાન પ્રદેશમાં પ્રવેશે છે. એમ તે સમાચારોમાં પ્રવેશે છે. આથી અખબારનું પૂર્ણ અધ્યયન કરવાની તેમની દ્રઢ ઈચ્છા હોવા છતાં કાર્ય પરિપૂર્ણ થતું નથી. આમ છતાં તેણે ધન્યવાદ એ મુદ્દે આપવા ઘટે કે તે પોતાની નિષ્ઠામાં પાછીપાની કરતો નથી. આજે નહિ તો કાલે પણ એક દિવસ જરૂર તે અખબારનું અધ્યયન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવશે જ, એવી નિષ્ઠાથી તે આગળ વધે છે અને રોજનો નવો દિવસ તેના માટે નવી આશા અને નવું અખબાર લઈને આવે છે.
             પોષક તત્વો ગ્રહણ કરનારો વાચક: કેટલાંક તો રે....શિર સાટે નટવરને વરીએ... જેવી દ્રઢતાથી આરોગ્યને વરેલા લોકો હંમેશા આરોગ્યવર્ધક જ ખોરાક લે છે. એટલે કે તેઓ જીભ જે કહે તે નહિ પણ શરીરને જેની જરૂર છે એવો ખોરાક ગ્રહણ કરે છે. અલબત, તેમનું શરીર જોતા તેમણે હવે કેટલાંક સમય સુધી ખોરાકની જરૂર નથી એવો આપણને ભાસ થાય છે. છતાં તે પોષક તત્વોવાળો જ આહાર લે છે. એ જ રીતે અખબારના વાચકોમાં પણ એક વર્ગ એવો છે જે અખબારમાંથી પોષક તત્વો જ ગ્રહણ કરે છે. પણ, આવા લોકોની સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ જાહેર સ્થળે કોઇપણ ના હાથમાંથી લાવો તો જરા એક નજર નાખી લઉં એટલું બોલીને પેલાની હા કે ના ની પરવા કર્યા વગર તેના હાથમાંથી છાપુ ખૂંચવી લે છે. અને પછી તેની એક નજર લગભગ દશ મિનિટ ચાલે છે. ત્યાં સુધી જેમ નાનકડા બાળકના હાથમાંથી કાગડો પૂરી ઝૂંટવી ગયા પછી બાળક જે રીતે કાગડાને જોઈ રહે તેમ પેલો મૂળ વાચક પેલા એક નજરવાળા ને જોઈ રહે છે. વળી તે દશ મીનીટમાં નીર-ક્ષીર વિવેકના ધોરણે અખબારમાંથી પોષક તત્વો તારવી લીધા બાદ છાપું પેલાના હાથમાં આપવાને બદલે બાંકડા પર પછાડીને બોળે, હવે છાપામાં ક્યાં કંઈ વાંચવા જેવું આવે છે. આ તો ઠીક છે જરા નજર નાખી લઈએ બાકી તો....ઓ... આ રીતે ફેંકાયેલા છાપા વખતે પેલો ઘોળીને પી જનારો જો જરાય ગાફેલ રહે તો ત્રીજો જ વાચક છાપું પકડી લે છે, અને પેલો ચશ્માં લૂછતો રહી જાય છે.
           ટચુકડી જા.*ખ.નો વાચક: અખબારને ઘોળીને પી જનારા વાચક જયારે સ્થળ કાળનું ભાન ભૂલી અખબારના અધ્યયનમાં ગળાડૂબ થઇ ગયો હોય ત્યારે અન્ય એક વાચક સિફતપૂર્વક તેમાંથી વચ્ચેનું પાનું સરકાવી  ટચુકડી જા.*ખ.મા ખોવાઈ જાય છે. કેટલાંક વાચકો ટચુકડી પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે કારણ કે યુવાનીમાં બેકારીના સમયથી તેણે ટચુકડી વાંચવાની એવી સજ્જડ આદત પડી ગઈ હોય છે કે ટચુકડી ન વાંચે તો તેણે બધું જ ન વાંચ્યા બરોબર લાગે છે.
          જ્યોતિષની જાહેરાતનો વાચક:  ટચુકડીના વાચકોનો આ એક પેટા પ્રકાર છે. તે તક મળ્યે અથવા તક સર્જીને છાપુ ઉઠાવીને ૧૫૦ ટકા ગેરેંટીવાળા જ્યોતિષશાસ્ત્રીઓની મૂઠ, ચોટ, વશીકરણ, વાળી ટચુકડી જા.*ખ. વાંચી લે છે. અને તેના આધારે પોતાનું ભવિષ્ય કોના હાથમાં છે તે નક્કી કરે છે.
    લગ્નવિષયક જાહેરાતનો વાચક: ટચુકડી વાંચનારા વર્ગનો એક ખાસ પેટા વર્ગ લગ્નવિષયક અથવા તો સપ્તપદી વાંચનારો છે. આવી ટચુકડીમા ઘણી જગ્યાએ ઉંમરનો બાધ નથી એવી નોંધ હોય છે. એ રીતે આ જાહેરાતો વાંચનારને પણ ઉંમરનો બાધ નથી તેથી જ લગ્નોત્સુક તેનું જેટલી એકાગ્રતાથી પઠન, મનન અને પછી ન ગોઠવાય તો ચિંતન કરે છે. એટલી જ ઉત્સુકતાથી લગ્નગ્રંથીથી સજ્જડબંમ જોડાયેલા સદગૃહસ્થો પણ તેનો અભ્યાસ કરે છે. (ખાસ નોંધ- લગ્નોત્સુકને યુવાન જ ધારી લેવાની ભૂલ ન કરવી. એક્સપાયરી ડેઈટ વટાવી ચુકેલો માનવીય કોઇપણ ઉંમરે લગ્નોત્સુક હોઈ શકે છે. અને ક્યારેક તો પાકેલી ઉંમર જાતક યુવાન કરતાય વધુ લગ્નોત્સુક હોય છે. કારણ કે life begins at torty.
           આ સિવાય પણ અખબારના બહોળા વાચક વર્ગના ઘણા પ્રકારો છે, પણ તેની વાત ફરી ક્યારેક. બસ અત્યારે તો ઘેર અખબાર આવી ગયું છે તો પછી ઊઠો જાગો અને છેલ્લા પાનાં સુધી માંડ્યા રહો.
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com
 

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...