Sunday, 7 September 2014

ચોવીસ ગુરુનો ચેલો

જે રીતે લોકો આજકાલ સંસાર રથમાં પણ સ્પેરવ્હીલ રાખે છે. એ જ રીતે લોકો સ્પેરગુરુ  પણ રાખે છે કારણ કે મલ્ટીપરપઝ ગુરુ આજે મળતા નથી. જુદી જુદી સમસ્યાના ઉકેલની ગુરુચાવીઓ જુદા જુદા ગુરુઓ પાસે હોય છે વળી શક્તિ એવી ભક્તિના ધોરણે એકથી વધારે ગુરુ પાળવાની વાત તો પ્રાચીન કાથી ચાલી આવે છે. આજકાલ ધનવાનો અને કરોડપતિઓના ગુરુઓ જોશો તો તેમણે ગુરુ પાળ્યા હોવાની ખાતરી થઇ જશે. પ્રાચીન સમયમાં દત્તાત્રેયે ચોવીસ-ચોવીસ ગુરુ ધારણ કર્યા હતા. અમણે ચાલાકી એ વાપરી હતી કે પેલા ગુરુને ખબર પણ નહોતી પડવા દીધી કે તેમણે એમની ગુરુપદે નિમણૂક કરી છે, મનોમન ગુરુ ધાર્યા છે. જુના જમાનામાં જે રીતે કોઈ યુવતી મનોમન કોઈને વરી ચૂકતી (એ પણ સ્વયંવર કહેવાય.) તેમ તેઓ ગુરુને વર્યા હતા.
             એ જ રીત મેં પણ અપનાવી છે. ટ્રાફિકથી ધમધમતો વરાછા રોડ ક્રોસ કરવામાં મને બહુ મુશ્કેલી પડે છે. જયારે હું રોડ ક્રોસ કરું ત્યારે બીજાઓને પણ મુશ્કેલી પડે છે. કારણ કે મોટાભાગના લોકો રાજમાર્ગ પર બાપુજીનું રાજ હોય એમ વાહનો ચલાવે છે અને ચાલે છે. એજ રીતે સો વિઘાના ખેતરમાં ફરવા નીકળી હોય એમ બિન્ધાસ્તપણે કેટલીક બહેનોને શાકમાર્કેટ પાસે કાકડી ખાતા-ખાતા રોડ ક્રોસ કરતી જોઈ. મે મનોમન એમને ગુરુપદે સ્થાપી. તેમાંથી મને એ તત્વજ્ઞાન પ્રાપ્ત થયું કે રોડ ક્રોસ કરતી વખતે રસ્તા પર કોઈ જ નથી. માત્ર ને માત્ર તમે એક જ છો.એ ભૂમિકાએ પહોંચશો તો પછી રોડ ક્રોસ કરવો એ એક આનંદ બની જશે. ઉત્સવ બની જશે. વળી બહેનો તેનાથીય ઉચ્ચ ભૂમિકાએ હોય છે. કારણકે શાકમાર્કેટ અને તેની પાસે આવેલા રોડને તેઓ અબળાનું અભયારણ્ય માને છે. કોલેજમાં વકતૃત્વ સ્પર્ધા વખતે પણ અમારા સાહેબે મને એજ શિખામણ આપેલી કે સામે સાંભળનાર કોઈ જ નથી અને આપણે એકલા જ છીએ.એમ ધારીને જ બોલજે એટલે તને જરાય ગભરામણ નહિ થાય, ડર નહિ લાગે. મેં અક્ષરશ: સાહેબની સૂચનાનું પાલન કર્યું. હું પાંચ મિનીટને બદલે અડધો કલાક બોલ્યો. અંતે મારું વક્તવ્ય પૂરું થયુ ત્યારે પરિસ્થિતિ સાહેબના કહેવા પ્રમાણે જ હતી. અને સાહેબ ગભરાયેલા જ હતા. જોકે એ તો મારા ગુરુ હતા જ.
             એક જગ્યાએ જમણવારમાં ખૂબ લાંબી લાઈન હતી. લાઈન જોતા એવું લાગતું હતું કે બૂફેના કાઉન્ટર સુધી પહોંચીશ ત્યા સુધીમાં માત્ર ભુખ જ નહિ પણ ભુખાતુર ખુદ મરી જશે. પણ એટલામાં જ જેમ શાકમાર્કેટમાં રખડતો આખલો ઘુસી જાય અને બે ત્રણ સફરજન વિના મૂલ્યે આરોગી જાય એમ એક માણસ આખલા શૈલીથી સીધો જ છેક કાઉન્ટર પાસે ઘુસી ગાયો. પાછળ ઉભેલા લોકોએ હો....હો કર્યું. મને થયું કે જો બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે ભારતીયોએ આટલી જાગૃતિ દાખવી હોત તો એક પણ ઘૂસણખોર આજે આ દેશમાં ન હોત. પેલા ઘૂસણખોર આંખ આડા કાન કરી ધ્યેય સિદ્ધ કર્યું. હજુ મેં તો લાઈન માં અડધા ભાગનુંય અંતર નહોતું કાપ્યું ત્યાં તો તે જમી કારવીને સિંહ ગર્જના જેવાં ત્રણ ચાર ઓડકાર ખાઈને રવાના થઇ ગયો. મેં તરત તેને ગુરુપદે સ્થાપ્યો અને જ્ઞાન પ્રાપ્ત કર્યું કે જયારે જયારે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ખાવું હશે તો શરમ છોડવી પડશે. અને શરમ રાખીશું તો ખાવાનું છોડવું પડશે. આ જ્ઞાન મને જ્ઞાનસત્રમાંથી પ્રાપ્ત થયું. એટલે તેનું મારે મન બહુ મોટું મૂલ્ય છે.
           રાજકોટ ખાતે મારા મિત્રના પડોશમાં જ તેના જીજાજી વસે છે. મિત્ર માટે જીજાજી રાહુ સ્વરૂપે હતા. જેને મેં ગુરુપદે સ્થાપ્યા છે. જેમ દક્ષિણ ગુજરાતના ગામડાઓમાં ઘરમાં દીપડા ઘુસી આવે છે. એમ જીજાજી ત્યારે મિત્રના ઘરમાં ઘુસી જતા. જીજાજીએ મિત્રને કલ્પવૃક્ષ માન્યો હતો જયારે મિત્રની હાલત મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી એવી હતી. તેથી જીજાજીએ કલ્પવૃક્ષપાસેથી (તેના ઘરમાંથી) ઈચ્છે તે વસ્તુ પ્રાપ્ત કરી લેતા આવા જીજાજી પ્રાપ્ત કરવા બદલ મિત્રને બહુ ખેદ હતો.મિત્ર ઘણીવાર સાહિત્યિક શબ્દોમાં પરોક્ષ પધ્ધતિથી જીજાજી સમક્ષ ખેદ વ્યક્ત કરતો પણ જીજાજી ટોટલી નિષ્ખેદ હતા. એકવાર હું મિત્રને ઘેર બેઠો હતો અને તેઓ સવારમાં ચડી આવ્યાં. મિત્ર પત્નીએ બનાયેલી બે કપ કોફીમાંથી એક કપ કોફી તેઓ પી ગયા. એટલે મિત્રે મને કહ્યું હવે એ બાકીનો કપ તું પી જા જીજાજી પી ગયા તે કપ મારો જ હતો. અમારા કરમમાં કાળમીંઢ લખ્યો હોય તેના પરિણામ તારે શા માટે ભોગવવા! એટલામાં જ જીજાજી એ પૂછ્યું, ભાઈ, આજે તમે ક્યાંય બહાર જવાના છો? મિત્રને થયું કે જો હા કહીશ તો જીજાજી ગળે પડશે અને આંખો દિવસ પોતાનાં ખર્ચે ખાશે- પીશેને રાજ કરશે. આમ વિચારી તેણે કહ્યું ના આજ તો આંખો દિવસ ઘર બહાર પગ નથી મૂકવો. આ સંભાળીને તરત જ કી સ્ટેન્ડમાંથી ચાવી ઉપાડતા જીજાજી બોલ્યા તો પછી હું તમારી કાર લઈ જાવું છું. રાત્રે મૂકી જઇશ આમ કહી તેઓ કાર લઈ વાયુવેગે પલાયન થઇ ગયા અને અમે ખરેખર આખો દિવસ ઘરે જ બેસી રહ્યા. આવા જીજાજીમાંથી મેં જ્ઞાન તારવ્યું કે સસરાના ઘરની તમામ ચીજને આપણી પોતાની જ માનવી. ઉપરાંત સસરા અને સાળાને કલ્પવૃક્ષ અને સાસુને કામધેનું માનવી. આમ જીજાજીને મેં ગુરુપદે સ્થાપ્યા.
              અમે હોસ્ટેલમાં રહીને ભણતાં ત્યારે વેચાણકળા અને વિજ્ઞાપન એ વિષય મને બહુ અઘરો લાગતો. તેથી એ વિષયની ટેક્સ્ટ બુક લઈને હોસ્ટેલની અગાશી પર એકાંતમા હું વાંચતો એ દરમ્યાન દૂર એક અગાશી પર લીમડાનો ઘેઘૂર છાંયડે એક બડકમદાર બાપુ દરરોજ ટેસથી પાઈપ (ચલમ) પિતા નજરે ચડતા. કહેવાય છે કે તેમની પાસે શહેરમાં ઘણી મિલકત હતી.છ મહિના પહેલા એમણે પોતાની જીપગાડી વેંચી દીધી અને છેલ્લા સમાચાર મુજબ તેમના જ્યાં બેસણાં છે તે મકાન પણ વેચવા કાઢ્યું હતું. આ સંભાળીને મેં એ બડકમદર બાપુને તરત ગુરૂપદે સ્થાપ્યા. કારણકે તેઓ વેચાણકાળનો પણ નહોતા જાણતા. છતાં છત પર બેસીને ચલમ પીતાંપીતા તેમણે કેટલું બધું વેચી બતાવ્યું! એમના થાકી મારા મનમાં જ્ઞાન જ્યોત પ્રગટી કે કંઈ પણ વેચવા માટે વેચાણકળા શીખવી અનિવાર્ય નથી. આમ વેચાણકળાનો હાઉ મારા મનમાંથી દૂર થયો.
                મારા એક ખાસ મિત્રના પિતાજીને પણ મેં ગુરુપદે સ્થાપ્યા છે. કારણકે ગ્રેજ્યુએટ થયા પછી મારો મિત્ર ખાનગી નોકરીમાં જોડાયો. પણ તેની લાક્ષણિકતા મુજબ તે નોકરીમાં ક્યાંય ‘મંગાળે મેશ અડવા ન દેતો’. એટલે કે ક્યાંય ટકતો નહિ. અને વારંવાર નોકરીઓ બદલતો. આવું ઘણા વર્ષા સુધી ચાલ્યું. એકવાર અમે તેના ઘેર બેઠા હતા. ત્યારે તેના પિતાજીએ મિત્રને સલાહ આપી કે તું આમ વારંવાર નોકરી બદલ્યા ન કર. કોઈ એક જ જગ્યાએ સ્થિર થઇ જા. ત્યારે મિત્રે કહ્યું કે, બાપુજી, હું ભલેને નોકરીઓ બદલ્યા કરું, આપણને અનુભવ મળેને!
              ત્યારે તેના વિલક્ષણ પિતાજી બોલ્યા આખી જીંદગી અનુભવ જ મેળવ્યા કરીએ તો પછી તે કામ ક્યારે લાગે?’
           આ ઘટનાથી મેં મિત્રના પિતાજીને ગુરુપદે સ્થાપ્યા.અને જ્ઞાન પ્રાપ્ત કર્યું કે જો પથારી કરવામાં જ સવાર  પડે તો સુવું ક્યારે?!

              આમ, જ્યાં જ્યાંથી જ્ઞાન મળે તેને ગુરુપદે સ્થાપું છું. ઓછામાં ઓછા ચોવીસ ગુરુના ટારગેટ છે. બાકી તો સ્કાય ઇઝ ધ લિમિટ!        
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા.....!!




૧૨/૧૦/૨૦૧૧

            સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા એ યુગોથી ઘૂંટાતું એક વણઉકેલ રહસ્ય છે. પ્રશ્ન એ છે કે સસરો સાંકડી શેરીમાં જ શા માટે મળે છે? વનિતા વિશ્રામના ગ્રાઉન્ડ પર, રીંગ રોડ પર કે ચોકમાં શા માટે નથી મળતા? વળી અહીં પ્રશ્ન એ થાય કે આખી ઘટનામાં જે ખરેખર રહસ્યમય છે તે સસરો છે કે સાંકડી શેરી? પ્રથમ દ્રષ્ટિએ શેરી જ કંઈક ભેદી જણાય છે. તેથી જ ત્યાં આવી ભેદી ઘટનાઓ ઘટતી રહે છે. વળી ડિટેકટીવ સ્ટોરીઓ લખવી જેના માટે ડાબો હાથનો ખેલ છે એવાં સિદ્ધહસ્ત લેખક માટે સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા એટલુ મુખડું જ પૂરતું છે. તેના પરથી તે એક રાતમાં એક ખોફનાક જાસૂસ કથા લખી શકે. સનસનીખેજ સમાચારો શોધી લાવતી નહિ પણ ગમ્મે તેવા સમાચારોને સનસનીખેજના તાવડામાં તળીને લોકોને પીરસનારી ચેનલ માટે ય આ મુખડું આખો દિવસ ચાલે એવું છે. સંકીર્ણ શેરી મેં મિલા શ્વસુરજી.... શૂમ...શૂમ્મ...શૂમ્મ...! કૌન થેથે શ્વસુરજી ? બડી બજારકે બજાય સંકીર્ણ શેરીમે કયું મિલે ?! કિસસે મિલે? કિતની બાર મિલે?  શૂમ્મ...શૂમ્મ...શૂમ્મ...! ચેનલ પાસે લોકોને માથે મારવા ખાસ કંઈ ન હોય ત્યારે ચેનલ ધારે તો આવા સનસનીખેજ સમાચાર પૂરું અઠવાડિયું ખેંચી શકે.
            સૌપ્રથમ તો રહસ્ય એ છે કે સસરાજીએ સાંકડી શેરી શા માટે પસંદ કરી? શું કોઈ સસરાજીને પાછળ પડ્યું હતું? પાછળ પાડનાર સાસુજી તો નહતા ને? સસરોજી શું આ રીતે પતલી ગલીસે નિકલ જાના ચાહતે થે? સાંકડી શેરી જેવો શોર્ટકટ જીવન માટે ખતરનાક છે એ શું સસરાને ખબર નથી? કે પછી સસરો ખુદ ખતરનાક છે કે પછી સાસુજી? શું અહીં સસરો CIACIACCIAનો એજન્ટ છે કે એલ.આઈ.સી.નો !  કોઇપણ શખ્સને ઝડપવો હોય તો CIAના એજન્ટ કરતાય એલ.આઈ.સી.ના એજન્ટ વધુ કાબેલ હોય છે. તેઓ ધારે તે શખ્સને પકડી તેનો વીમો ઉતારી નાખે છે.
             બીજું રહસ્ય એ છે કે સાંકડી શેરીમાં સસરોજી કોને મળે છે જમાઈને? જો હા તો શા માટે? ગહન ચિંતનને અંતે અમે એક એવાં તારણ પર આવીએ છીએ કે જમાઈએ જરૂર સસરા પાસેથી નાણા ઉછીના લીધા હોવા જોઈએ અને મુદત વીત્યાં પછી જમાઈ પાસેથી નાણાને બદલે નવી નવી તારીખો જ મળે છે. એટલે છેવટે સસરો ડેટિંગ કરી કરીને થાક્યો હશે. બીજો કોઈ હોય તો સસરોજી ભર બજારે અવળા હાથની બે ઠોકી દે. પણ આ તો જમાઈરાજ. એટલે સાપે છછુંદર ગળી. જમાઈની બોચી પકડાય નહિ. જમાઈને ધોલ-ધપાટ કરાય નહિ. વળી જમાઈ પાસે જાહેરમાં ઉઘરાણી કરાય નહિ. આવી મજબુરીને કારણે જે સસરાએ સાંકડી શેરી પસંદ કરી હશે. કારણ કે નાણાને બદલે ફક્ત તારીખો જ આપનાર જમાઈએ હવે મેઈનબજારમાં આવેલી સસરાની દુકાન પાસેથી નીકળવાનું બંધ કરી રસ્તો બદલી નાંખ્યો છે. અને હવે દરરોજ તે પાછળની સાંકડી શેરીમાંથી સરકી જાય છે. એટલે સસરાજીએ સાંકડી શેરીમાં જ જમાઈને ઝડપી લેવાંનો કારસો રચ્યો હશે.
વળી, આ ગીતની પંક્તિમાં આવે છે કે ...
સાંકડી શેરીમાં મારા સસરોજી મળ્યા,
મને લાજુ કાઢ્યાની ઘણી હામ રે...
એટલે અહીં સસરો સાંકડી શેરી અને લાજ કાઢવાની હામ એ ત્રણે બાબતો પરથી સાબિત થાય છે કે સસરા ઉઘરાણી અર્થે જમાઈને આંતરે છે. જયારે જમાઈએ અત્યાર સુધી લાજ નેવે મૂકી હતી. પણ હવે સસરોજી ભટકાઈ જ ગયા છે તો જમાઈરાજને લાજ કાઢવાની ઘણી હામ છે. પણ અહીં સસરોજી એવી તક આપતા નથી. છતાં સસરાનું માનવું છે કે જો શાંતિથી પતિ જતું હોય તો બબાલ ન કરવી.
         પણ જો સસરો સાંકડી શેરીમાં વહુને સામે મળ્યો હોય તો આ બાબત ઘણી સૂચક છે. તેને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. કારણ કે સસરો આ રીતે વહુને સાંકડી શેરીમાં મળે છે તો પછી ઘેર સાસુ શું કરે છે? આનો અર્થ એ છે કે સસરો સાસુના કહ્યામાં નથી. વળી બીજી તકલીફ એ છે કે આ બાબતે સાસુજી છાપાંમાં જાહેરાત પણ આપી શકતા નથી કે અમારા પતિ વખતચંદ હરદાસ અમારા કહ્યામાં નથી. કારણ કે એમાં તો સસરા કરતા આબરુ સાસુની જ જાય. સાસુની સખીઓ કહેશે અલી મંછા, તું તૈણ દોકડાના તારા પતિનેય કહ્યામાં ન રાખી શકી? તે જિંદગીમાં કર્યુ શું? ફટ છે તેને ! આ જો અમારા હસબન્ડ. ક્લાસ વન ઓફિસર છે ઓફિસમાં બધા તેનાથી ધ્રુજે છે પણ ઘેર પોતે ધ્રુજે છે. અમારી આંગળીના ટેરવે કથ્થક કરે છે. અમારી જીભ વળે ને એમનું ડીલ વળે.
             વળી પ્રશ્ન એ થાય કે રખડતા આખલાની જેમ સાંકડી શેરીમાં સસરોજી સામે મળતા હોય તો વહુએ શેરી શા માટે ન બદલી? વળી ગીતની આગળની પંક્તિમાં વહુ કહે છે કે સાંકડી શેરીમાં મારા જેઠજી મળ્યા મને ઝીણું બોલ્યાની ઘણી હામ રે એટલે બાપ તેવા બેટા. અહીં જેઠ પણ પૂજ્ય બાપુજીને પગલે જ ચાલે છે.  જયારે સસરોજી ન હોય ત્યારે તક મળ્યે શેરીમાં આંટા ફેરા મારે છે જેઠના આ કારસ્તાનની જેઠાણીને જાણ નથી. વહુ કોઈ અકળ કારણોસર ચૂપ છે. નહિ તો તેને ‘જેઠના મુદ્દે યોગ્ય કરવા વિંનતી’. એવી દેરાણીની એપ્લીકેશન ધ્યાનમાં લઈને જેઠાણી ખુદ જો જેઠને સાંકડી શેરીમાં સામે મળી જાય તો આજની ઘડી અને કાલનો દી જેઠ શેરી જ ભૂલી જાય. જો કે પછી તે શેરી છોડીને ચૌટા બજાર તરફ ન વળી જાય તેનું ધ્યાન રાખવું પડે.
               કદાચ કોઈ રાજકીય, સામાજિક કે કૌટુંબિક પ્રેસર દ્વારા વહુના મુખેથી ‘મને ઝીણું બોલ્યાની ઘણી હામ રે’ એવું નિવેદન કરાવામાં આવતું હોય એમ પણ બને. બાકી ખરેખર તો વહુ તેના જેઠ અને સસરાને સાંકડી શેરીમાં નહિ પણ ભર બજારે જાડું બોલીને ઝાટકી નાખવા માંગતી હોય એમ પણ હોઈ શકે. રાજકારણમાં આવું ઘણીવાર બને છે. અમુક નાના નેતાઓને પોતાનો મુખ્ય નેતા જરાય ન ગમતો હોય છતાં જાહેરમાં તેને પ્રસંશાના પુષ્પો ચડાવવા જ પડે. કારણ કે એમ ન કરે અને ક્યારેક સાંકડી શેરીમાં સાહેબ મળી જાય તો પછી ઝીણું બોલવાની હામ પણ નથી રહેતી. આવી જ સ્થિતિ કદાચ વહુની હોઈ શકે. તેથી જ ઝીણું બોલવાનો મુદ્દો ઝીણવટભરી તપાસ માગી લે એવો છે.
         જેમ ગામ હોય ત્યાં ઉકરડો હોય તેમ શેરી હોય ત્યાં સસરો તો હોય જ. અને સસરો કદી સામે મળ્યા વગર રહે જ નહિ. સામે મળ્યો એટલે સખણો રહે નહિ. એટલે વહુએ વારંવાર આ વિકટ સમસ્યાનો સામનો કરવો પડે છે. સાંકડી શેરીને કારણે જ કેટલીય વહુઓએ પોતાનાં સસરા અને જેઠથી જુદા રહેવાનો નિર્ધાર કર્યો હોય છે. કારણ કે સસરો ઘરમાં તો મર્યાદા પુરુષોત્તમ લાગતો હોય છે. પણ તેના અસ્સલ લક્ષણો શેરીમાં જ પ્રગટ થાય છે. ટૂંકમાં ઘરમે રામ ગલીમે શ્યામ આ રીતે વહુ દીકરો જયારે જુદા રહેવા જાય છે. ત્યારે લોકોને વહુમાં જ વાંક દેખાય છે. એમને ક્યાં ખબર છે કે પેલી સાંકડી શેરીમાં સસરો સીટીબસની જેમ આંટા ફેરા મારે છે. અને જેઠ પ્રેતાત્માની જેમ ભટકી રહ્યો છે. જે રીતે સાંકડી શેરીઓમાં ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવો જોઈએ એ રીતે સાંકડી શેરીમાં સસરા અને જેઠ પર પણ પ્રતિબંધ મુકવો જોઈએ. અથવા જો નીકળવું હોય તો જેઠાણી સાસુને સાથે લઈને જ નીકળવું એવો કડક આદેશ કરવો જોઈએ.
          સાંકડી શેરી એ ટાઉન પ્લાનીંગની દૂરંદેશિતાનો અભાવ દર્શાવે છે. કારણ કે જો શેરી પહોળી હોત તો સસરો કે જેઠ વહુને ગમે તેટલી વાર સામો મળે તો પણ વહુ તેનાથી સુરક્ષિત અંતર રાખીને નીકળી શકતી હોત. પછી તેને ઝીણું કે જાડું કોઈ બોલવાની જરૂર રહેત નહિ. પણ ટાઉન પ્લાનીંગ વાળાએ આ સસરો વહુ વાળી સમસ્યા પર કોઈ ધ્યાન આપ્યું નહિ. એજ રીતે સાંકડી શેરીમાં આર્થિક સંકળામણ વાળાને કોઈ લેણદાર મળી જાય, પોલીસને ચકમો આપીને નાસી છુટેલા આરોપીને ક્યારેક જમાદાર સામે મળી જાય, પતિદેવ કોઈ પડોશણ સાથે બે ઘડી પડોશી ધર્મ બજાવવા નીકળ્યા હોય અને સાંકડી શેરીમાં ધર્મપત્ની મળી જાય, તબિયત ખૂબ જ ખરાબ છે એવાં બહાના હેઠળ ઓફિસમાંથી ગુટલી મારી સાંકડી શેરીમાં ભેળ પૂરી ખાતા કર્મચારીને સાહેબ સામે મળી જાય. ત્યારે એવાં લોકોની હાલત ઘણી કરુણ બની જાય છે. આમ સાંકડી શેરીમાં ટ્રાફિક સિવાયની બીજી ઘણી સમસ્યાઓ સર્જાય છે.
ગીતમાં સસરો તો માત્ર પ્રતિક છે. ખરેખર તો સસરાના માધ્યમ દ્વારા કવિએ ટાઉન પ્લાનીંગવાળાને ટપાર્યા છે.     
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

Saturday, 6 September 2014

હાથી ઉપર બાવો !


તા : ૧૫/૬/૨૦૧૧
હમણાં એક ત્રીજુ ધોરણ પાસ કરીને ઉપર ચડાવ્યાની નોંધ વિના જ ચોથા ધોરણમાં પ્રવેશેલા બાળકના ગુજરાતી વિષયમાં સારા ગુણ જોઈને મેં પૂછ્યું, ગુજરાતીમાં કયો નિબંધ પુછાયો હતો?

બાળકે કહ્યું, હાથી
એટલે મેં આગળ પૂછ્યું, હાથી વિશે તેં શું લખ્યું હતું તે કહીશ?
બાળક તેજસ્વી હતો. તે તરત જ નિબંધ બોલવા લાગ્યો, હાથી મોટું પ્રાણી છે. હાથીને ચાર પગ હોય છે, હાથીને લાંબી સૂંઢ હોય છે. હાથી ઉપર બાવો હોય છે.

આ છેલ્લું વાક્ય મને સ્પર્શી ગયું. નિબંધમાં તેની મૌલિકતા જોઈને હું ખુશ થઇ ગયો અને મને વિચાર આવ્યો કે ખરેખર આપણા નસીબમાં એ નથી કે હાથી ઉપર રાજા જોવા મળે. હવે તો હાથી પર અંબાડી પણ જોવા મળતી નથી. આપણને તો હવે હાથી પર બાવો જોવા મળે છે.
        સુરત જેવા મોટા શહેરોની ગલીઓમાં બાવાઓ હાથી ઉપર સવાર થઇને પહોંચી જાય છે અને હાથી પાસે રૂપિયા, બે રૂપિયા, પાંચ રૂપિયાની ભીખ મંગાવે છે. જો રૂપિયો બે રૂપિયા માગવા હોય તો બાવો એકલો નીકળે તો ય પતી જાય. યા તો સાથે કોઈ વાંદરું કુતરું જેવા વાજબી પ્રાણીનો ઉપયોગ કરી શકાય. લોટનો ડબ્બો લઇ જવાં માટે સાયકલ કે સ્કૂટરનો ઉપયોગ કરાય, તેના માટે બુલડોઝર ન વપરાય. જો કે ભીખ માગવા માટે તો વાંદરા, કૂતરાનો ય શા માટે દુરૂપયોગ કરવો જોઈએ. પ્રાણીઓને તો ભીખ માંગવાની ટેવ જ નથી હોતી. તમે ક્યારેય જોયું કે વાંદરી કે બિલાડી ક્યારેય રૂપિયા માગવા નીકળી હોય. એ લોકોને એ ફાવે જ નહીં. વળી, એમના સમાજમાં બાવાઓ પણ નથી. એમને તો માગવું એ મરવા બરાબર લાગે. પણ તેને વાચા ન હોવાથી તેઓ લાગણીઓ વ્યક્ત કરી શક્તા નથી. બાકી કાંઈ રૂપિયા બે રૂપિયાની ભીખ માગવા માટે આખે આખો હાથી ન વેડફી નખાય. હાથીનો આનાથી મોટો દુરુપયોગ બીજો કયો ! હાથીએ આમાં શું સમજવું?

એક સમય હતો કે જ્યારે પોરસ જેવા મહાન સમ્રાટો હાથી પર સવાર થઈને સિકંદર જેવા શહેનશાહ સામે ભીષણ યુદ્ધ લડતા અને આજે એ જ હાથી પાસે ન કરવાનું કરાવાય છે. શું સમય આવ્યો છે ! અલબત્ત, હાથીઓનો. બાવાઓને તો હાથી જેવું જનાવર હાથ લાગવાથી એમને તો જમાનો આવ્યો છે. હાથીવાળા બાવાઓની તો સ્પેશયલ નોંધ લેવાય છે. પણ ઉપર બાવો બેઠો હોય એવી હાલતમાં હાથીને હાથણી જોઈ જાય તો હાથીની ઇજ્જતનો તો ફાલુદો જ થઇ જાય ને. ધારો કે આપણે મોટા ઓફિસર, શેઠ કે શાહુકાર છીએ એવો સિક્કો આપણી પ્રિયા સામે જમાવ્યો હોય અને એ પ્રિયા કોઈ વાર એકાએક ટ્રેનમાંથી ઊતરે ત્યારે રેલવે સ્ટેશને આપણે લાલ ખમીસ પહેરીને સામાન ચડાવતા હોઈએ અને તે દ્રશ્ય પ્રિયા પોતાની આંખમાં આંજી લે તો આપણી તો પથારી જ ફરી જાયને ! બસ એવી જ દશા હાથણીની થાય.      
        વળી, બાવાઓની હૈસિયત પણ કેટલી? હાથી પાસે શું મગાવાય તેનુંય તેને ભાન નથી. હાથી જેવો હાથી હાથ લાગ્યો છે તો પછી કમ સે કમ પાંચસોની નોટથી જ શરૂઆત કરાય. રૂપિયા બે રૂપિયા માટે હાથી પાસે ઘૂંટણિયાના વળાવાય કે ચિંધાડ ના મરાવાય. (સિંહ ગર્જે, હાથી ચિંઘાડે એટલે વોઇસ ઓફ હાથી, ઓરિજિનલ.) એ તો વાંદરાનો વ્યાયામ હાથી પાસે કરાવ્યો કહેવાય. સમશેરથી શાકભાજી ન સમરાય કે ડબ્બાના જામ થઇ ગયેલા ઢાંકણ ન ખોલાય. વળી, આમ જૂઓ તો આપણે હાથીને ગણપતિદાદાનું સ્વરૂપ માનીએ છીએ. એટલે તો બાવાઓ પણ બાવાહિંદીમાં આપણને કહે છે, દેખ બચ્ચાં, યે ગનપતિદાદા હય. ઇસકુ પરનામ કરો બચ્ચાં. વળી, બાવાઓના મુખેથી સંભળાતું સૌથી ખરાબ સંબોધન છે બચ્ચાં તેના બાપ જેવડાને ય સાલાઓ બચ્ચાં કહીને સંબોધે છે. આપણને કહેવાનું મન થાય કે અરે બાવાલાલ, તને ખબર છે કે આ ગણપતિદાદા છે તો પછી ભીખ મંગાવવા શા માટે નીકળ્યો છે. પણ બાવા કોને કહ્યા છે ! બાવાઓ ભીખ માંગે યા તો મંગાવે.
આવી રીતે જ્યારે જ્યારે હું બાવો વીથ હાથી જોઉ ત્યારે  વિચાર આવે કે તેના પર ચડી બેસીને કનડગત કરતાં બાવાને હાથી ટાટીયો ઝાલીને ફગાવી દેતો કેમ નથી. એકવાર જો બાવાને બોચીએથી પકડીને ઉછાળે તો જીવનભરનું સુખ થઇ જાય. પણ સવાલ છે પ્રેરણાનો. હાથીને આવી બાવા-વિસર્જનની પ્રેરણા આપે કોણ?! બાકી તો જંગલના રાજા સિંહ જેવો સિંહ પણ એકલો હોય ત્યારે હાથીને અડપલું કરવાની હિંમત નથી કરતો અને આ બાવાઓ સાલ્લા હાથીનો હાથલારીની જેમ ઉપયોગ કરે છે. હાથીઓ પણ ભારતની જનતા જેવા બની ગયા છે. હાથી કરતાં અનેકગણી શક્તિશાળી આ દેશની જનતાની માથે ચડી બેઠેલા ઝાભ્ભાઓને ય ફેંકી દેવાનું તેને ક્યાં સુઝે છે? તેઓ જનતાને જ્યાં દોરી જાય ત્યાં દોરાય છે અને જનતા પોતાના હક્કને ય ભીખારીની જેમ માગે છે. બાકી જો આખા દેશની જનતા એક સાથે ખોંખારો ખાય તો ય બધાના ધોતિયા ઢીલા થઇ જાય.
હાથીમાં શક્તિ ઘણી છે. પણ તેને પોતાને શક્તિનો કોની સામે કંઈ રીતે ઉપયોગ કરવો તેનો ખ્યાલ નથી. નહિ તો તે બાવા પાસે પોતાની શક્તિ મુજબની ભક્તિ કરાવી શકે. તેથી જ અહીં એક વાત યાદ આવે છે કે એક છકી ગયેલો સિંહ ભયંકર ગર્જનાઓ કરતો આખું જંગલ ધ્રુજાવતો નીકળી પડ્યો. સામે વરુ મળ્યું. તરત જ સિંહ વધુ એક ગર્જના કરીને પૂછ્યું, બોલ એ લબાળ, જંગલનો રાજા કોણ?
        વરુએ ધ્રુજતા સ્વરે જવાબ આપ્યો, એ તો બાપુ તમે જ ! તમારા સિવાય રાજા બીજો કોણ હોઈ શકે! વરુના શબ્દો સાંભળી સિંહના વોલ્ટેજ વધ્યા. પછી તો તેણે સસલાં, શિયાળ, ઝરખ, ચિત્તા, દીપડા બધાને આવી તોછડાઈથી પૂછ્યું અને બધાએ ધ્રુજતા, ડરતાં, ફફડતાં એક જ જવાબ આપ્યો, રાજા તો બાપુ તમે જ! બાકી કોની માએ સવાશેર સૂઠ ખાધી છે કે આ જંગલનો રાજા થાય. હવે સિંહને જમાના હમસે હૈ, હમ જમાને સે નહીં વાળો કેફ ચડી ગયો. એ કેફમાં જ આગળ ચાલ્યો ત્યાં સામે પહાડ જેવો મદમસ્ત ગજરાજ પોતાની મસ્તીમાં ચાલ્યો આવે. તેણે તો સિંહરાજાની નોંધ પણ ન લીધી. એટલે સિંહ ફરીથી બે-ચાર બિનજરૂરી ગર્જના કરી બોલ્યો, બોલ બે લબાડ! જંગલનો રાજા કોણ હેં? વાક્ય પૂરું થતાં જ હાથીએ સિંહને બોચીમાંથી પકડ્યો પછી હવામાં બે-ચાર હિંચકા ખવડાવી એવો ફગાવ્યો કે સિંહરાજા છેક બાઉન્ડ્રીની બહાર જઈને પડ્યો. પછી હાથી તો તરત જ ઝાડ પાનનો નાસ્તો કરવા લાગ્યો.  સિંહનો પારો છેક તળિયે સ્પર્શી ગયો.  અડધો કલાક પછી મંદ સ્વરે બોલ્યો, અલ્યા ખબર ન હોય તો ના કહી દેવાય. પણ આવું કરાય?
        આપણે ત્યાં કહેવત છે કે હાથી જીવતો લાખનો, મર્યા પછી સવાલાખનો (કહેવત જુના ભાવ પ્રમાણે છે.) આ ફક્ત કહેવત નથી હકીકત છે એટલે તો પેલા મૂછાળ વિરપ્પને કેટલાય હાથીઓને સવા લાખના કરી નાખ્યા. પણ આ બાવાઓએ તો હાથીને જીવતાં જ કોડીનો કરી નાખ્યો છે. પ્રાથમિક શાળામાં જ્યારે જેમને જોઈને હાથણીની યાદ તાજી થાય એવાં શિક્ષિકાબહેન નિબંધમાળામાંથી અક્ષરશ: હાથી નિબંધ લખાવતા. (આ નિબંધ લખાવવાની પરંપરા પણ હાથી જેટલી જ જૂની છે.) ત્યારે હાથી જોવા મન આતુર હતું. વળી, હાથીના પરાક્રમો વાંચ્યા સાંભળ્યા પછી અમારી હાથીદર્શનની મહેચ્છા વધી ગઈ. પણ પ્રથમવાર જ્યારે બાવાને હાથી હંકારતો જોયો ત્યારે હાથી પરથી માન ઊતરી ગયું. હાથી વિશેય શંકા જાગે કે હાથી તે આવો હોય. આ રીતે તો એક બકરીને ય દોરી જઈ શકાતી નથી. હાથી જેવા હાથીની આટલી બધી નિષ્ક્રિયતા. બાવાઓ હાથીનો આમ બાજારુ ઉપયોગ કરે એ આપણા જેવા હાથીપ્રેમીઓથી કેમ જોવાય. આમાં તો ખરેખર હાથી બાવો થયો ગણાય. બાકીતો બાવાઓ જાહેરમાં વૈરાગી અને ખાનગીમાં બહુરાગી હોય છે. ગુરુ કી કૃપાસે.
        કારણ એટલું જ કે હાથીના મનમાં પણ ભારતની પ્રજા જેમ જ એક વાત ઊતરી ગઈ છે કે આપણાથી હવે બાવા સામે કશું જ ન થઇ શકે. આમ થવાનું કારણ એટલું જ કે હાથીને પોતાને શક્તિનું ભાન નથી. જો હાથીને એટલું ભાન થઇ જાય તો બાવો હંમેશા હાથીથી સો મીટર જેટલું સુરક્ષિત અંતર રાખે. ભારત દેશની જનતાનું પણ હાથી જેવું જ છે તેણે પોતાની શક્તિનું ભાન નથી. બાકી જૂઓ અન્નાજી એ એક કદમ આગળ માંડ્યું ત્યાં જ જનતા પર ચડી બેઠેલા ઝભ્ભાઓની ઊંઘ હરામ થઇ ગઈ. માટે હાથી અને ભારતને જનતાએ  જાગી જવાની જરૂર છે. આ બાજુ અન્નાજીએ ભ્રષ્ટાચાર સામે આંદોલન છેડ્યું તો ત્યાં પણ બાવા પહોંચી ગયા છે અને તેઓ તર્કટાસન કરી રહ્યા છે. (તર્કટાસન એટલે તક મુજબ કરવામાં આવતું તરકટ) એટલે હાથીઓ અને ભારતની જનતાએ બાવાઓથી ચેતવા જેવું છે. અન્નાજીએ પણ ચેતવા જેવું છે નહીં તો તેમની દશા હાથી જેવી થઇ જશે.

ગરમાગરમ :
એક ઓળખીતા સજ્જન મળ્યા, શરીરે એકદમ સુકલકડી છે. મને કહે, બ્લડ ડોનેટ કરી આવ્યો.
તમારા શરીરમાં તો એટલું લોહી જણાતું નથી, શા માટે રક્તદાન કર્યુ? મેં તેમને ઠપકાભર્યા સ્વરે સવાલ કર્યો. એટલે સજ્જન ફિક્કું હસીને બોલ્યા, રૂપિયા પચાસ હજારનું ડોનેશન આપી પોત્રને કે.જી.માં માંડ દાખલ કર્યો, લોહીનું પાણી કરીને બચાવેલ રૂપિયા એ સ્કુલને બાળ્યા.
-વિનોદ ભટ્ટ (સોટી વાગે ચમચમમાંથી)
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

Monday, 23 June 2014

આ તે ‘કસુંબીનો રંગ’ કે મોસંબીનો રસ !

કંઈક પાંચેક વર્ષ પહેલાં કોઈ એક ગુજરાતી સાહિત્ય વર્તુળના એક મોટા કાર્યક્રમમાં મેઘાણી સાહેબનું હો રાજ માને લાગ્યો કસુંબીનો રંગ સાંભળ્યું ત્યારે રુંવાડા ખડા થવાને બદલે ખરી પડવાની અણી પર આવી ગયા. કારણ કે કંઠ અને કલાકાર બંને બેજોડ હતા.
            તે દિવસે સવારના નવથી બપોરના સાડા અગિયાર સુધી મૂર્ધન્ય સાહિત્યકારોએ વિવિધ વિષય પર પ્રવચનોનો ધોધ વહાવ્યો. પછી અડધો કલાક વધ્યો. કારણકે સાડા અગિયારે તો દીવાલ કુદીને રસોડામાં ખાબકીએ તો પણ બાર વાગ્યા પહેલાં જમવાનું મળે તેમ નહોતું. આમ તો જો કે સાહિત્યના કાર્યક્રમોમાં ક્યારેય સમય વધતો નથી પણ વક્તાઓ વધે છે. અહીં અડધો કલાકમાં પણ એવું જ હતું. કારણ કે જેમને અગાઉથી કહેવામાં આવ્યું નથી એવાં કોઇપણ સાહિત્યકારને જો અડધા કલાકનું દાન કરવામાં આવે તો આખા સાહિત્યવર્તુળમાં ખળભળાટ મચી જાય. તેની લમણાઝીક લગભગ અડધો વરસ ચાલે. અને સાહિત્યસર્જન આડા માર્ગે ફંટાઈ જાય એ અડધો કલાક માટે સાહિત્યકારો કલાકોની મહેનત કરી સાહીત્યિક મેગેઝીનોમાં અનેકાનેક લેખો લખે. એ લેખો સામે વળતો પ્રહાર થાય. અલબત લેખો સ્વરૂપે જ. લેખો સામે લાકડીઓ વાપરવાની પરંપરા હજુ સાહિત્યિક વર્તુળોમાં શરૂ થઇ નથી. જો ખરેખર એમ થાય તો જ કંઈક નક્કર પરિણામો સાંપડે. પણ મૂર્ધન્ય સાહિત્યકારો સાહિત્યને નવી જ દિશા આપનારું વાતાવરણ સર્જવા ઈચ્છાતા નથી. તેથી સાહિત્યમાં લાગણીઓ વ્યક્ત કરવા હજુ સુધી લાકડીઓ અજમાવવામાં આવી નથી. તેથી કોઈને મન દુઃખ ન થાય એ માટે તેમણે શ્રોતાઓને કસુંબીનો રંગ પાવાનું નક્કી કર્યુ. એમ તો આનો વિકલ્પ પણ ખુલ્લો જ હતો. પણ અત્યારે કોઈ ચા પીશે નહિ એવી અનુભવી સાહિત્યકારોને ખાતરી હતી. કારણ કે ચા પીવાથી ભૂખ ભાગી જાય અને બાસુંદીને ધાર્યો ન્યાય ન આપી શકાય બાસુંદી પહેલાં કસુંબી પાવાનું નક્કી થયું.
             પ્રવચનનો છેલ્લો પ્રહાર પતિ ગયા પછી પ્રવક્તાએ કહ્યું કે હવે ફલાણાભાઈ તેમના અષાઢી મેઘ જેવાં કંઠે મેઘાણી સાહેબની હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કૃતિ રજૂ કરશે. અષાઢી મેઘ જેવો કંઠ’ શબ્દો સાંભળીને અમે ખુરશીમાં જરા ટટ્ટાર થયાં. એટલામાં જ જેમ રેલવે સ્ટેશન પર મુસાફર હાથમાં બેગ લઈને ટાઈમ કરતા એક કલાક વહેલો આવે એવી નિરાંતથી ગાયક હાર્મોનિયમની પેટી લઈને નિરાંતે પ્રવેશ્યો. અષાઢી મેઘની વાત કરી હતી એટલે અમે ધાર્યું કે ગાયક પણ અષાઢી મોર જેવો જ થનગનતો હશે. પણ એ તો પ્રાણીસંગ્રહાલયમાં પૂરેલા મોર જેવો જણાયો. શ્રોતાઓના ચહેરા પર ભલે ભોજન વિષાદ યોગ છવાઈ ગયો હોય પણ મંચસ્થ થનાર વ્યક્તિએ તો તેની સામે તો હસવું જ પડે. તેથી જેમ તાજા વિવાહ કરેલા યુવાન જેમ તેના બ્રાન્ડ ન્યુ સસરા સામે હસે તેમ મર્યાદા પુરુષોત્તમ જેવું મંદ મંદ હસીને સૌને નમસ્કાર કર્યા. તેના મંદ મંદ હાસ્યથી અમને તેના મંદવાડનો અણસાર આવ્યો. જાણે એવું લાગતું હતું કે કોઈ લાંબી બીમારીમાંથી બેઠો થયો હોય.
             ઉસ્તાદ સિતારવાદકો જે રીતે ક્લાસિકલ પલાંઠી મારે છે. એવી પલાંઠી વાળીને પોતાનાં દેહના જમણા હિસ્સા તરફ જે રીતે પુરુષોત્તમ ઉપાધ્યાય (ના, દુધની ડેરીવાળા નહિ) અને ગુલામઅલી હાર્મોનિયમ ગોઠવે છે એ રીતે હાર્મોનિયમ ગોઠવી જરા કડક થયો. પછી તેમણે ગળું સાફ કરવાં કે પછી માઈક સાફ કરવા બે-ચાર સાહિત્યિક ખોંખારા ખાધા અને એકાદ બે ફૂંક મારી જેની શ્રોતાઓ પર ધારી અસર થઇ. બધા એક કાન થયાં શ્રોતાઓ સ્વરોત્સુક છે તે જાણી ગાયક ખુશ થયો એ તો પછી ખ્યાલ આવ્યો કે ભોજનાલય તરફ થાળીઓના ખખડાટનો મધુર અને ઉત્તેજક ધ્વની શ્રોતાઓના કાને પડ્યો હતો. તેથી બધા બાસુંદીનું આકંઠ પાન કરવા ઉત્સુક હતા. આમ શ્રોતાઓ સ્વરોત્સુક નહિ પણ સ્વાદોત્સુક હતા. ભૂખ્યાઓને તો સ્વાદમાંજ સાતે સાત સ્વર સંભળાય. આમ પેલી બાજુ થાળીઓનો કર્ણપ્રિય ખખડાટ અને આ બાજુ હાર્મોનિયમના સ્વરો હવામાં ગુંજવા લાગ્યા. આમ કેટલીકવાર વાસણ ખખડે તો ય તેમાં મધુર સ્વર સંભળાય. પછી ગાયકે હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ શ્રોતાઓ પર વહેતું મૂક્યું. આમ તો આ રચનાને ન્યાય આપવા માટે પહાડી સ્વર જોઈએ પણ અહી પીપૂડી જેવો સ્વર હતો. તેથી તે ગાતો હતો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ અને લાગતું હતું. પંખીડાને આ પીંજરું જૂનું લાગે અહીં શબ્દો અને સ્વર વચ્ચે અણબનાવ હોય એવું  લાગતું હતું પણ સ્વરમાં ધ્રુજારી જો તલત મહેમૂદ ના સ્વર જેવી હોય તો ગમે પણ અહીં તો મલેરિયાના દર્દીને ટાઢ ચડી હોય એવી હતી. બાકી તો મેઘાણી સાહેબ રચિત શિવાજીનું હાલરડું અને કસુંબીનો રંગ તો એવી રીતે રજૂ થવા જોઈએ  કે જે શ્રોતા મ્યુઝીયમમાં તલવાર જોતા ડરતો હોય તે પણ હાથમાં તલવાર લઈને લડવા ઊભો થઇ જાય.
         શરૂઆતની એકાદ પંક્તિ પછી તેને લાગ્યું કે જોઈએ તેવી જમાવટ થઇ નથી. તેથી જરા તે વધુ ઊંચો થયો. અને સ્વરને ઉંચે ચડાવવાની કોશિશ કરી. ગાયકના આવા કંઠના કામણથી શ્રોતાઓના ચહેરા પર જે શૌર્યની ચમક દેખાવી જોઈએ ત્યાં કરુણાના ભાવ જાગ્યા. જો કે તેમાં બે કારણો હતા. એક તો ગીતની દર્દભરી રજૂઆત અને બીજું મધ્યાહન ભોજન. કારણ કે હાજરા-હજુર શ્રોતાઓમાંથી એંસી ટકા શ્રોતાઓનો આત્મા ભોજનાલયમાં અને ફક્ત ખોળિયા અહીં હતા. આપણે સૌ જાણીએ છીએ કે એકવાર શરીરમાંથી નીકળી ગયેલા આત્માને પાછો લાવવો શક્ય નથી. પછી ભલે તે જીવ શિવમાં મળી ગયો હોય કે શ્રીખંડમાં. ત્યાંથી પાછો ન આવે. એટલે બાકીના જે વીસ ટકા રસિકજનો હતા. તેમાંથી પાંચ ટકાનો જઠરાગ્ની તો બુઝાઈને રાખ થઇ ગયો હતો. તેથી તેઓ ભોજન પ્રત્યે ભારોભાર ઉદાસ હતા. વળી ભોજન પ્રત્યે ઉદાસ હોય તે ભજન પ્રત્યે ઉત્સાહી હોય જ એવું બનતું નથી. તેથી બાકી રહેલા પંદર ટકાનું અવલોકન કરી ગાયકે તારણ કાઢવાનું હતું કે હવે બીજીવાર આ પ્રકારના શ્રોતાઓ સામે કસુંબીનો રંગ રજૂ કરવો કે ભણે શિવાનંદ સ્વામી વાળી આરતી!
         હવે ગાયક લગભગ અડધી મજલ કાપી ચૂક્યો હતો. ત્યાંજ તેને અટકાવી વચ્ચે એક જાહેરાત કરવામાં આવી કે આજના ભોજનનો સમય બારને બદલે સાડા બાર વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ સાંભળી ગાયકને થયું કે ચાલો પુરતો સમય મળ્યો છે તો મેઘાણી સાહેબની એકાદ કૃતિ વધારે રજૂ કરી શકાશે. પણ શ્રોતાઓના અંતરાત્માઓ ભોજનને વિક્ષેપ કરતી જાહેરાત સાંખી શક્યા નહિ. તેથી તેઓ બાસુંદી માટે લગભગ બળવા ની અણી પર આવી ગયા અને હો...હા મચાવી દીધી. ગાયકે એ ઘોંઘાટને ખાળવા સ્વરને બુલંદ બનાવ્યો પણ સ્વર હવામાં જ ઓગળી ગયો. અને ત્યાર પછીની થોડી જ ક્ષણોમાં ગાયક પોતે પણ હવામાં ઓગળી ગયો. આ બાજુ શ્રોતાઓ પોણા બાર વાગ્યે જ ઘટના સ્થળ છોડી ભોજન નામની ઘટનાને આકાર આપવા ધસી ગયા.
         મારી બાજુમાં જ બેઠેલા મિત્રે મને પૂછ્યું કસુંબીનો રંગ કેવો લાગ્યો? મેં પ્રતિ પ્રશ્ન કર્યો, આ તે કસુંબીનો રંગ કે મોસંબીનો રસ?         
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com



Sunday, 24 February 2013

કોઈ તમારા એક ગાલે પપ્પી કરે તો બીજો ગાલ ધરજો!


(શરદ પવારને ઝીંકી દેવામાં આવેલા થપ્પડની ગૂંજ હજુ શમી નાથી. કેન્દ્ર સરકારમાં મંત્રીપદ ભોગવતા શરદ પવારને થપ્પડ મારવી એ કઈ નાનુંસૂનું કામ ન કહેવાય. પેલા થપ્પડવીરનું જાહેર સન્માન કોઈએ નાથી કર્યું પણ તેવું થઇ શકે ખરું. સામાન્ય નાગરિકને તો હાથ એ જ હથિયાર. હજુ મંત્રીઓ કોઈ કાયદો લાવ્યા નાથી, બાકી તેઓ એવો કોઈ કાયદો લાવી શકે કે મંત્રીને મળવા આવનાર સૌના હાથ પીઠ પાછળ બાંધેલા હોવા જોઈએ. વીર થપ્પડમાર વિશે વધુ અહીં વાંચો.)

        આપણા નેતાઓ ચૂંટણી પ્રચાર માટે નીકળે ત્યારે ગાંધી બાપુને યાદ કરે છે. વળી, કોઈને ખુરશી પરથી પછાડી ત્યાં ચડી બેસવા માટે કરવામાં આવતા ઉધામા કે તિકડમને ગાંધી ચીંધ્યા રહે આંદોલન એવું નામ આપે છે. બાકી જો એમનો ભૂતકાળ તપાસો તો એમણે મોટા ભાગનું દાઉદ ચીંધ્યા માર્ગે જ કર્યું હોય છે, પણ નેતાઓ ખરે ટાણે જ ગાંધીજીને ભૂલી જાય છે. ગાંધીજીએ કહ્યું છે કે કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરજો પણ શરદજીએ તક ચૂકી ગયા. એટલે ગાંધી ચીંધ્યો માર્ગ ચૂકી ગયા. બાય ધ વે, ગાંધીજીના વખતના જે એક ગુલાબી મિજાજના નેતાએ કહ્યું હોત તો તે આમ હોત.... કોઈ તમારા એક ગાલે પપ્પી કરે તો બીજો ગાલ ધરજો. જો આમ કહ્યું હોત તો એ સોનેરી સુત્ર આજના યુવાનોમાં લોકપ્રિય હોત અને યુવાનો પ્રશ્ન હોત કે બંને ગાલ પતી ગયા પછી?! ખેર.... તમાચા પરથી પપ્પીની વાતોએ ચડી જવું યોગ્ય નથી. એટલે તમાચા પર આવીએ તો શરદજીને તમાચો મારનાર યુવાન સરદાર હરવિન્દરસિંઘ પોતે પણ ગાંધીજીની બીજો ગાલ ધરવા વાળી વાત ભૂલી ગયો, અને એણે યાગ્નિક કામ અધૂરું છોડી દીધું. શરદજી ત્યારે ભૂલી ગયા હોય તો સરદારજીએ તેમણે યાદ અપાવવું જોઈતું હતું. જો કે સરદારજીએ શરદજીને સાત પેઢી યાદ કરાવી જ. પણ મુખ્ય મુદ્દો ભૂલી ગયા એટલે કહેવા મુજબ પચાસ ટકા કામ થયું. કદાચ એ યુવાને બાકીનો પ્રોજેક્ટ ભવિષ્યમાં પુરો કરવાનું વિચાર્યું હોય અથવા પોતાનું અધૂરું કાર્ય બીજા યુવાને ઉપાડી લેશે એવી તેને શ્રધ્ધા હશે.

                પેલી સિંહ અને વાંદરા વાળી વાર્તા તો વાચકો જાણતા જ હશે. કહેવાય છે કે જંગલમાં કોઈ જાતની મોઘવારી નહોતી વધી, રંક પશુ-પંખીઓ ભૂખે મરતા ન હતા. છતાં વાંદરાએ (ગીનીસ બુકમાં નામ નોંધાવવાની લહાયમાં?) જંગલના રાજા સિંહને સોઈ-ઝાટકીને એક તમાચો ઠોકી દીધો, પછી ભાગ્યો, પાછળ સિંહ પડ્યો. બચવા માટે ભાગતો જતો હતો ત્યાં ક્યાંકથી તેને એક છાપુ મળી ગયું. તે મોંઢા આગળ રાખી બેસી ગયો. તરત જ ધૂઆંપૂઆં થતો સિંહ ત્યાં પહોંચ્યો અને પૂછ્યું અહીંથી કોઈ વાંદરાને દોડતો જતો જોયો?

વાંદરાએ પૂછ્યું પેલા સિંહને તમાચો મારીને ભાગ્યો તે?

           સિંહ ઝંખવાણો પડી ગયો અને બોલ્યો એટલી વારમાં છાપામાં આવી ગયું.? આમ સિંહને પોતાની આબરુના કાંકરા થઇ જતા લાગ્યા તેથી તે શરમનો માર્યો જંગલમાં અદ્રશ્ય થઇ ગયો. અહીં શરદજીના કિસ્સામાં પણ બધું છાપામાં અને ટીવીમાં આવી ગયું. આમ છતાં તેઓ સિંહની જેમ અદ્રશ્ય નહી થાય. હા, તેઓ ધારે તો બજારમાંથી ડૂંગળી અદ્રશ્ય કરી શકે અને આવા ખેલ તો જાદુ સમ્રાટ કે.લાલને પણ ન આવડે.

         તમાચાની ઘટનાથી વારંવાર ચર્ચવા માંડ્યું કે આમ આદમીની મોંઘવારી સામે ટકવાની કેટલી સહનશક્તિ બચી છે? આમ જુઓ તો લોકોમાં દયા જેવો છાંટો નથી. એમણે ક્યારેય તમાચો ખાનારની સહનશક્તિનો વિચાર કર્યો? આ મુદે જનતાએ શરદજીની પડખે રહેવું જોઈએ. કારણ કે એમણે અત્યાર સુધીમાં ફક્ત તમાચો નથી ખાધો પણ હવે શરદજી પોતે જ જનતાને પડખે રહેવા દેશે નહિ. એ કહેશે, સુરક્ષિત અંતર ઠેવા કેટલાંક વાહનોમાં લખ્યું હોય છે તમારું વાહન દશ ફૂટ દૂર રાખો આમ તો ચૂંટાયા પછી આપણા નેતાઓ જનતાથી ખાસ્સું અંતર રાખતા હોય છે.(જે કી.મી.માં માપી શકાતું નથી તેનો એકમ વોટછે.) શરદજી હવે જનતાને ઓછામાં ઓછી ચારેક ફૂટ તો દૂર રાખશે જ. અમારું માનવું છે કે જનતાના હાથ ચારેક ફૂટથી વધુ લાંબા હોતા નથી. ભલે એ આજાનબાહુ હોય. ટૂંકમાં જનતાના હાથ નેતાના હાથ જેટલા લાંબા હોતા નથી. ભગવાન શ્રીકૃષ્ણ સાંદીપની આશ્રમમાં ભણતાં ત્યારે ગુરુમાતાએ દૂધ ગરમ કરવા મુકેલું ત્યારે મોંઘવારી નહોતી એટલે દેગ ભરીને દૂધ પી શકતા અને ચૂલે તપેલીઓ નહિ દેગ મૂકાતી. જો કે એમ તો શરદજી ભયંકર મોંઘવારીમાં પણ જનતાને દૂધ પીતી તો કરી જ છે. એમાં પણ ઘણા નેતાઓનો ફાળો છે. એટલે એકલા શરદજીને જ યશ ન આપી દેવાય. આમ ચૂલે મુકેલી દેગમાંથી દૂધ ઉભરાયું એટલે બાળકૃષ્ણે છેક આશ્રમમાં અભ્યાસ કરતા હતા ત્યાંથી પોતાનાં હાથ લાંબા કરી સાણસી વગરજ ચૂલેથી દેગ ઊતારી લીધી. ગુરુમાતાએ  આ જોયું ત્યારથી જ તેને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સાધારણ વિદ્યાર્થી નથી. એ જ રીતે આ નેતાઓ પણ મુંબઈમાં બેઠા બેઠા દિલ્હીવાળાને ખુરશી પરથી ઉતારી શકે એટલાં તેમના હાથ લાંબા હોય છે. આમ છતાં તેને આજાનબાહુ ગણવામાં આવતા નથી.

            જો કે જનતાને ઓછામાં ઓછી ચારેક ફૂટ દૂર રાખે તોયે જુતાવાળા પ્રશ્નો તો નડે જ. કારણ કે ભૂતકાળમાં જ્યોર્જ બુશથી માંડીને ચિદંબરમ્ સુધીનાને જૂતાનો લાભ મળી ગયો છે. આ બાબતે એ નેતાશ્રીએ કેટલુંક વિચારવું જોઈએ. જો કે તેઓ અમારા જેવાં કલમધસુઓ કરતા ઘણું વધારે અને જુદું વિચારતા હોય છે.અને શરદજી જેવાં નેતાના લોકકલ્યાણના કાર્યો જોતા તેમણે એવું પણ વિચાર્યું હોય કે જનતાના પગમાં જુતા જ ન રહે તો પછી પ્રશ્ન જ ન રહે. ન રહેગા બાસ, ન બજેગી બાંસુરી. આ રીતે કહેવાય છે કે મોંમાંથી નીકળેલા શબ્દ કમાનમાંથી છૂટેલું તીર, અને ફેંકાયેલા જોડા આપણા નથી રહેતા. એકવાર છૂટ્યા પછી કર્તા તેનો ગુલામ હોય છે. આ રીતે એક વ્યક્તિએ એક નેતા પર સનનન કરતો જોડો ફેંક્યો, પછી તે જાહેરમાં રડવા લાગ્યો. એની આજુબાજુ પત્રકારો, ફોટોગ્રાફરો ભેગા થઇ ગયા અને પૂછવા લાગ્યા ભાઈ, તુ કેમ રડે છે?

                 પેલા માણસે કહ્યું, જુઓને આ નેતાએ મારા પગમાં જૂતા પણ ન રહેવા દીધા. પણ એટલું તો કબૂલ કરવું રહ્યું કે શરદજીએ આમજનતા સાથે નિકટતા કેળવી છે. નહિ તો અત્યાર સુધી જનતાએ દુરથી જ જૂતા ફેંકીને જ લાગણીઓ વ્યક્ત કરવી પડતી. જે હૃદયસ્પર્શી બનતી નહિ માટે શરદજી જનતાની નજીક ગયા કે પછી જનતા તેમની નજીક આવી. ગમ્મે તે હોય પણ અંતર ઘટ્યું એ તો કબૂલવું જ રહ્યું. આ રીતે જો નેતા અને જનતા વચ્ચે સતત અંતર ઘટતું રહે તો મોંઘવારી જરૂર ઘટે. પણ હવે જવાબદારી જનતાના શિરે છે. નેતા બિચારો એકલો કરી કરીને કેટલું કરે?!

            કહેવાય છે કે મોંઘવારીનું ચિત્ર અત્યાર સુધીના અર્થશાસ્ત્રીઓએ દોર્યું. કાર્ટૂનિસ્ટોએ દોર્યું, પ્રધાનોએ દોર્યું, પણ અર્થશાસ્ત્રીઓ, કાર્ટૂનિસ્ટો કે પ્રધાનોએ દોરેલું ચિત્ર માત્ર પ્રજાને જ સમજાતું. જયારે સરદાર હરવિન્દરે દોરેલું ચિત્ર એટલું સ્પષ્ટ છે કે તે પ્રજાની સાથોસાથ નેતાને પણ સમજાયું. સમજાવવાની આ રીત શૈક્ષણિક ગણી શકાય નહિ કે બિનશૈક્ષણીક! ચતુર કરો વિચાર, પણ હરવિન્દરના હાથનું શું? એક માણિક પ્રામાણિક અમને કહ્યું કે એમનો દીકરો મોટો પોલીસ ઓફિસર બનવા માગે છે તે જીવનભર ઈમાનદારી જાળવી શકે તે માટે હું હરવિન્દરને કહીશ કે મારા દીકરા પર હાથ મૂકીને આશીર્વાદ આપે જેથી તે પ્રમાણિક બની રહે. એણે ભ્રષ્ટ નેતાઓ જાહેરમાં તમાચો ઠોકતા અચકાય નહિ. આમ, આજે દેશમાં હરવિન્દરના હાથ જેટલો પવિત્ર હાથ બીજો કોઈ નથી. સામાન્ય રીતે એવું હોય છે કે પવિત્ર ચીજના સ્પર્શથી જ આપણે પાવન થઈએ પણ અહીં હરવિન્દરના કિસ્સામાં વિશિષ્ટતા એ છે કે અપવિત્ર પદાર્થના સ્પર્શ થવા છતાં પણ તેનો હાથ પવિત્ર રહ્યો. કઈક અંશે મહારથી કર્ણ જેવું! જોકે પવિત્ર-અપવિત્રતાનો પ્રશ્ન હરવિન્દરના હાથને નડે એટલો શરદજીના ગાલને નહિ નડે. કારણકે કુદરતની કૃપાથી તેમનો મોટા ગાલ, મોટી ટાલ ઉપરાંત જાડી ખાલ છે. જોકે અત્યારે જાહેરમાં શરદજી એવું નહિ કહી શકતા હોય કે યે હાથ મુજે દે દો હરવિન્દર પણ એવું વિચાર્યું તો હશે જ! કારણકે નેતા આપણા કરતા વધુ વિચારી શકે છે અને એમના હાથ ઘણા લાંબા હોય છે.         



ગરમાગરમ  :

તમાચાની ઘટના જોતા જ અન્ના હજારેજીનાં મુખેથી દર્દભર્યા શબ્દો સરી પડ્યા,  ’બસ એક જ’!
(૦૪/૦૧/૨૦૧૨)
‘ગુજરાતમિત્ર, દર્પણપૂર્તિ)
       -નટવર પંડ્યા
Contact No. : 7779056113
E-mail : natavarpandya@gmail.com

હાસ્યલેખ...જાયે તો જાયે કહાં.

  # ગુજરાત લેવલે હાસ્યલેખન સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક વિજેતા લેખ # હાસ્યલેખ....જાયે તો જાયે કહાં.         ----નટવર પંડયા.(હાસ્યલેખક, હાસ્ય...