Thursday, 23 March 2017

ઊંચાઈ માટેના ઊંચા પ્રયોગો



                      ઊંચાઈ ન હોય તો માણસો નીચું જોવાની જરૂર નથી. પણ નીચી ઊંચાઈ ધરાવનારા ઊંચી ઊંચાઈવાળાને જોઈ નીચું અનુભવ્યા કરે છે. ને પછી ઊંચાઈ વધારવા ઊંચા ઊંચા અખતરા કરે છે. આ અખતરાનો ખતરો એ જ કે તે લાંબા સમય ટકતા નથી કર્ણ કે ઊંચાઈ માટેના સાધનો તો તેના બનવનારની કમાણી વધારવા હોય છે, ઊંચાઈ વધારવા માટે નહિ. હા, કોઈ એકની તો ઊંચાઈ ચઢી એમ જરૂર કહેવાય પણ તેમાં ઘરનાઓ ઊંચા-નીચા થઇ ગયા તેનું શું? અહીં નટવર પંડ્યા એ હાલત પર બયાન કરે છે.
બડા હુઆ તો ક્યા હુઆ ,
જૈસે પેડ ખજુર,
પંખી કો છાયા નહિ,
ફૂલ લાગે અતિ દૂર.
કબીરજી ભલે આવું કહી ગયા પણ ઓછી શારીરિક ઊંચાઈ ધરાવનારને તો ઊંચાઈને આંબવાની સતત ઝંખના હોય છે. આમ પણ માણસ પાસે જે નથી તેનો વસવસો વધારે હોય છે. આવો કટપીસ સ્વરૂપ મનુષ્યો તાકા સ્વરૂપને જોઈને હતાશા અનુભવે છે. ત્યાં વળી કોઇપણ મેગેજીનની પૂર્તિમાં વાંચી બેસે કે ઓછી ઊંચાઈને કારણે સ્ત્રીનું વ્યક્તિત્વ પ્રભાવશાળી બનતું નથી. ખલ્લાસ, પતિ ગયું! આવી પસ્તીને જ બાળી મુકવાની હોય પણ તેણે બદલે પસ્તીના શબ્દોથી બહેનના માથાને બદલે પેટમાં તેલ રેડાય છે. એમણે હાડોહાડ લાગી આવે અને તે કોઇપણ ભોગે ઊંચાઈને આંબવા માટે કમર નહિ પણ આખું શરીર કસે છે. આટલેથી ન અટકતા સાથોસાથ પતિને પણ કસે છે. અને ત્યાંથી જ શરૂ થાય છે પતિ માટે કસોટી જિંદગી કી મેડમની ઉંચાઈ આંબવાના અખતરામાં પતિ બિચારો અડધો થઇ જાય છે. પણ મેડમના મનમાં એક વાત ઘર કરી જાય છે કે ઊંચાઈ નથી તો કશું જ નથી. તેથી ઊંચાઈ વધારવા માટે તે આખું ઘર માથે લે છે. હવે તેની ઓછી ઊંચાઈને કારણે ફક્ત જગત જ નહિ બ્રહ્મ પણ મિથ્યા લાગે છે. તેથી ઊંચાઈ વધારવા માટે એજ છાપા મેગેઝીનનો સહારો લે છે.
છાપા મેગેઝીનોમાં લખ્યું હોય છે કે ઊંચાઈ વધારવી અશક્ય નથી. પણ તેના માટે જરૂરી છે દ્રઢ મનોબળ, અને ધીરજપૂર્વક સખત પુરુષાર્થની. (આમ સ્ત્રીઓએ પણ ઊંચાઈ વધારવા માટે  પુરુષાર્થ કરવો પડે છે.) આવા વાક્યો બહેનના ઉત્સાહમાં અનેક ગણો વધારો કરે છે. અને રાતો રાત તેઓ છોડમાંથી ક્ષુપ અને ક્ષુપમાંથી વૃક્ષ બની ગયાનું અનુભવે છે. આટલેથી જ ન અટકતા સખીઓની પણ સલાહ લે છે અને સખીવૃંદની  સલાહમાંથી થયેલ જ્ઞાન પ્રાપ્તિના નિચોડરૂપે તે ઊંચાઈ વધારવાનો અસાધારણ પ્રયત્નો શરૂ કરે છે. પછી તો થોડું ઘણું અગાઉથી જ વાંચેલું હોય અને સખીઓ સલાહ આપે કે ક્યાંય પણ લટકીને હિંચકો ખાવાથી અને દંડ પીલવાથી ઊંચાઈ વધે છે. તરત જ તેનો અમલ કરે છે. પણ મૂળ મુદ્દો એ ભૂલાઈ જાય છે કે સોળ વરસની ઉંમરની વાત છે સાડત્રીશે કંઈ ન થઇ શકે. છતાં તે સક્રિય થાય છે. અને આ રીતે સક્રિય થયેલાઓને નિષ્ક્રિય કરવા બહુ મુશ્કેલ હોય છે. પછી તો હિંચકા ખાવા અને દંડ પિલવા માટે મેઇડ ઇન જાપાનનું મશીન ખરીદે છે. ખરેખર તો તે માંચડો જાપાન નહિ પણ જામનગરના જયંતિલાલ મિસ્ત્રીએ જ બનાવ્યો હોય છે. આવા મોંઘા માંચડે લટકીને બહેન ગમે ત્યારે પાંચ સાત હિંચકા ખાઈ લે છે. ઉપરાંત દંડ પીલે છે. આમ, ઋષિયુગમાં લોકો હેમાળે (હિમાલયમાં) હાડ ગાળતાં હવે હિંચકે ગાળે છે. 
માંચડો ઘરમાં આવ્યા પછી પતિદેવે સવારની ચા બગાસાં ખાતા ખાતા જાતે જ બનાવીને પીવી પડે છે. શરૂઆતમાં તો ઉત્સાહ ફાટફાટ થતો હોય અને તેણે ભરપૂર આશા હોય કે ટૂંક સમયમાં તે લેડી બચ્ચન થઇ જશે. એટલે પછી તો માંચડા ઉપરાંત ઘરમાં જ્યાં પણ કંઈ લટકવા જેવું લાગે તો ત્યાં હિંચકો ખાઈ લે. આવા પ્રયોગોને કારણે ઘરમાં ઘણા ફેરફાર થાય. સમય જતાં દીવાલમાંથી કેટલાંક ખીલા જ નીકળી જાય છે. આ રીતે એકવાર અભેરાઇનો ખીલો પકડીને દંડ પીલાવાથી આખેઆખી અભેરાઈ જમીનદોસ્ત થઈ ગયેલી અને ખળભળાટ મચી ગયેલો. પડોશીઓ તો ભૂકંપનો આંચકો સમજી ત્વરિત ગૃહત્યાગ કરી ગયેલા. પછી મોડેમોડે તેમને ખબર પડી કે એતો પડોશણના ઊંચાઈ વધારવાના અખતરાના કારણે બન્યું છે. આમ છતાં આવા ઊંચાઈના પ્રયોગો કારણે થતાં નુકશાનને ચોપડે ચડાવવામાં આવતું નથી.

દિવસો સુધી કોઈ પણ મશીન સાથે માથાકૂટ કરો એટલે એકધારાપણું લાગવા માંડે.  એવું જ અહીં બને છે. વળી એ મશીન સાથે બનતાં બથોડા લેવાં છતાં બહેનની(કે મશીનની) ઊંચાઈ ચોખાના દાણા જેટલીયે વધવાને બદલે મશીનમાંથી શ્રદ્ધા ઘટવા માંડે છે. એટલે મહિલાનું મન આપોઆપ અન્ય વિકલ્પ તરફ દોરાય છે. ત્યાં જ મૂળભૂત રીતે સખીવૃંદના ભળતી એવી એક એકસ્ટર્નલ અને પ્રયોગશીલ સખી તેને સાયકલ ચલાવવાની સલાહ આપે છે. આમ વિકલ્પની વિચારણા ચાલતી હતી ત્યાં જ વિકલ્પ મળી ગયો. બસ હવે તો સંકલ્પ જ બાકી રહ્યો. આમ છતાં અહીં બગાસું ખાતા પતાસું મળ્યું એમ તો ન જ કહી શકાય. પણ જો નિયમિત ધોરણે બગાસા ખાતા રહીશું તો એક દિવસ જરૂર પતાસાને પામીશું. એવી આશા જરૂર સેવી શકાય. પછી તો સાયકલીંગના વિચાર વિમર્શના બીજા જ દિવસે બહેન નવી સાઈકલ લઇ શહેરના રોડ માપવા નીકળી પડે છે અને પતિને પણ પરાણે સાથે લે છે.
આમ, પત્ની સાથે સાયકલીંગ વખતે દોડમદોડ કર્યા પછી પતિ પત્નીને કહે છે કે પ્રિયે, સાયકલીંગને કારણે કદાચ તારી ઊંચાઈ તો વધતાં વધશે પણ મારું આયુષ્ય જરૂર ઘટશે.  પણ ઊંચાઈ ઉત્સુક પત્ની એ વાતને એક કાને થી બીજા કાને કાઢી નાખશે.  બસ, પછી તો મેડમ જયારે નવરા પડે ત્યારે અથવા નવરા થઈને ગમે ત્યારે સાયકલ લઈને સડસડાટ નીકળી પડે છે અને સમય જતાં તે આખા ગામમાં પેલી સાયકલવાળી તરીકે પ્રખ્યાત થઈ જાય છે અને પતિ સાયકલવાળીનો પતિ તરીકે ઓળખાય છે. આમ, પત્નીને કારણે પતિને સ્પેશ્યલ આઈડેન્ટિટી પ્રાપ્ત થાય છે. આમ, છેલ્લા ત્રણેક મહિનાથી સાયકલના રવાડે ચડી ગયેલા બહેનને સીધીસાદી વાત એ પણ સમજાતી નથી કે જો સાયકલ ચલાવવાથી ગમે ત્યારે ઊંચાઈ વધતી હોય તો ગામડાનાં એક એક ટપાલી બચ્ચનછાપ હોત. છેવટે સાયકલમાંથી પણ મન ઉતરી જાય છે એટલે બહેન સાયકલ પરથી પણ ઉતરી જાય છે.
આ જગતમાં એક એક મનુષ્ય પાસે અનેકાનેક અમુલ્ય સલાહ લેવાયા વિનાની ધૂળ ખાતી પડી હોય છે અને તે સલાહ વિનામુલ્યે અન્યને આપવા માટે તેઓ તલપાપડ હોય છે. આવી રીતે રસ્તે રખડતી ગયો જેવી બે સખીઓ મળે છે અને તેઓ સલાહ આપે છે કે સાયકલ છોડ અને સ્વીમીંગમાં ઝંપલાવ. પછી તરત જ અમલ થાય અને સ્વીમીંગમાં ઝંપલાવે છે. ભલે તરતા ન આવડતું હોય પછી તો હવા ભરેલી ટ્યુબોના સહારે તરવાનો તરખાટ મચાવે છે. જો કે સ્વીમીંગમાં થાક વધારે લાગે. આમ છતાં ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહેવાના ધોરણે બે ત્રણ મહિના સુધી પાણી સાથે પ્રીત બાંધે છે પણ જુએ તો હતા ત્યાંના ત્યાં! ઊંચાઈમાં એક ચોખાનોયે વધારો નહિ. પરિણામ જોઈને લાગે કે બધી મહેનત પાણીમાં ગઈ. સ્વીમીંગથી કઈ શક્કરવાર નહિ વડે એટલે સ્વીમીંગને સાયોનારા કહી દે છે અને ઊંચાઈ વધારવા અન્ય રસ્તા અજમાવે છે.
બહેનને સખીઓ ઘણી હોય છે. અને સલાહ ન આપે તો સખીઓ શાની! સખીતો પોતાની સખીને સુખી જોવા ઈચ્છતી હોય. બસ એ જ રીતે ફરી એકવાર એક સખી શાકમાર્કેટમાં મળે. ગાજર ચાવતી ચાવતી તે ગાજરવાળા સાથે બાર્ગેનિંગ કરી રહી હોય છે ત્યાં જ તેની નજર ઓછી ઊંચાઈવાળી સખી પર પડે છે.  જેમ નર્મદાને અને તાપીની નહેરનો સંગમ થાય એમ શાકમાર્કેટમાં બંનેનો સંગમ થાય છે અને સંગમમાંથી સત્સંગ શરૂ થાય છે અને એ જ સત્સંગમાંથી જ સમસ્યાઓનો સચોટ ઉકેલ મળી આવે છે અને સખી સુઝાવ આપે છે કે હિંચકા, દંડ બેઠક, સાયકલીંગ, સ્વીમીંગ એ બધી લમણાઝીંક કરવા કરતાં તુ હિલવાળા સેન્ડલ પહેર. એટલે તારી સમસ્યા સમાપ્ત. સખીને આ સલાહ ચોખ્ખા ઘીના શીરાની જેમ ગળે ઉતરી જાય છે. પળનોય વિલંબ કર્યા વિના તે શોપિંગમોલમાંથી સેન્ડલ ખરીદી લાવે છે. આ રીતે સાતેક જોડ સેન્ડલ ખરીદે છે જેમાં એક જોડ મેરજ માટેની સ્પેશ્યલ, બીજી પાર્ટી સ્પેશ્યલ, ત્રીજી ડેઈલી યુઝ માટે, ચોથી શોકસભા સ્પેશ્યલ, પાંચમી સન્ડે સ્પેશ્યલ, છઠ્ઠી તૂટેલી જોડ ટેમ્પલ સ્પેશ્યલ અને સાતમી કોઈને ફટકારવા માટે સ્પેશ્યલ (એના કવરેજ ક્ષેત્રમાં પતિને પણ સમાવી લેવાય છે).
બસ પછી તો આ રીતે, સેન્ડલ પહેરીને પુરુષ સમોવડી બનીને નીકળે એકાદ બે સખીઓ પ્રશંશાના પુષ્પો ચડાવે એટલે બહેનનું જીવન ધન્ય થઇ જાય. પછી તો એજ સેન્ડલ પહેરીને એમને બહાર નીકળવાનું બહુ ગમે. આ રીતે સખીને ઘેર જાય તેના ઘરનો દાદર ચડતા ચડતા છીંક આવે અને પગ નીચેથી ધરતી ખસી જાય અને ટોચ પરથી સીધા જ તળેટીમાં આવી જાય. પગ અને પાતળી કમર (આ એક ધારણા છે) બંને લચકાઈ જાય પછી રીક્ષારૂપી રથમાં ઘેર પુનઃ પાવન પગલાં કરે. અલબત્ત પતિના ટેકે ટેકે પછી સેન્ડલ ફગાવીને પોતાની મૂળ ઊંચાઈ પર આવી જાય.
(બોધ : ઊંચાઈ વધારવાના અટકચાળા ન કરવા)   
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

ઊંચા ગજાનો લેખક!



            લેખક થવાની ઈચ્છા કરવી ખોટી નથી પણ જેઓ ઊંચા ગજાના લેખક જ થવા યા ગણાવવા પ્રયત્ન કરે તો તે બધા માટે શક્ય નથી (ગજવા અને ગજા બંને જુદા જુદા શબ્દો છે) પ્રતિભા એક એવી ચીજ છે જે રોજ મોટા મોટા શબ્દકોશ બદામના દૂધ સાથે ગળી  જવાથી ય પ્રાપ્ત થતી નથી. હવે આ સ્થિતિ હોય તો ઊંચા ગજાના લેખક થવું કઈ રીતે? અહીં કેટલાંક નુસખા બતાવ્યા છે. ચાહો તો અપનાવી શકો અને ન ચાહો તો હસી શકો. આ તો શક્ય વિકલ્પોની વાત છે. જસ્ટ હસવા માટે.
            ઊંચા ગજાના લેખક બનવા માટે ઘણી ઊંચી મથામણ કરવી પડે છે. અને એમાં જ કેટલીકવાર મથામણ ઘણી ઊંચી જાય છે. અને લેખક નીચે જ રહી જાય છે. કેટલાંક લેખકો માને છે કે લેખકે લખતા પહેલાં ખુબજ વિચારવું પડે છે એજ મથામણ. પણ ના....ના...ના....અહીં જ મોટી થાય ખાય જાય છે. લેખકશ્રી લખતા પહેલાં ખુબજ વિચારનાર ક્યારેય ઊંચા ગજાના લેખક બની શકતો નથી. મારી સામે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. મારો એક મિત્ર પ્રોફેસર છે તેમાં લેખક બનવાનો ઘણો સળવળાટ જોવા મળે છે. પણ લખતા પહેલાં તે એટલું બધું વિચારે છે કે હજુ સુધી કશું જ લખી શક્યો નથી. આ તો તેને સંગીતનો પણ એવો જ શોખ છે. વાયોલીન વગાડતા શીખવા બાબતે તેને ઘણું વિચાર્યું, લગભગ ત્રણેક વરસ વિચાર્યું, પછી વાયોલીન પર હાથ નાખ્યો. આ રીતે હાથ નાખ્યો કહેવાય હાથ અજમાવ્યો નહિ. ત્યાંજ તેની બીજા શહેરમાં બદલી થઇ ગઈ. ત્યાં પણ તેને ઘણું વિચારીને વાયોલીન હાથમાં લીધું. અને એક અઠવાડિયામાં જ તેની બદલી થઇ ગઈ. અને હવે જ્યાં છે ત્યાંથી બદલી કરાવવા તેને ઘણા પ્રયત્નો કર્યા છે. પણ બદલી થઇ નહિ. એટલે તેને નક્કી કર્યુ કે વાયોલીન શીખવાનું શરુ કરે એટલે બદલી આપોઆપ થઇ જશે. વળી બીજા જો કોઈ બદલી કરવા ઈચ્છે છે તેને વાયોલીન શીખવાની સલાહ આપે છે.
          આમ લેખક પહેલાં ઘણું વિચારે તે ઊંચા ગજાનો તો ઠીક પણ ક્યારેય કામચલાઉ લેખક પણ બની શકતો નથી. ઊંચા ગજાનો લેખક તો પહેલાં પુષ્કળ લખી નાખે અને પછી વિચારે એજ બની શકે છે. ----------------------અહીંથી બાકી ---------------


વળી ઊંચા ગજાના લેખક થવા માટે ની મથામણ ફક્ત લખતા પહેલાં વિચારોની મથામણ પુરતી જ સીમિત નથી. તેમાં તો લેખક લખતા પહેલાં પત્ની સાથે બાખડવાથી માંડીને છેક પુસ્તક છપાવવા સુધીની મથામણનો સમાવેશ થાય છે. ઊંચા ગજાના લેખક માટે પ્રથમ પગથીયું જ છે પત્ની સાથે સંઘર્ષ. જે લેખકને લખતા પહેલાં પત્ની સાથે સંઘર્ષ થતો નથી તેના લેખોમાં ક્યારેય મૌલિકતા આવતી નથી. પત્ની સાથે નિયમિત ધોરણે બાખડીને લખનારા લેખકોના લેખો સાહિત્ય જગતમાં સાવ જુદી જ ભાત પાડે છે. તે વાચકને શરૂઆતથી જ અંત સુધી જકડી રાખે છે. અને જયારે વાંચો ત્યારે એકદમ તાજા જ લાગે છે. જયારે પત્ની સામે લેશમાત્ર સંઘર્ષ કર્યા વિના રૂપાની ઘંટડી જેવાં અવાજવાળી પત્નીના મધુર વચનો સાંભળતા સાંભળતા જે લેખક લખે છે તેના લેખોમાંથી કોઈ અનેરો ધ્વની પ્રગટતો નથી. તે અનુકરણ જેવો લાગે છે. પત્ની સાથેના સંઘર્ષમાં છોકરાઓને ડરાવવાના મુદ્દાનો આપોઆપ સમાવેશ થાય છે કારણ કે જે લેખક પત્ની અને છોકરા પર કાબુ મેળવી શકે છે તે સમય જતા આપોઆપ કલમ પર કાબુ મેળવી શકે છે. અને ઊંચા ગજાનો લેખક બની શકે છે.
             ઊંચા ગજાના લેખક માટે પ્રતિભાનો પ્રશ્ન પણ રહે છે સાધારણ લેખક બનવા માટે કોઈ પ્રતિભાની જરૂર નથી એ વાતની ખાતરી તો લેખકને રૂબરૂ જોયા પછી દરેક વાચકને થઇ જ હશે.. પણ ઊંચા ગજાના લેખક થવા માટે પ્રતિભા અનિવાર્ય છે. જેમકે તેનામાં મૂળભૂત પ્રતિભા હોય અને તેથી જ ઊંચા ગજાનો લેખક બની શક્યો હોય અથવા તે ------------------અહીંથી બાકી-------------------
કેટલાંક અલ્પમતિ મનુષ્યો એવી અપેક્ષા રાખે છે કે ઊંચા ગજાના લેખક ઊંચો, ખડતલ, તંદુરસ્ત અને દેખાવડો હોવો જરૂરી છે. ટૂંકમાં તેની પાસે સારું શરીર સૌષ્ઠવ હોવું જોઈએ. પણ આ લખનારે આજ સુધીમાં જોયેલા ઊંચા ગજાના લેખકોમાં આનાથી ઉલટી પરિસ્થિતિ જોવા મળી છે. તેથી અમારું તારણ છે કે ઊ.ગ.લે. થવા માટે શરીર જ પૂરતું છે. સૌષ્ઠવ જરૂરી નથી. રક્તમાં હિમોગ્લોબીન કાયમી ધોરણે ઘટતું હોવાથી પથારીમાં પડ્યા પડ્યા યુધ્ધકથાઓ લખી શકે એજ ઊંચા ગજાનો લેખક કહેવાય.
                વળી ઊંચા ગજાનો લેખક ક્યારેય અટકતો નથી. તેને અટકાવવો પડે છે. એટલે તો કોઈ કવિએ ઊંચા ગજાના કવિએ કહ્યું છે કે- આગળ ડગલું માંડો, મર્દો આગળ ડગલું માંડો, ક્યાંય ન અટકો, ક્યાંય ન છટકો, જીતી લો બ્રહ્માંડોમર્દો આગળ ડગલું માંડો.
           આ કાવ્ય પંક્તિ જુઓ એજ બતાવે છે કે તેના રચનાર કેટલા ઊંચા ગજાના કવિ છે. જુઓ તેઓ પૃથ્વી પરના કોઈ સ્ટેશન પર ક્યાંય અટક્યા નથી અને સીધી જ બ્રહ્માંડ જીતી લેવાની પ્રેરણા આપી છે. ભારતને ચંદ્ર પર ચંદ્રયાન મોકલતા અનેક વર્ષો વીતી ગયા. જયારે બીજી બાજુ ટ્રેનોને પાસ કાઢવી જેમ લોકો અપડાઉન કરતા રહે છે એમ આપણા કવિ-લેખકો ચંદ્ર અને બ્રહ્માંડ પર અપડાઉન કરતા રહે છે. અને એ પણ પાસ વિના જ! તેથી તો ઊ.ગ.લે. આપણને એક બાબત કોમન જોવા મળશે કે તેમણે ક્યાંથી શરુ કરવું એ ખબર હોય છે પણ ક્યાં અટકવું એ ખબર હોતી નથી. ક્યાં અટકવું એની પણ લેખકને ખબર હોય છે એવું કહીને વિવેચકો ભલે તેમના પર વારી જતા. પણ ક્યાં અટકવું તેની ખબર ન હોવાને કારણે જ જે તે લખકો પાસેથી આપણને વિપુલ સર્જન સાંપડ્યું છે. જો એમ ન હોત તો આપણી પાસે છે તે પચ્ચીસ ટકા સાહિત્ય પણ આજે ન હોત. તેથી જ ઊંચા ગજાના લેખક અટકતો નથી. ઉપરાંત તેને અટકાવી શકતો નથી. છેક લખતા પહેલાં પત્ની સાથેના સંઘર્ષથી શરૂ થયેલી ના શબ્દ યાત્રા પુસ્તક છપાયા બાદ સાહિત્યક્ષેત્રે મંચસ્થ થવાની તેમની મથામણ સુધી ચાલુ રહે છે. ઊ.ગ.લે. માત્ર પત્ની સાથે જ નહિ પિતાજી સાથે પણ અણબનાવ થાય છે. પિતાજી તેને વારંવાર ધંધામાં ધ્યાન દેવાની સલાહ આપે છે અને લેખક પાઈની પેદાશ નહિ ઘડીની નવરાશ નહિ જેવાં ધંધામાં વ્યસ્ત હોય છે. આ રીતે પિતાજીને જ સૌથી વધુ વિચારતા કરી મુકે છે.
               ઊંચા ગજાના લેખક લખતા અચૂક ખોંખારો ખાય છે. ખોંખારો એક ઊંચાઇનું પ્રતિક છે ખાંસી નહિ પણ આજે તો ખોંખારો અને ખાંસી વચ્ચેના ભેદની કેટલાને ખબર છે. આજકાલ તમે  કોઈ સાધારણ લેખકને ખોંખારો ખાવાનું કહેશો અને ખાંસી ખાઈ બેસશે. એટલે કે તમે ખંડકાવ્ય રચવાનું કહ્યું ને તે હાઈકુ રચી કાઢે. એવું ઊંચા ગજાનો લેખક આનાથી ઊલટું કરે છે પહેલાં રાજા- રજવાળાના સમયમાં ખોંખારા ખૂબ ખવાતા. વળી ખોંખારો ખાવા માટે કોઈ કારણ જરૂરી નથી નવરાશની પળોમાં આ પ્રવૃત્તિ ખૂબ વધી જતી. કેટલીકવાર બગાસા ને ખાળવા માટે પણ ખોંખારા ખવાતા. રજવાળાઓમાં કસુંબા પાણી કર્યા પછી ખોંખારા ખવાતા. જયારે આજે રાજા અને રજવાળા બેમાંથી એકેય નથી પણ સાહિત્યના રાજા એવાં ઊંચા ગજાના લેખકો તો છે જ. તેથી તેઓ ચા પીધા પછી ખોંખારા ખાય છે. વળી ચા બીજાની હોય તો ખોંખારો વધુ બુલંદ બને છે.
             ઊંચા ગજાનો લેખક ગુગલની વાત લાખનો અને માહિતીની અછત વર્તાય તો ત્યાં ગુગળ (ધૂપ) ની વાત જોડી શકે છે. અબળાની ચીસને આધુનિક બનાવવા તેમાં માઈક્રોચીપ ની માહિતી મૂકી શકે છે. બક્ષી ચંદ્રકાંતના સર્જનની રજનીકાંતની ફિલ્મ સાથે સિલાઈ કરી ચમત્કૃતિ સર્જી શકે છે. વિવેચકો ભલે તેને મર્યાદાનો ભંગ કરતો હોવાનું કહે પણ ખરેખર તે મર્યાદાઓને વિસ્તરે છે. વળી ઊ.ગ.લે. માહિતીની અછત અનુભવે છે. તેનો અર્થ એવો નથી કે તેની પાસે શબ્દસમૃદ્ધિ કે સાહિત્યિક સમૃદ્ધિ નથી. ખરેખર તો આપણે એ બાબતે તેને અભિનંદન આપવા જોઈએ કે આવી અછતમાં પણ તે માહિતી લેખ, કવિતા, નિબંધ, નવલિકા કે નવલકથાના બે છેડા ભેગા કરી શકે છે. વળી જયારે જયારે તે શબ્દો કે માહિતીની અછત અનુભવે ત્યારે તે છત સામે તાકી રહે છે તેથી તેને એક સાથે બે બાબતોની પ્રાપ્તિ થાય છે. એક તો દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય છે અને બીજી બાજુ છેલ્લા પાંચ વરસથી છત રીપેર કરવવાની છે તેનો ખ્યાલ તાજો થાય છે.આ બંનેમાંથી ઊંચા ગજાનો લેખક દિવ્ય વિચારોને જ પકડશે. બાકી છત અછતના પ્રશ્નો તો ચાલ્યા જ કરવાના. એજ રીતે જયારે જયારે તેને પત્ની ટોકે છે ત્યારે પણ તે છત સામે અથવા બારી બહાર શૂન્ય મનસ્ક થઈને તાક્યા કરે છે. પછી એજ શૂન્યમાંથી ફરી પાછુ સર્જન કરે છે. એટલે જ તો મોટા ભાગના લેખકો, કવિઓ બારીએ બેસીને જ લખવાનું પસંદ કરે છે. જો કે આ સિવાયના બીજા કારણો પણ જાણવા મળ્યા છે. પણ તેની વાત ફરી ક્યારેક. કહેવાનું તાત્પર્ય એટલું જ કે આ લેખ વાંચ્યા પછી પ્રિય વાચકો સાધારણ લેખક અને ઊંચા ગજાના લેખક વચ્ચેનો ભેદ સહેલાઈથી પારખી શકશે. એ ભેદ પારખવો જ જોઈએ, ઊંચા ગજાનો લેખક સધારણમાં ખપી જાય તે કેમ ચાલે.
ગરમાગરમ
તમને જરૂર છે ટેકાની અમને જરૂર છે કેશની,
તો ચાલો આપણે પથારી ફેરવીએ આ દેશની.
                                                     - કૃષ્ણ દવે
   

     -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com


આહ્હા.... રસાવાળું શાક...ને આખર બાફેલું શાક



         શાક જો રસાવાળું ન હોય તો ઘણા લોકો જમવાનું છોડી ઊભા થઇ જાય છે. શાની ગૃહિણીઓ એવાં રસાદાર શાક બનાવે છે કે ઘણીવાર તો આ આવડતને કારણે જ તેમનો રોજ તૂટું તૂટું તો સંસાર રોજ સંધાય જતો હોય છે. રસાનું મતલબ આ રસનું મહત્વ દરેક ક્ષેત્રે છે. રસ-આસ્વાદ બધાને ગમે છે. પણ ભોજન રસથી ચડિયાતો રસ કોઈ નહિ. કુશળ વિવેચકો રસહીન વાર્તા, કવિતા, નવલકથામાંથી રસ નીચોવી આપે પણ શાકના રસો જેવો રસો નહિ. હજુ રસા વિશે મનમાં રસ્સા ખેંચી હોય તો વાંચો રસા વિશે રસાથી ભરપુર આ લેખ.
           બક્ષીબાબુના એક લેખનું શીર્ષક કંઈક આવું છે. ગુજરાતીઓનો આત્મા સિંગતેલમાં તરી રહ્યો છે! જયારે ગુજરાતી ગાંધીબાપુએ કહ્યું કે પ્રાર્થના આત્માનો ખોરાક છે. વાત બાબુ અને બાપુ બંનેની ટકોરા બંધ છે. પણ બક્ષીબાબુના વિધાન પરથી કહી શકાય કે સિંગતેલ આત્માનો ખોરાક છે. ખાસ કરીને ગુજરાતમાં. સીંગ એટલે કે મગફળી નું મબલખ ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને તેનું તેનું મબલખ ભોજન અને પાચન પણ ગુજરાતમાં જ થાય છે. ગુજરાતીઓ અને તેમાંય ખાસ કરીને ગુજરાતણોના શરીર જોતા જ કહી શકાય કે તેમાં સીંગતેલનો સિંહફાળો છે. ગુજરાતના લોકો માટે શાકમાં સિંગતેલનો રસો એજ નશો છે. રસા કા નશા કુછ ઔર હોતા હૈ. વળી શાકનો રસો અને રસામાં સિંગતેલના પ્રમાણને આધારે જ તેનું આર્થિક ધોરણ નક્કી થાય છે. કહેવાય છે કે પહેલાના બે ચાર જામેલી બીડી પાતાં તો પેલા બીડીથી ખુશ થયેલા વળી દીકરા દીકરી ની સગાઈનું પાકું કરી ને આવતા એજ રીતે આજે પણ ઘેર આવેલા મહેમાન શાકમાં સિંગતેલનો ભરપેટ માણે તો વિચારતા થઇ જાય કે આ ઘરમાં દીકરી ખાધે પીધે ક્યારેય દુઃખી નહિ થાય. આમ રસાસ્વાદ માણસને નવી જ દિશામાં વિચારતા કરી મુકે છે. રસો અંતરના દ્વાર ખોલે છે.
            વળી ભાવવધારાનું કારણ પણ કદાચ આ રસો જ હોઈ શકે. કારણ કે આપણા રાજા (જે રાજા બન્યા પછી સાવ રંક બની ગયા છે.) કદાચ ગુજરાતમાં આવ્યા હશે. અને તેમણે સિંગતેલના રસાવાળું શાક ખાધું હશે ત્યારે તેને થયું હશે કે જે પ્રજામાં શાકમાં આટલી બધી છૂટથી સિંગતેલનો રસો ખાતી હશે તે ખરેખર ખૂબ સમૃદ્ધ હશે. તો પછી શા માટે તેમની પાસે થી વધારે ભાવ ન લેવો. એવાં હેતુથી તેમણે ભાવવધારો કર્યો હશે. જે આખા દેશને લાગુ પડ્યો હશે. વળી આ વિચાર પછી પેલી કલાપીની કવિતા ગ્રામમાતા માં બને છે તે તેમ રાજાએ વધુ એક ચમચો શાક માગ્યું હશે ત્યારે શાક સાવ સુકીભાજી જેવું એટલે કે રસાહીન બની ગયું હોત તો જરૂર રાજાએ પાછો ભાવવધારો ખેંચ્યો હોત પણ પ્રજાના કમનસીબે અને શરદ જેવાના સદનસીબે આવો નહિ બન્યું હોય એટલે ભાવવધારો આગળ વધતો રહ્યો હશે. પછી પ્રજા તેની પાછળ ઢસળાતી રહી અને રાજા સ્થિતપ્રજ્ઞ થઈને જોતા રહ્યા.
              આમ સિંગતેલના રસામાં પ્રેમાનંદના નવેનવ રસાસ્વાદ માણી શકાય છે. ગુજરાતી રસપ્રેમીઓને જણાવવાનું કે આ પ્રેમાનંદ કોઈ મારવાડી રસોઈયો નહોતો. અમારો મૂળ હેતુતો અહીં એક નવલકથાનો રસાસ્વાદ કરાવવાનો હતો પણ બપોરના ભોજનમાં જમતી વખતે શાકના રસામાં રોટલીનું બટકું ઝબોળીને મોંમાં મુક્યું એ મોંમાં સિંગતેલનો સ્વાદ છવાઈ ગાયો ત્યારે સાવ નવો જ વિચાર સ્ફૂર્યો કે નવલકથાનો રસાસ્વાદ કરાવવા માટેનો આપણે ત્યાં ઘણા વિવેચકો છે. જે અસ્સલ પંજાબી શાક જેવી નવલકથાનું કારેલાના શાક જેવું રસાસ્વાદ કરાવે છે. ભૂલેચુકે જો વાચક નવલકથાની પહેલાં તેના વિવેચનના એકાદ બે પ્રકરણ વાંચી ગયો તો (એટલા તો માંડ વાંચી શકાય) નવલકથાની સામે પણ નહિ જુએ. કારણ કે વિવેચન પ્રકારની ચીજ છે. વળી જે નવલકથા વાંચ્યાં પછી વાચક વિવેચન વાંચશે તેનુંય ડાચું દિવેલિયું થઇ જશે. જાણીતા હાસ્યકાર ઉર્વીશ કોઠારીએ બરફગોળા વિશેના લેખમાં લખ્યું છે કે અવનવા સ્વાદિષ્ટ રસ છાંટેલો બરફગોળો એ નવલકથા છે. જયારે કોઈ સ્વાદ વગરનો પથ્થર જેવો કઠોર બરફ એ તેનું વિવેચન સ્વરૂપ છે.
             તેથી જ અહીં અમારું દ્રઢપણે માનવું છે કે રસાસ્વાદ એટલે કે રસ-આસ્વાદ શબ્દને મૂળભૂત રીતે સાહિત્ય સાથે જ સંબંધ છે ખાસ કરીને રસાવાળા શાક સાથે સામાન્ય રીતે મેથી તાંદળજાની બાફેલી ભાજી પર લાંબુ જીવનનો અને લાંબુ લખવાનો મદાર રાખનાર સાહિત્યકારોએ જયારે આર્થિક અને શારીરિક રીતે સમૃદ્ધ આવા કોઈ ગુજરાતીને ઘેર રસાવાળા શાકનો સ્વાદ માણ્યો હશે. ત્યારેજ તેના મનમાં રસાસ્વાદ શબ્દ ઉદભવ્યો હશે. ત્યાર પછી તેઓ ઉગતા લેખકોને પ્રસ્તાવના લખી આપવાની પ્રવૃત્તિ પડતી મુકીને કાવ્યો, નવલકથાઓ, નવલિકાઓ, રસાસ્વાદ કરાવવા કલમ ચલાવતા થયાં હશે. શાકના રસાસ્વાદ અને સાહિત્યના રસાસ્વાદ માં મૂળભૂત તફાવત એ છે કે શાકને જોતા ખ્યાલ આવી જાય કે તેમાંથી આપણે ભરપુર રસાસ્વાદ માણી શકીશું. કારણ કે શાકના તપેલા તપેલીમાં આપણને પ્રથમ દ્રષ્ટિએ રસો જ નજરે પડે છે. બટેટા, ટમેટા, રીંગણાં જેવી શાકની લોકભોગ્ય જાતિઓ પણ મોટાભાગે રસાને કારણે જ તપેલામાં રસાતાળ ગઈ હોય છે. એટલે કે પહેલી નજરે દેખાતી નથી. એ ભલે દેખાય કે ન દેખાય પણ રસાનો ચાહક રસો જ માગે. ન માગે રીંગણ, બટાટા રે... આ રીતે રસો જ મનુષ્યનો શાકોત્સુક અને સ્વાદોત્સુક કરે છે.
           જયારે સાહિત્યિક કૃતિઓમાં નવલકથાઓમાં એમ સીધેસીધો રસો નજરે ચડતો નથી. એટલે જેમ જેમ વાંચતા જાઓ તેમ-તેમ રસાસ્વાદનો અનુભવ થતો જાય. આમ છતાં ફક્ત નવલકથાના વાંચન થી વાચક સીધેસીધો અને પુરેપુરો રસાસ્વાદ માણી શકતો નથી એવું વિવેચકો માણે છે. એટલે બાકી રહી ગયેલા રસાસ્વાદ વિવેચકો કરાવે છે પણ વિવેચકોએ કરાવેલો રસાસ્વાદ દાઢમાં રહી જતો નથી પણ ખુદ વિવેચક જ દાઢમાં રહી જાય છે. આમ વિવેચકો વારંવાર નવલકથાઓનો રસાસ્વાદ કરાવ્યા કરે છે. તેને કારણે જ રસ ક્ષતિ થાય છે આમ તેઓ નવલકથામાંથી દેખીતા રસા સિવાય નવલકથાને નીચોવીને તેમાંથી રસો જ કાઢે છે. આમ પ્રથમ દ્રષ્ટિએ સાહિત્યમાં રસો દ્રષ્ટિગોચર થતો નથી. પણ શાકમાં થાય છે. એટલે રસાસ્વાદ તો પ્રથમ શાકના થતા, પછી તે કાળક્રમે સાહિત્યથી માંડીને સિનેમા સુધી વિસ્તર્યા.
           સાહિત્યની જેમજ સિનેમામાં પણ હીરો હિરોઈન વચ્ચે પાંગરેલો પ્રેમ એ રસો છે. અને એ રસામાં જ આખી ફિલ્મ રસ તરબોળ હોય છે એટલે જે લોકો છેક સુધી બેસી રહે છે. વધારામાં ફિલ્મમાં પ્રણય ગીતો આવે છે. તે રસાવાળા શાકમાં છાંટેલા મૂળજી જુઠાના મધમધતાં મસાલા સમાન હોય છે. પછી મૂળ શાક તો (સ્ટોરી) શોધ્યું જડતું નથી. પ્રણય ત્રિકોણમાં તો પછી કલાકો સુધી દરિયા કિનારે ઊભા રહી જેમ વર્ગખંડમાં પ્રોફેસર વિધાર્થીઓની પરવા કર્યા વગરજ લેક્ચર ફાડતા હોય છે. એજ રીતે પ્રણય ત્રિકોણના પાત્રો પણ પ્રેક્ષકોનિ પરવા કર્યા વગરજ પ્રેમની ફિલસૂફી વિશે ઠંડા કલેજે ગ્લિસીરીનના આંસુ સાથે હિરોઈનના વાળ અને દુપટ્ટો હવામાં ઉડતા રહે છે. જયારે હીરોના ચહેરા પર મહાવરાના અભાવે કરુણતાને બદલે કબજીયાતના દર્દના ભાવો દ્રષ્ટિગોચર થાય છે. આવા માહોલમાં પ્રેક્ષકોએ આટ-આટલું વેઠ્યા પછી પણ તેમાં કંઈ ખાસ બનતું નથી. છેલ્લે બે હીરોમાંથી કોઇપણ એક પેલા બંનેને દુઆં દેતો દેતો અથવા કાઠીયાવાડી દુહા ગાતો ગાતો (જો ફિલ્મ ગુજરાતી હોય તો!) તેમના થી સુરક્ષિત અંતરે જતો રહે છે અને છેવટે આ વધેલો રસો જ આખી ફિલ્મનો રસાસ્વાદ બગાડી નાખે છે.
         આવા રસાપ્રેમીઓનો રસો જયારે છેક તેમના હૃદયને સ્પર્શી જાય છે ત્યારે ડોક્ટર તેમને કડક શબ્દોમાં ફક્ત બાફેલું શાક ખાવાની જ સલાહ આપે છે અને ત્યારે જ એની ખરી કસોટી શરૂ થાય છે અને એ કસોટીમાંથી તેને પાર ઉતરવું જ રહ્યું. કારણ કે એજ છે કસોટી જિંદગી કી    
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com
   
          

આખલાનો ઇન્ટરવ્યૂ!



          જૂની કથાઓમાં પશુ-પંખીઓ બોલતા અને હોલીવુડની ફિલ્મોમાં પણ હવે તેઓ બોલે છે, પણ ઇન્ટરવ્યૂ આપવા તૈયાર થાય તેવા જીવો હજુ ઓછા છે. અહીં આખલાએ આપેલા ઇન્ટરવ્યૂ એટલે જ માથે ચડાવવા જેવો છે. વાંચતા વાંચતા તમને ક્યાંક વાગે યા કોઈનેય વાગે તો અમે નહિ, એ આખલાને જવાબદાર ગણશો. મઝા પડે તો એ આખલા પાસે બોલાવનારને જવાબદાર ગણશો.
        મોટા ભાગના લોકોને આખલાનો પરિચય હોય, પણ દૂરથી જ. આખલાની અડફેટે ચડ્યા પછી જે પરિચય મળે છે તે પૂર્ણ ગણાય. પણ એવો પરિચય કેટલાંક બડભાગીઓને જ મળ્યો હોય. તેથી અહીં ઇન્ટરવ્યૂ સ્વરૂપે આખલાનો પરિચય મેળવીએ.
ઇન્ટરવ્યૂકાર: આખાલાજી નમસ્કાર.
આખલો: (એક હળવો છીંકોટો મારીને) નમસ્કાર...જય ભારત...જય હિન્દ!...
ઇન્ટરવ્યૂકાર: તમે અગાઉ બોલતા એ અભિવાદનના શબ્દો છોડી હમણાં હમણાં જય ભરત જય હિન્દ કેમ બોલવા માંડ્યા છો?
આખલો: મુદ્દાની વાત કરો હું તો બધે જ સમદ્રષ્ટિ રાખું છું.
ઇન્ટરવ્યૂકાર: માફ કરજો આખાલાજી, આપ થાકેલા જણાવો છો, તમને આજે ઇન્ટરવ્યૂ ફાવશે?
આખલો: કોણે કહ્યું થાકેલો છું? હું થાકતો નથી, થકવી નાખું છું.
ઇન્ટરવ્યૂકાર: આખાલાજી તમે આમ રોડ પર ઊભા હો અને એસ.એમ.સી વાળા રખડતા ઢોરને પકડવા નીકળે છે ત્યારે તમને ડર નથી લાગતો?
આખલો: ડર તો એમને લાગે છે તેને ખબર છે કે એકવાર આખલાને પકડ્યો તો પછી સાચવવો મુશ્કેલ અમને પછી છોડો તોયે મુશ્કેલ! એટલે તો એ લોકો મને ફસાવવા છેક મારી નજીક સુધી આવે છે કારસા કરે છે ને પાછા હટીજાય છે.
ઇન્ટરવ્યૂકાર: તમને ચરવા માટે જે હરિયાળું ખેતર આપ્યું છે તે તમને પસંદ છે ખરું?
આખલો: જુઓ એક વાત પાયામાંથી સમજી લો. અમને આપે તે નહિ પણ અમને પસંદ પડે તે ખેતરમાં ચરીએ છીએ.
ઇન્ટરવ્યૂકાર: તો પછી ખેતરના માલિકને તેના બાળકોને પત્નીને અસંતોષ ન થાય?
આખલો: અસંતોષ તો રહેવાનો જ. કોઈને અસંતોષ ન થાય એવું વિચારીને ચરવા નીકળીએ તો ચરી જ ન શકીએ. એટલે શરૂઆતમાં ખેતરના માલિકને એવું થાય પણ ખરું, પણ થોડો સમય જાય એટલે આપોઆપ તેના મનમાં સ્વીકાર થઇ જાય કે ખેતર આપણું નહિ, પણ આખાલાજીનું છે. માટે તેમના ચર્યા બાદ જે વધે તે આપણું.
ઇન્ટરવ્યૂકાર: એટલે કે સબ ભૂમિ ગોપાલ કી એમ જ ને!
આખલો: અરે ભાઈ સબ ભૂમિ ગોપાલકી નહિ સબ ભૂમિ સાંઢ કી.
ઇન્ટરવ્યૂકાર: તો પછી ગોપાલ શું કરશે?
આખલો: એ તો ગોપાલ બોલો હરે ગોવિંદ બોલો એવાં ભજન કરશે.
ઇન્ટરવ્યૂકાર: આખાલાજી તમે ચરી લીધા પછી જ કેમ વાગોળો છો? ચરતા હો ત્યારે કેમ વાગોળતા નથી?
આખલો: જુઓ દોસ્ત, ચરવાનું ત્યારે એકધારું ચરવાનું, સૌપ્રથમ ચરી ખાવાનું.કારણ કે બીજા સાંઢ પણ હોય ને! આપણે કાચા પડીએ તો બધું જ એ ચરી જાય. એટલે પહેલાં ધરાઈને ચરી લેવાનું પછી વાગોળવાનું.
ઇન્ટરવ્યૂકાર: તમે પેલી પંક્તિ સાંભળી છે...
લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે;
મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.
આખલો: ક્યાંક સાંભળી હોય એવું લાગે છે, પણ તેમાં એજ સમજાતું નથી એવું શું છે? એમ તો અમે પણ ક્યારેક નવરાશની પળોમાં કવિતા કરી નાખીએ છીએ પણ હમણાં હમણાં અમારા પસંદગીના ખેતરો બીજા આખલા ઘૂસવા માટે ઝઝૂમે છે, એટલે કવિતાને બદલે કડાકૂટ જ ચાલે છે.
ઇન્ટરવ્યૂકાર: તો પછી તે આખલાઓને તમે મારી હટાવશો?
આખલો: નહિ...નહિ... અમે તેને અંદરોઅંદર લડાવીશું.
ઇન્ટરવ્યૂકાર: વેરી ગુડ, તમે એક શીંગડે અનેક પ્રાણીઓ મારવાની ક્ષમતા ધરાવો છો, પણ તમારી કવિતાની ઝલક તો દેખાડો.
આખલો: અત્યારે હું જે ઝલક બતાવી રહ્યો છું તે માણો, તે પણ માણવાલાયક છે. હું ક્યારેક સાહિત્યના ખેતરમાં ચરતો હોઉં ત્યારે કહેજો હું ઝલક બતાવીશ.
ઇન્ટરવ્યૂકાર: મેં સાંભળ્યું છે કે પહેલાં તમે લોકોને બહુ શીંગડે ચડાવ્યાતા. બહુ છીંકો મારી હતી, પણ હમણાં હમણાં એવું નથી કરતા એ સાચું?
આખલો: શીંગડે તો ચડાવવા જ પડે ને, અમારે સાબિત તો કરવું પડે કે અમે સાંઢ છીએ, સસલું નથી. હવે લોકોને ખ્યાલ આવી ગયો છે, એટલે એવું કરવાની જરૂર ક્યાં રહી. હવે થોડી શાંતિની સ્થાપના પણ કરવી જોઈએ ને!
ઇન્ટરવ્યૂકાર: એવું પણ જાણવા મળ્યું છે કે જેણે તમે શીંગડે ચડાવ્યાતા એજ તમને શુભેચ્છા આપે છે.
આખલો: એમને બે વાત સમજાઈ ગઈ છે કે ગાય કરતા આખલો વધુ ઉપયોગી છે. અને આખલાની સાથે રહેવાય, સામે ન રહેવાય.
ઇન્ટરવ્યૂકાર: અમારા માહિતગાર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે જેમને પૂરું ચરવા નથી મળ્યું તેવાં આખલાઓ તમારાથી ઘણા નારાજ છે, છતાં તેઓ માથુ ઊંચકી શકતા નથી.
આખલો: જ્યાં સુધી અમારું માથુ ઊંચું છે ત્યાં સુધી તેમના માથા નીચા રહેશે.
ઇન્ટરવ્યૂકાર: તમે બેસવા માટે ખાસ રસ્તો જ કેમ પસંદ કરો છો?
આખલો: એ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.
ઇન્ટરવ્યૂકાર: તેથી રાહદારીઓને મુશ્કેલી પડે તેનું શું?
આખલો: અરે, રાહદારીઓ થાકી અમને કેટલી મુશ્કેલીઓ પડે છે, એનો વિચાર કર્યો છે? તમને લોકોને અમને બદનામ કરવાના જ સવાલો કેમ સુઝે છે?
ઇન્ટરવ્યૂકાર: તમારો માલિક અ બાબતે તમને કંઈ કહેતો નથી?
આખલો: માલિક ગાયોને હોય, આખલાઓને નહિ. અમારા માલિક અમે જ, શું સમજ્યા! અને રસ્તા પે બેસવું હોય તો માલિકની ભાવનાથી જ બેસવું પડે.
ઇન્ટરવ્યૂકાર: તમે બધા સવાલોનો જવાબ શબ્દો ચોર્યા વિના બેધડક અને ખુલામ્ખુલ્લા આપો છો તેનું રહસ્ય શું છે?
આખલો: રહસ્ય તમને છેલ્લે સમજાઈ જશે આગળ વધો.
ઇન્ટરવ્યૂકાર: હવે જરા બીજી વાત. આપણે ત્યાં ઘણી જમીન માટે ગૌચર શબ્દ વપરાય છે પણ તેમાં ચરે છે આખલાઓ! એ વિશે આપનું શું કહેવું છે?
આખલો: આઝાદી પછી આપણે ત્યાં કાયદો થયો, ખેડે તેનું ખેતર એજ રીતે ચરે તેનું ગૌચર ઓ..કે..!
ઇન્ટરવ્યૂકાર: તમે તક મળ્યે ગમે ત્યાં ઘુસી જાવ છો એજ રીતે શાકમાર્કેટમાં પણ ઘુસી જાવ છો અને ગમે તે શાકભાજીની લારી કે થાડામાં મોઢું મારી લો છો ત્યારે શાકમાર્કેટવાળાના પ્રત્યાઘાતો કેવાં હોય છે?
આખલો: સૌપ્રથમ મને એ કહો કે શાકમાર્કેટમાં શાકભાજી આવ્યા ક્યાંથી? શાકમાર્કેટનો વિકાસ થયો કેવી રીતે?
ઇન્ટરવ્યૂકાર: આપ જ સમજાવોને,કારણ કે આપ બધાને ગમ્મે તે રીતે ગમ્મે તે બાબત સમજાવી દેવામાં કુશળ છો.
આખલો: (ગર્વથી માથુ ઊંચું કરીને) જુઓ આખલા એટલે કે અમે બળદ. ખેતી બળદોથી થાય છે, તેથી જ અનાજ, શાકભાજી વગેરે પાકે છે, અને તે શાકમાર્કેટમાં આવે છે. તો પછી શાકમાર્કેટનો વિકાસ થયો કોના થકી? બોલો! શાકમાર્કેટનો સંપૂર્ણ વિકાસ અમારા જ થકી થયો છે. હજારો લોકોને રોજગારી મળે છે. વિટામીનથી ભરપૂર શાકભાજી મળે છે. તો પછી અમે જરા સેમ્પલ રૂપી મોઢું મારીએ તેમાં વાંધો શો?!
ઇન્ટરવ્યૂકાર: પણ ખેતી માટે તૂટી મર્યા પેલા બળદો તમને તો મેં ક્યારેય હળે જોતરાયેલા જોયા નથી, તમે તો માથુ ઊંચું કરીને ફરતા રહો છો.
આખલો: એ મહેનતુ બળદોની વાતને આમ જનતા સુધી પહોંચાડવા માટે જ હું આમ જનતાની વચ્ચે જ (એટલે કે રસ્તા વચ્ચે) ઊભો હોઉં છું, અને મારા બળદબંધુઓને ગૌરવ અપાવવા માટે જ હું ગમે ત્યાંથી ગૌરવી ગોની માથુ ઊંચું રાખું છું. જો કે તેના કારણે હમણાં હમણાં જરા ડોકમાં દુખાવો થઇ ગયો છે.
ઇન્ટરવ્યૂકાર: પણ તમારી વાતો અમારા ગળે ઉતરતી નથી તેનું શું?
આખલો: એક જોરદાર છીંકોટો મારી પૂંછડું અને માથુ બંને ઊંચા કરી ઇન્ટરવ્યૂકારના હાથ પર મોઢું મારી કાગળિયા આંચકી ચાવીને પેટમાં ઉતારી જાય છે. પછી કહે છે જો આ બધી વાત મારા ગળે ઉતારી ગઈ અને તારા ગળે કેમ ઉતારવી એ મને આવડે છે. માટે છાનોમાનો પતલી ગલીસે નિકલ જા, નહિ તો એક ઢીંક ભેગો ધૂળ ચાટતો કરી દઈશ. હવે સમજાઈ ગયું ને મારા બેધડક જવાબોનું રહસ્ય. મારા જવાબો હું ઈચ્છું તો જ છપાઈ શકે, નહિ તો મારા પેટમાં જ રહે, શું સમજ્યો?! (ઇન્ટરવ્યૂકાર જીવ બચાવીને ભાગી છુટે છે. આખલાજીના સમર્થનમાં મિત્ર આખલાઓ જોરદાર છીંકોટા મારે છે લોકો જોતા રહી જાય છે, ટ્રાફિક જામ થઇ જાય છે.) 
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...